લેન્ડ માફિયા, હવાલા, જુગાર, તોડથી ખદબદતાં રાજકોટને નવજીવન આપવાની શક્તિ એકમાત્ર IPS અધિકારીમાં છે.
IPS ની બદલી આવી રહી છે, રાજકોટનાં કમિશનરની બદલી Due છે ત્યારે નવા CP તરીકે શહેરનો મોટાભાગનો વર્ગ એક નિડર, કડક, શિસ્તપ્રિય અને ધોકાબાજ અધિકારીની આવશ્યકતા.
ભાજપનાં કેટલાંક નેતાઓ અત્યારે કહ્યાગરા અધિકારી રાજુ ભાર્ગવ અને પાંડિયન માટે લોબિંગ કરી રહ્યા છે.
શું ફરી રાજકોટનાં કપાળે પપલું જેવાં કહ્યાગરા અધિકારી ફટકારવાની તૈયારી થઈ રહી છે?
- Advertisement -
રાજકોટનાં નવા CPની નિમણુંક એ વાત નક્કી કરશે કે, નવી સરકાર સુધારો આણવા ઈચ્છે છે કે, હઈસો હઈસો ચલાવવામાં જ રસ છે!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં તોડકાંડને એક તરફ રાખીએ તો પણ રાજકોટનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી Due છે, નિશ્ચિંત છે. આવી સ્થિતિમાં રાજકોટમાં નવા કમિશનરનું આગમન નિશ્ર્ચિત છે. રાજકોટનાં જે હાલહવાલ છેલ્લાં દસ વર્ષમાં થયા છે તે જોતાં શહેરને અત્યારે એકદમ કડક, નિષ્ઠાવાન, પૂર્ણત: પ્રામાણિક, નિષ્કલંક અને કાર્યદક્ષ અધિકારીની જરૂર છે. આ બધાં ગુણ ગુજરાતનાં બહુ જૂજ અધિકારીઓમાં છે અને તેમાં સૌથી અગ્રેસર છે, IPS સુભાષ ત્રિવેદી. જો નવી સરકાર રાજકોટની સ્થિતિમાં ખરેખર સુધારો ઈચ્છતી હોય તો સુભાષ ત્રિવેદીને લાવ્યા સિવાય છૂટકો નથી.
- Advertisement -
રાજકોટનાં લલાટે મોટાભાગે પપલુ અને નૂર વગરનાં IPS – IAS અધિકારીઓ જ લખાયા છે. અહીં ભાજપનાં નેતાઓએ જ દાયકાઓથી એ તકેદારી રાખી છે કે, ભૂલથી પણ શહેરમાં કોઈ મરદમૂછાળો, સ્પાર્કવાળો અધિકારી ન આવી જવો જોઈએ. કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર તો કહ્યાગરા જ જોઈએ. આ વખતે ભાજપનાં કેટલાંક સંન્નિષ્ઠ લોકો ઈચ્છે છે કે, સુભાષ ત્રિવેદીને શહેરનાં પોલીસ કમિશનર તરીકે મૂકવા જોઈએ. તો બીજી તરફ કેટલાંક લોકો રાજુ ભાર્ગવ, રાજકુમાર પાંડિયન જેવાં કહ્યાગરા અને ડાહ્યાડમરાં અધિકારીને CP તરીકે લાવવા લોબિંગ કરી રહ્યાં છે. ખોટાં કામ તો બધાંને કરાવવા છે. સુભાષ ત્રિવેદીને મૂકવામાં આવે તો કોઈનાં ખોટાં કામ ન થાય એ બધાંને ખ્યાલ છે. સુભાષ ત્રિવેદીની સંપૂર્ણ કારકિર્દી નિષ્કલંક રહી છે. તેઓ એવા અનટચેબલ્સ છે જેને લોભ, લાલચ, ભય કોઈ ચીજ સ્પર્શી નથી તેમની નિમણુંકના સમાચાર માત્ર ભ્રષ્ટાચારી રાજકારણીઓ કે પોલીસ ખાતામાં ભય ફેલાવી શકે છે. બિનકાર્યક્ષમ કર્મચારીઓ બદલી માટે ફાંફાં મારવા લાગે છે.

હાલ રાજકોટ શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ તદ્દન કથળેલી છે. દેશી-વિદેશી દારૂ ને ચરસ ગાંજા જેવા પદાર્થો ઝૂંપડપટ્ટીઓ છોડી કોલેજો સુધી પહોંચી ગયા છે. કેટલાંક માથાભારે શખ્સો કાયદાના રખેવાળોને ‘ધોઈ’ નાખે તેવા શરમજનક સમાચારો છપાતાં રહે છે. પોલીસ ખાતાની મહત્ત્વની શાખાઓ રાજકારણીઓના હાથા બની પર્સનલ કામો પતાવવામાં લાગી છે. પ્રજાના જાન-માલ રામભરોસે છે. શહેરને આઈપીએસ તરીકે પોલીસ ઓફિસર્સની જરૂરત છે ત્યારે ઈન્ડિયન પોસ્ટલ સર્વિસમાં ચાલે તેવા નરમ દિલ અને સ્વભાવના અધિકારીઓ આવતા રહ્યા છે તેનું પરિણામ સમગ્ર શહેર ભોગવી ચૂક્યું છે ત્યારે સુભાષ ત્રિવેદી જેવા હીરો કે જેને પ્રાઉડ ઓફ ગુજરાત- પોલીસનું બિરૂદ મળ્યુ છે તેમની નિમણુંક સમગ્ર રાજકોટવાસીઓ માટે ખુશી ને રાહતના સમાચાર હશે.
સુભાષ ત્રિવેદી: એક જાંબાઝ, નિસ્પૃહી અધિકારી
આપણે ત્યાં ઘણાં નક્કામા અને બિનકાર્યક્ષમ અધિકારીઓ માટે પણ ‘જાંબાઝ’ શબ્દનો ઉપયોગ થાય છે. જાંબાઝ શબ્દ આપણે બહુ હલ્કો બનાવી દીધો છે. પરંતુ સુભાષ ત્રિવેદી ખરા અર્થમાં જાંબાઝ અધિકારી છે. રાજકોટમાં Dy.sp તરીકેનો કાર્યકાળ હોય કે પછી ભાવનગર S.P. તરીકેનો પીરિયડ, કચ્છ S.P. તરીકેની ફરજ હોય કે બોર્ડર રેન્જનાં IG તરીકેની જવાબદારી- સુભાષ ત્રિવેદીને જ્યાં-જ્યાં ફરજ સોંપાઈ છે- ત્યાં તેમણે ઉત્તમ કામગીરી કરી દેખાડી છે. એટલે જ રાજકારણીઓને તેઓ આંખમાંના કણાની જેમ ખૂંચતા રહે છે. રાજકોટમાં જો તેમને ત્રણ વર્ષ આપવામાં આવે તો આખા શહેરનો કચરો સાફ થઈ જાય. સવાલ એ છે કે, સત્તાધારીઓમાં તેમને રાજકોટ મૂકવાની નૈતિક હિંમત છે?


