રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રેન્જ આઇજી સ્ક્વોડ ટીમને નકલી દૂધ બનાવતા છ શખ્સને ત્યાંથી 7150 લીટર દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી, 15 કિલો પાવડર મળી આવ્યો
- Advertisement -
નમૂના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી તમામ જથ્થાનો નાશ : છ શખ્સો સામે કાર્યવાહી
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્યના હરીપર ગામેથી શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ બનાવતા 6 ઇસમોના ઘર તથા દુધની ડેરી ઉપર રેઇડ કરી શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ લીટર ૭૧૫૦, વનસ્પતી ઘી ૧૨૦ કીલો તથા દુધ બનાવવાનો પાવડર ૧૫ કીલો પકડી પાડી રાજકોટ રેન્જની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જના જિલ્લાઓમાં અમુક ધંધાર્થીઓ દ્વારા આર્થિક ફાયદા સારૂં લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી ચીજ-વસ્તુઓની બનાવટમાં ભેળસેળ કરી વેચાણ કરતા ધંધાર્થીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ધંધાર્થીઓને શોધી કાઢવા ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે પીએસઆઈ સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઇ સાંજવા તથા ડ્રા. ધર્મેન્દ્રસિહ જાડેજાએ જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામે રહેતા મેરૂભાઇ વીરાભાઇ બાવનભાઇ ભારાઇ, અરજણભાઇ હમીરભાઇ ઉકાભાઇ હુણ, બધાભાઇ બાવનભાઇ રામભાઇ ચાવડા, મેરૂભાઇ બધાભાઇ કરશનભાઇ વંશ, રાણાભાઇ બટુકભાઇ નાથાભાઇ ભારાઇ અને બોધાભાઇ નાથાભાઇ માયાભાઇ વંશના ઘરે રેઇડ કરી રહેણાંક મકાન તથા પાસે આવેલ અલગ-અલગ ડેરીઓમાંથી શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ બનાવવાનું ચાલુ હોય શંકાસ્પદ દુધ ભેગુ કરી કુલ જથ્થો દુધ આશરે લીટર ૭૧૫૦, વનસ્પતી ધી ૧૨૦ કીલો તથા દુધ બનાવવાનો પાવડર ૧૫ કીલો મળી આવતા ફુડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલીફોનીક જાણ કરી સ્થળ પર બોલાવતા ફુડ સેફટી ઓફીસર દ્વારા શંકાસ્પદ દુધના જરૂરી સેમ્પલો લઇ કચેરી શીલ કરી કબ્જે કરેલ અને મળી આવેલ શંકાસ્પદ ભેળસેળ યુકત બનાવટી દુધ તથા વેજીટેબલ ઘી તથા દુધ બનાવવાનો પાવડર માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણને નુકશાન ન થાય તેવી જગ્યાએ ફુડ સેફટી ઓફીસર દ્વારા નાશ કરાવવામાં આવેલ છે તેમજ દુધના ધંધાર્થીઓ વિરૂધ્ધ ફુડ સેફટી ઓફીસર દ્વારા આગળની કાયદેસરની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.
ધોરાજીના કાથરોટામાં ધમધમતી નકલી દૂધની મીની ફેક્ટરી ઝડપાઈ : પાટણવાવ પોલીસે 800 લિટર શંકાસ્પદ દૂધ, પાવડર, પામ તેલનો જથ્થો જપ્ત કર્યો
- Advertisement -
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના બાદ પાટણવાવ પોલીસે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આશરે 800 લિટર શંકાસ્પદ દૂધ, 200 કિલો દૂધનો પાવડર અને પામ તેલના ખાલી ડબ્બા જપ્ત કર્યા છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા રાજકોટ એસપી વિજય સિંહ ગુર્જર, ધોરાજી ડીવીઝનના એએસપી સિમરન ભારદ્વાજ અને ઇન્ચાર્જ SDPO ધોરાજી ડિવીઝન શ્રીજીતા પટેલ દ્વારા દ્વારા નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કરવાની સૂચના અન્વયે પાટણવાવ પોલીસ મથકના પીઆઇ વાય.એમ. ગોહીલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે કાથરોટા ગામમાં દરોડો પાડી ભાવેશ ભીખાભાઈ ભારાઈ પોતાના રહેણાક મકાનમાં ભેંસના દૂધમાં પામ તેલ અને દૂધનો પાવડર ભેળવીને નકલી દૂધ બનાવતો હતો. વધુ નફો કમાવવાની લાલચે તે દૂધની માત્રા અને ફેટ વધારવાનો પ્રયાસ કરતો હતો પંચો અને ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. આરોપીના ઘરેથી 800 લિટર બનાવટી દૂધ (કિંમત રૂ. 32000), 200 કિલો દૂધનો પાવડર (કિંમત રૂ. 70000) અને પામ તેલના 7 ખાલી ડબ્બા મળી આવ્યા હતા. કુલ 1,02,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા બનાવટી દૂધ, દૂધનો પાવડર અને પામ તેલના અલગ-અલગ સેમ્પલ લઈ વડોદરા પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ, પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે દૂધના પાવડરના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે આ મામલે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરાથી પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નડિયાદમાં સસ્તા ભાવે જમીન અપાવી વધુ નફાની લાલચ આપી 80 લાખ પડાવ્યા : રાજકોટના ધંધાર્થીની ખેડાના પિતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ
નડિયાદમાં સસ્તા ભાવે જમીન અપાવી વધુ નફો કમાવી આપવાની લાલચે રાજકોટના ધંધાર્થી સાથે ખેડાના પિતા-પુત્રએ રૂ.૮૦ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. નવાગામ ખાતે રહેતા અને અર્થમુવર્સ મશીનરીનો વેપાર કરતા રમેશભાઈ બાઘાભાઈ મોરીએ બી ડીવીઝન પોલીસમાં ખેડાના દીપસિંહ પુનમ સીસોદીયા, પુનમસિંહ સીસોદીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલાં ખેડા-નડિયાદ ખાતે માટીકામ અને ખોદકામનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય તે દરમિયાન તેમની મુલાકાત હર્ષકુમાર રણછોડભાઈ રબારી તથા દીપસિંહ પૂનમભાઈ સિસોદીયા સાથે થઈ હતી. કામકાજ દરમિયાન આ બંને સાથે રમેશભાઈની મિત્રતા થઈ હતી આશરે સાત મહિના પહેલાં હર્ષકુમાર અને દીપસિંહે વેપારીને ફોન કરીને જણાવ્યું હતું કે, નડિયાદમાં ત્રણ એકર જમીન છે. જેની બજાર કિંમત ૧૦ કરોડ છે. ખેડૂતને પૈસાની જરૂર હોવાથી આ જમીન ૬.૫ કરોડમાં મળી જશે અને ૫૦ લાખ કલીયરન્સ ખર્ચ થશે. હાલ ૨ કરોડ ટોકન પેટે આપવા પડશે જેમાંથી ૪૦ લાખની વ્યવસ્થા તેમની પાસે છે અને બાકીના ૧.૬૦ કરોડનું રોકાણ કરવાનું રહેશે. રોકાણ સામે નામાં ૭૦ ટકા હિસ્સો આપવાની વાત કરી હતી.નાની લાલચમાં આવી ગયેલા વેપારીએ ગોલ્ડ લોન અને મિત્રો પાસેથી હાથ ઉછીના લઈ ૧.૬૦ કરોડની સગવડ કરી પૈસા આપ્યા હતા.બાદ જમીનનો કોઈ સોદો ન થયો હોવાથી વેપારી પોતાના પૈસા પરત માંગ્યા હતા.તેમજ શહેરના કાફેમાં થયેલી મુલાકાત દરમ્યાન દીપસિંહ પૈસા આપવાની ના કહી ધમકી આપી હતી.જેથી હર્ષકુમારે ૮૦ લાખ પરત ચૂકવી દીધા હતા. જયારે બાકીના રૂ. ૮૦ લાખ અંગે પિતા-પુત્રએ ફોન ઉપાડવાના બંધ કરી રૂપિયા ભુલી જવાની ધમકી આપી છેતરપિંડી આચરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
ગઢકા ગામમા આવેલ પ્રભુના પગલાની જગ્યા નામના મંદીર(ઠાકર મંદિર)ની ગાદી માટે બબાલ : બે સાધુ અને 40થી 50 અજાણ્યા શખશો સામે સુલેહ શાંતિ ભંગ અંગે આજી ડેમ પોલીસમાં ગુનો
રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દીકભાઈ રાજાભાઇ સાંગાએ ગઢકાના રામદાસ ગુરૂ રામચરણદાસ, હનુમાનદાસ ગુરુદ્રારકાદાસ અને 40થી 50 અજાણ્યા શખશો સામે સુલેહ શાંતિ ભંગ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજે ફરજ પર હતા ત્યારે પોલીસ કંટ્રોલ રૂમ તરફ થી કોલ મળેલ કે ગઢકા ગામ ખાતે આવેલ પ્રભુના પગલા ની જગ્યા નામના મંદીર (ઠાકર મંદીર) ખાતે અમુક માણસો જાહેરમા સુલેહ શાંતીનો ભંગ થાય તે રીતે જાહેરમાં ગાળા ગાળી અને ઝઘડો કરે છે જેથી અમો તુરત પી સી આર લઇ ગઢકા ગામ ખાતે આવેલ પ્રભુના પગલાની જગ્યા નામના મંદીર ખાતે પહોચતા ત્યા બે સાધુ તથા ગઢકા ગામના આશરે ૪૦ થી ૫૦ જેટલા માણસો આ બન્ને સાધુઓના અનુયાયીઓ અલગ અલગ પક્ષમા સામ સામે બોલાચાલી કરી ઉગ્ર ઝઘડો કરતા હોય જેથી અમો એ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જાણ કરી બીજી પી સી આર બોલાવેલ અને પી સી આર નંબર ૧૧૨ વાળી તથા સરધાર પીએસઆઇ એસ એલ ગોહીલ તથા અન્ય પોલીસ સ્ટાફ આવી જતા પોલીસ સ્ટાફની મદદથી ત્યા ભેગા થઇ એકબીજા સાથે ઝઘડો કરતા અને ગાળાગાળી કરતા માણસો ને વીખેરવામા આવેલ અને ત્યા તપાસ કરતા જાણવા મળેલ કે રામદાસ ગુરૂ રામચરણદાસ તથા હનુમાનદાસ ગુરુદ્રારકાદાસ બન્ને ગઢકા ગામમા આવેલ પ્રભુના પગલાની જગ્યા નામના મંદીર(ઠાકર મંદીર ) ની ગાદી માટે ઝઘડો કરતા હોય અને આ એકત્રીત થયેલ ટોળાના માણસો પણ બન્ને સાધુઓનો સાથ આપી એકબીજા સાથે ઝઘડો કરતા હોવાનુ તપાસ દરમ્યાન જાણવા મળેલ જેથી આ રામદાસ ગુરૂ રામચરણદાસ તથા હનુમાનદાસ ગુરુદ્રારકાદાસ તથા બન્ને સાધુના અનુયાયીઓ આશરે ૪૦ થી ૫૦ જેટલા માણસો મળી તમામ ઇસમો જાહેરમાં ગાળા ગાળી કરી સુલેહનો ભંગ થાય રીતે ભય ઉત્પન કરી અંદરો અંદર ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કરી બખેડો કરતા હોય જેથી મજકુર ઉપરોકત તમામ ઇસમો સામે બી.એન.એસ કલમ.૧૯૪(૨) મુજબ ઘોરણસર ફરિયાદ નોંધાવી હતી.
નંબર પ્લેટ વગરના વાહનમાં પેટ્રોલ ભરતા ફિલરમેન તથા ચાલક સામે ફરિયાદ : થોરાળા પોલીસે જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી બંનેની કરી ધરપકડ
રાજકોટમાં નંબર પ્લેટ વગર કે તૂટેલી નંબર પ્લેટવાળા વાહનો સામે કાર્યવાહી વચ્ચે જયનાથ પેટ્રોલપંપ પર નંબર પ્લેટ વગરના વાહન માં પેટ્રોલ ભરવાનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે થોરાળા પોલીસે તપાસ કરતાં નંબર પ્લેટ વગરના વાહન ચાલક અને ફિલરમેન સામે ગુનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી વાહન પણ ડિટેઈન કર્યુ હતું. શહેરમાં ગત.તા.૨૩ના સોશિયલ મીડિયામાં ભાવનગર રોડ પર ગંજીવાડાના નાકા સામે આવેલા જયનાથ પેટ્રોલપંપમાં ફિલરમેન દ્વારા નંબર પ્લેટ વગરના વાહનમાં પેટ્રોલ ભરવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો હોય જેથી પોલીસે પંપના સીસીટીવી આધારે ફિલરમેન બુધ્ધસેન રામસરોજ પંડીત તેમજ વાહન ચાલક ભુપત સોંડાભાઈ સભાડ બન્ને સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વાહન ડિટેઈન કર્યુ હતું.પ્રાથમિક તપાસમાં વાહન તેના જાણીતા કિંજલ કિશોરભઈ પરમારની હોવાનું ખુલ્યું હતું. ઉલ્લેખનિય છે કે ભકિતનગર, પ્ર.નગર અને થોરાળા પોલીસની કાર્યવાહીથી વાહનમાં નંબર પ્લેટ વગર ફરતા ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જસદણ પોલીસે પશુઓને કતલખાને લઈ જતા ટ્રક ડ્રાઈવર અને કલીનરની કરી ધરપકડ : માણાવદરથી ભેંસો ભરેલો ટ્રક ભુજ લઇ જવાનો હતો : ગૌરક્ષકોની બાતમી આધારે કાર્યવાહી
રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં ગૌરક્ષકોની સતર્કતાના કારણે ગેરકાયદેસર રીતે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કૂરતાપૂર્વક પશુઓ ભરીને લઈ જવામાં આવતા ટ્રકને ઝડપી લઈ પોલીસે ગૌરક્ષક જયેન્દ્રભાઈ અનિલભાઈ ચંદ્રવાણીયાની ફરિયાદ પરથી ગુનો નોંધી ડ્રાઈવર અને કલીનરની કુલ રૂ.૬.૮૨ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે જસદણના જલશક્તિ સર્કલ પાસેથી એક ટ્રક રજી.નં. GJ-૦૯-AV-૪૩૨૪ ને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા ટ્રકમાંથી કૂરતાપૂર્વક બાંધેલી જીવંત ભેંસો નંગ-૦૮ અને એક નાનું પાડું મળી આવ્યું હતું. ટ્રકચાલક વિપુલભાઈ પુંજાભાઈ ભારાઈ અને ક્લીનર ભેડુસલાઇ ધીરૂભાઈ તોરીયા (રહે. માણાવદર) પાસે પશુઓની હેરાફેરી માટેનું કોઈ જ પાસ-પરમિટ કે વેટનરી ઓફ્સિરનું પ્રમાણપત્ર ન હતું. આ અંગે ૧૧૨ ની મદદથી પોલીસને જાણ કરવામાં આવતા જસદણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ટ્રકને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસે પંચોની હાજરીમાં રૂ. ૧,૮૦,૦૦૦ ની કિંમતની ૮ ભેંસો, તથા એક પાડું કિ.રૂ.૨ હજાર, ટ્રક કિ.રૂ.પ લાખ મળી કુલ રૂ.૬.૮૨ લાખના મુદામાલ સાથે ડ્રાઈવર અને કલીનરની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ પશુઓને માણાવદરના જીતુ ભરવાડે ભરી દીધેલ હોય જે ભરૂચ ખાતે પહોંચાડવાની હોવાનું જણાવતા પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી ટ્રકમાં પશુઓને ક્રુરતાથી બાંધી સુરત લઇ જતા બે ઝડપાયા : તમામ 15 પશુઓને મુકત કરાવી પાંજરાપોળ મોકલાયા
રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ત્રિ-મંદિર પાસેથી જીવદયા પ્રેમીઓએ ટ્રકમાં ક્રૂરતા પૂર્વક બાંધેલા ૧૫ પશુઓને મુકત કરાવી ટ્રક ચાલક સહિત બે સામે પોલીસે જીવદયા પ્રેમીની ફરિયાદ પરથી ગુનો નોંધી ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પશુઓને સુરત ખાતે લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ભાવનગર રોડ પરના મહાકાળી ચોકમાં રહેતા ગૌતમભાઈ રસીકભાઈ મકવાણાએ કુવાડવા રોડ પોલીસમાં જૂનાગઢ તાબેના સુલતાનાબાદમાં રહેતા ભાવેશ રમેશ ધરમનાથ, હાર્દીક ભરતભાઈ ધોયલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રિ-મંદિર પાસે ઉભેલ ટ્રકમાં ઝડતી લેતા નવ ભેંસો તથા નાના પાડરૂ નં ૬ મળી કુલ ૧૫ પશુઓને ક્રૂરતા પૂર્વક બાંધી કોઈ ચારો કે પાણી વગરની હાલતમાં જોવા મળેલ હોય જેથી ૧૧૨માં જાણ કરતા પોલીસ સ્ટાફે દોડી જઈ ઉપરોકત બન્નેને ટ્રક સાથે પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જયાં પોલીસની પૂછતાછમાં પશુઓને સુરતના તારવાડી રાજ હોટેલની પાસે લઈ જવાનું જણાવતા પોલીસે વિશેષ તપાસ આદરી છે.
રાજકોટમાં PHDની છાત્રા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવી તરછોડી દીધી : જેતપુરના ડેડરવા ગામના શખ્સે માતાજીની હાજરીમાં માથામાં સેથો પુરી લગ્નનુ વચન આપી હવસ સંતોષી
રાજકોટમાં રહેતી પીએચડીની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી જેતપુરના ડેડરવા ગામે રહેતા શખસે વારંવાર શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી દીધી હતી બાદમાં ગર્ભપાતની ફરજ પાડી લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જે અંગે યુવતીએ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે રાજકોટમાં રહેતી અને જુનાગઢની યુની. પીએચડીનો અભ્યાસ કરનાર 26 વર્ષીય યુવતીએ જેતપુરના ડેડરવા ગામે રહેતા ચિંતન ભરત મકવાણા સામે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2021માં આરોપી સાથે કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી પરિચય થયો હતો જુનાગઢ ખાતે ક્લાસીસમાં આરોપીના બાઈકમાં જતી હતી તે વખતે સાથે ફરવા પણ જતા હતા 2022માં યુવતી વધુ અભ્યાસ માટે રાજકોટ આવી જતા આરોપી પણ તેને મળવા આવતો હતો એક દિવસ આરોપીએ પોતાનું માસ્ટર પૂરું થયા બાદ લગ્ન કરી લેશે તેમ કહ્યું હતું બાદ 2023માં કિશાનપરા ચોકમાં આવેલી હોટલમાં લગ્નની લાલચ આપી પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ અવારનવાર બંને હોટલમાં મળતા ત્યારે શરીર સંબંધ બાંધતા હતા. જેના લીધે જુલાઈ 2024માં યુવતીને ગર્ભ રહી ગયો હતો જેની જાણ થતા આરોપીએ ગર્ભપાતની દવા મોકલી હતી જેથી તેણે ગર્ભ કઢાવી નાખ્યો હતો 2025માં ચોટીલા ફરવા ગયા ત્યારે આરોપીએ માતાજીની સાક્ષીએ પત્ની તરીકે સ્વીકારી સેથો પુર્યો હતો. ત્યાર બાદ બહાના બતાવી લગ્ન કરવાનું ટાળતો હતો. ચાલુ માસમાં જ અમરેલી પંથકમાં કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરી આરોપીએ તેને એક ગામમાં બોલાવી હતી જ્યાં પહેલેથી આરોપીના કહેવાથી યુવતીના પરિવારના સભ્યો આવી ગયા હતા તેણે આરોપીને કોલ કરી રાજકોટ બોલાવતા ગોંડલ ચોકડી આવી પોતાને ઘરે લઈ જવાનું કહી તેના પરિવારને સોંપી દીધી હતી દરમિયાન યુવતીએ પોતે ઘરે નહીં જાય તેની સાથે જશે તેમ કહ્યું હતું તેથી આરોપીએ તેને તેના સંબંધીના ઘરે લઈ ગયો હતો. જ્યાં લગ્ન માટે બે ત્રણ દિવસનો સમય આપવાનું કહ્યું હતું બાદ ગઈ તા.10 ના રોજ આરોપીએ વોટસએપમાં મેસેજ કરી તેની માફી માંગી તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. જેથી યુવતીએ અંતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે એ ડિવિઝન પીઆઇ વાઢિયા સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગોંડલમાં ક્રિષ્ના ગ્રુપનો ગેરકાયદે ઇનામી ડ્રોનો એલસીબીએ કર્યો પર્દાફાશ : સોશિયલ મીડિયા પર પ્રમોટ કરાયો હતો : છેતરપિંડી આચરનારને ઝડપી લીધો
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોંડલમાંથી ગેરકાયદેસર ઇનામી ડ્રો ચલાવનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કેસમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અને રાજકીય કનેક્શન અંગે પણ ખુલાસા થયા છે. LCBની ટીમે કૈલાશબાગ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન રોહિત પોપટ સોજીત્રા ‘ક્રિષ્ના ગ્રુપ’ દ્વારા આયોજિત ‘શ્રી ગણેશ મહોત્સવ’ના નામે લોભામણી ઇનામી યોજનાની ટિકિટો છાપીને ગેરકાયદેસર ડ્રો ચલાવતા ઝડપાયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેરકાયદેસર ઇનામી ડ્રોને સોશિયલ મીડિયા પર મોટા પાયે પ્રમોટ કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદની જાણ થતાં જ સોશિયલ મીડિયા પર સક્રિય ઘણા ઇન્ફ્લુએન્સર્સ અને પેજ સંચાલકોએ પ્રમોશનલ પોસ્ટ્સ હટાવી દીધી હતી. પોલીસે સ્થળ પરથી ઇનામી ડ્રોની ટિકિટ વેચાણની 73 બુક, ટિકિટ વેચાણનો હિસાબ રાખવાનો ચોપડો અને એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિંમત ₹5,000) જપ્ત કર્યો છે રાજકોટ ગ્રામ્ય પોલીસે જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે, જો આવી લોભામણી ઇનામી યોજનાઓ કે ગેરકાયદેસર ડ્રો ચલાવવાની પ્રવૃત્તિ ધ્યાનમાં આવે, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
દડવાની યુવતી સાથે મૈત્રીકરાર કરનાર ત્રંબાના શખ્સનું અણિયાળાના પાટીયા પાસેથી અપહરણ : મોડી રાતે મુક્ત કરાયો : યુવતીના પરીવારજનો જ હોવાનું તપાસમાં ખુલ્યું
રાજકોટના અણિયાળાના પાટીયા પાસેથી યુવકનું કારમાં અપહરણ કરી બે શખ્સો નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી હતી. જો કે, મોડી રાતે આજીડેમ પોલીસે આરોપીઓને ટ્રેસ કરી યુવકને મુક્ત કરાવ્યો હતો. આરોપીઓ યુવતીના પરીજનો જ હોવાનું સામે આવતાં પુછતાછ હાથ ધરાઈ છે. રાજકોટના ત્રંબા ગામમાં આવેલ કલ્યાણ પાર્કમાં રહેતાં ગૌતમભાઈ સવજીભાઇ લીંબાણી ઉ.21એ બે અજાણ્યા શખ્સ સામે આજી ડેમ પોલીસમાં અપહરણ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે આઇસરનુ ડ્રાઇવીંગ કરે છે શનિવારે સવારના તે આઇસર લઈ શાપર ફેરો નાખવા માટે ગયો હતો ત્યારે મોટા ભાઈ પાર્થભાઈને ફોન કરેલ કે, હુ શાપર ગાડી ખાલી કરવા માટે આવેલ છુ. તો ભાઈએ કહેલ કે, હુ આપણુ બાઈક લઇ અણીયારા ગામના પાટીયા પાસે આવેલ આઇ માં હોટલે ખાતે કામથી ગયેલ છુ ત્યાર બાદ 12 વાગ્યે બહેન હેતલબેનનો ફોન આવેલ કે, પાર્થભાઈ ફોન ઉપાડતો નથી તેમ જાણ કરતા યુવકે ફોન કરેલ પરંતુ ફોન ઉપાડેલ નહી અને ત્યાર બાદ ફોન સ્વીચ ઓફ થઇ ગયેલ હતો. જેથી શાપરથી સીધો અણીયાળા ગામના પાટીયે હોટલ ખાતે ગયેલ અને ત્યા જોયુ તો ભાઈ ત્યા ન હતો. જેથી ત્યાથી ઘરે ત્રંબા જવા નિકળેલ અને રસ્તામાં જોયુ તો પેટ્રોલપંપ સામે રોડની સાઇડમાં ભાઈ લઇને આવેલ તે બાઈક પડેલ હતુ, જેથી ત્યા ઉભો રહેલ અને આજુ બાજુમાં તપાસ કરી હતી બાઈક પડેલ હતુ તેની બાજુમાં આવેલ વાડીમાં એક ભાઈ કામ કરતા હતા તેની પાસે જઇ બાઈક બાબતે પુછતા જણાવેલ કે, થોડીવાર પહેલા આ બાઈક વાળા ભાઇ તથા એક ફોરવ્હીલ ગાડીમાંથી ઉતરેલ બે માણસો વચ્ચે ઝઘડો થતો હતો અને ત્યાર બાદ આ બે માણસો આ બાઈક વાળા ભાઇને પકડીને બળજબરીથી તેની ગાડીમાં બેસાડી ગાડી લઇને જતા રહેલ છે. જેથી તરત જ ઘરે જઈ વાત કરી સરધાર પોલીસ ચોકી ખાતે ફરીયાદ કરવા ગયો હતો ત્યારે 6 વાગ્યે ફોન આવતા તેમાં તેમનો ભાઇ વાત કરતો હતો અને તેણે જણાવેલ કે, ક્રિષ્નાને લઈને અહીં દડવા આવતો રહે મને અહી લઇ આવેલ છે તેમ વાત કરતા ફોન ક્રિષ્નાને આપેલ અને તેઓએ દડવા જવાની ના પાડતા સામેથી ફોન કાપી નાખેલ હતો બનાવમાં ફરીયાદીએ વધુમાં જણાવ્યું કે, તેમના ભાઇએ દડવા ગામની ક્રિષ્ના સાથે મૈત્રીકરાર કરેલ હોય જેનો ખાર રાખી બે અજાણ્યા માણસોએ તેમના ભાઈને પકડી બળજબરી કરી અપહરણ કરી કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી પોલીસે તુરંત અપહ્યુતને મુક્ત કરાવ્યો હતો.
રાજકોટ પોલીસે કબ્જે કરેલા નંબર પ્લેટ વગરના 3 વાહનો ચોરાઉ નીકળ્યા : આજી ડેમ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગરના વાહનો સામે હાથ ધરેલી સઘન ડ્રાઇવ દરમિયાન ડિટેન કરાયેલી ત્રણ એક્ટિવા ચોરીની હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસે અનેક વાહનો ડિટેન કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ત્રણ હોન્ડા એક્ટિવા ચોરીની હોવાનું ખુલ્યું હતું GJ-03-PE-7273 નંબરની સફેદ એક્ટિવા 3 ઓગસ્ટે ચેકિંગ દરમિયાન મળી હતી. આ વાહન અંગે 6 નવેમ્બરમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી આ ઉપરાંત GJ-37-P-0582 નંબરની કાળી એક્ટિવા 6 ઓગસ્ટે ડિટેન કરાઈ હતી, જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 10 જુલાઈના રોજ ફરિયાદ નોંધાઈ હતી જયારે GJ-03-NJ-0857 નંબરની કાળી એક્ટિવા 28 જુલાઈએ મળી હતી. આ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં 12 મે 2024ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ટ્રાફિક શાખાએ ત્રણેય વાહનો અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપલેટાના પડવલા ગામે કૌટુંબિક ભત્રીજાએ છરીનો એક ઘા ઝીકી કાકાની કરી હત્યા : કાકાએ કરેલી મસ્તીથી ઉશ્કેરાઈને ભત્રીજાએ છાતીમાં ઝીંકેલો એક ઘા જીવલેણ નીવડ્યો
રાજકોટ જિલ્લાના ઉપલેટાના પડવલા ગામે કૌટુંબિક ભત્રીજાએ છરીનો ઘા ઝીંકી કાકાની હત્યા નીપજાવી નાખતા ચકચાર મચી જવા પામી છે કાકાએ કરેલી મસ્તી ભત્રીજાને પસંદ નહિ આવતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ છરીનો એક ઘા છાતીના ભાગે મારી દેતા ઘવાયેલા પ્રૌઢએ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાતા ભાયાવદર પોલીસે ગુનો નોંધી હત્યારાની શોધખોળ હાથ ધરી છે. ઉપલેટાના પડવલા ગામે રહેતા ખેડૂત મુસાભાઇ કારાભાઈ નોયડા ઉ.50એ ગામમાં જ રહેતા સોહીલ અયુબ નોયડા સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં હત્યા અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમા બે દિકરા અને તેઓ પાંચ ભાઈઓ છે જેમા સૌથી મોટા પોતે જે બાદ નાનો ભાઈ આદમ, તેનાથી નાનો અદ્રેમાન હતો તે ભાઈ ફીરોજ સાથે રહેતો હતો તેનાથી નાનો ભાઈ ફીરોજ અને તેનાથી નાનો ભાઈ રજાક છે ગઈકાલે સાંજના તે વાડીએથી ચાલીને ગામમા રોડ ઉપર પાણીનુ પરબ આવેલ હોય તે જગ્યા પાસે જઈને બેસેલ હતો. ત્યા કાકા હાજુભાઈ મુંગરભાઈ નોયડા પણ બેઠા હતા સબીલની પાછળની સાઇડ નાનો ભાઇ અદ્રેમાન તથા મારો કૌટુંબીક ભત્રીજો સોહીલ અયુબભાઇ નોયડા બંને બેઠા હતા સાંજના ભાઇ અદ્રેમાન દોડીને આવેલ અને કહેલ કે, સોહીલે મને કોઇ ધારદાર હથિયાર મારી દીધેલ છે ત્યારે સોહીલ દુર ઉભો હતો દરમિયાન ભાઈ અદ્રેમાનની છાતી ઉપર લોહી નીકળતા કપડા સાથે જોયો હતો બાદ તે પડી ગયો હતો લોહી જોઈને તેને પણ ચકર આવતા તેઓ પણ પડી ગયા હતા દરમિયાન દેકારો થતા દિકરો સમીર ત્યા આવી ગયો હતો. દરમિયાન સોહીલ ત્યાથી ભાગી ગયો હતો દિકરો સમીર તથા ભાઈ ફીરોજ તથા કૌટુંબિક કાકા ચીનાભાઇ નોયડા સહિતના લોકો અદ્રેમાનને ભાયાવદર સરકારી દવાખાને સારવારમા લઇ ગયા હતા. જયા તબીબે અદ્રેમાનને વધુ સારવાર માટે ઉપલેટા ખસેડવાનું જણાવતા તાત્કાલિક ભાઈને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જયા ફરજ પરના તબીબે ભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો ફરીયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમનો ભાઇ અને હત્યારો સોહીલ બંને એકબીજા સાથે મજાક-મસ્તી કરવાનો સંબંધ હતો. સોહીલ અયુબભાઈ નોયડા શીકારીવૃતી ધરાવતો અને સસલા તેમજ તેતરનો શીકાર કરવાની કાયમી ટેવ ધરાવતો હોય જેથી પોતાની સાથે છરી રાખતો હતો સોહીલની ભાઇ અદ્રેમાને કોઈ મસ્તી કરી હોય અને સોહીલને તે વાત પસંદ નહિ આવતા સોહીલ ગુસ્સે થઇ છરી કાઢીને ભાઇ અદ્રેમાનને એક ઘા મારી દીધેલ હતો જે ઘા જીવલેણ નીવડતા અદ્રેમાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો ભાયાવદર પોલીસે ગુનો નોંધી હત્યારા સોહીલ અયુબ નોયડાની શોધખોળ આદરી હતી.
રાજકોટમાં રહેતી બ્યુટી પાર્લર સંચાલિકાને ત્રાસ આપતા પતિ-સાસુ સામે ફરિયાદ : દારૂ પી પતિ ઝઘડો કરતો : કારખાનાની મજૂરીના પૈસા સાસુ લઇ લેતા હતા : ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટના પિરવાળી પાસે રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા શીતલબેન વિશાલભાઇ પરમાર ઉ.26એ ખોખડદડ પાસે આવેલ શિવધારા સોસાયટીમાં રહેતા પતિ વિશાલભાઇ અમરશીભાઈ પરમાર અને સાસુ લાભુબેન સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલ હું મારા ભાઇ મેહુલભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ તથા મારા ભાભી જયોતીબેન વિગેરે સાથે રહું છુ વિશાલ સાથે આશરે અઢાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા હું કારખાનામાં કામ કરીને મારો પગાર મારી સાસુને આપી દેતી હતી અને હું કામે ન જાઉ તો મને મારી સાસુ જમવા પણ આપતા ન હતા. બાદ હું અને મારા પતિ અલગ આશરે એક વર્ષ ભાડે રહ્યા હતા બાદ સમ્રાટ ઇન્ડ. એરીયામાં આશરે ત્રણેક વર્ષ સુધી કારખાનામાં રહેલ હતા બાદ છેલ્લા દોઢેક વર્ષથી ગોકુલધામ ગીતાંજલી સોસાયટીમાં કારખાનાના શેઠ કૈયુરભાઈ પટેલના મકાનમાં રહેતા હતા. મારા સાસુ લાભુબેનથી મને પ્રથમથી જ તકલીફ હતી પરંતુ ગત દિવાળીના સમયે મારો પતિ વિશાલભાઈ જીણી જીણી બાબતોમાં મારી સાથે ખુબ જ ઝધડો કરવા લાગેલ હું જમવાનુ બનાવુ તો તે જમે નહીં તેમજ ઘરના ખર્ચ માટે મને પૈસા પણ ન આપે તેમજ તે તેની રીતે આવે અને જાય. જો હું કઇ કહુ તો તે મને મારવા લાગેલ તેમ તેણે મને ત્રાસ આપવાનુ શરૂ કરેલ અને મારી સાસુ લાભુબેન જે મારા દીકરાને ફોનમાં અવાર-નવાર મારા વિશે હું કયાં જાઉ છુ કેટલુ કમાઉ છુ તેમ પુછયા રાખે છે તેમજ મારા પતિને પણ મારી સાસુ મારા વિરૂધ્ધમાં ખોટી રીતે ચડામણી કર્યા કરે છે અને તેના કારણે મારી સાથે ઝધડો કરી ગાળો આપી તેમજ દારુ પીધેલ હાલતમાં મને મારકુટ કરી શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા બાદ તા. ૧૭/૦૫/૨૦૨૬ ના રોજ હું ગીતાંજલી સોસાયટીમાં ઘરે હતી ત્યારે પતિ વિશાલભાઈ દારુ પીને ઘરે આવી મને મારવાની કોશીષ કરતા મે મારો બચાવ કરવા માટે તેને ધકકો મારેલ તો તેણે મને કહેલ કે હવે તને મારી જ નાખુ તેમ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપી તે જતો રહેલ હતો ત્યારથી તે પરત ઘરે આવેલ નહીં મારે મારા ઘરનુ બ્યુટી પાર્લર કરવા માટે મારે લોનની જરૂરત હોય જેથી મારે પર્સનલ લોન લેવાની હોય અને અગાઉ મારા નામથી એકટીવા લીધેલ હોય અને તેમાં મો.નંબર મારા પતિનો હોય અને મારે ઓટીપીની જરૂરત હોય જે ઓટીપી મારા પતીના મોબાઇલ ફોનમાં આવતો હોય જેથી હું તા.૨૦/૦૮/૨૦૨ ૬ના રોજ મારા સાસુ લાભુબેનના ઘર શીવધારા સોસાયટી ખાતે ગયેલ તો ત્યાં મારા સાસુ લાભુબેન મને જેમ ફામે તેમ ગાળો બોલવા લાગેલ અને કહેલ કે તુ મરી કેમ જતી નથી તેમ કહેતા હું આ મારા સાસુ અને મારા પતિના ત્રાસથી કંટાળી જઈ ઘરમાં રાખેલ ફીનાઇલ પી ગયેલ બાદ 108 મારફત દાખલ થઇ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટની નવી કોર્ટના પાર્કિંગમાં પત્નીને પતિએ આપી મારી નાખવાની ધમકી
રાજકોટના રેલનગરમાં રહેતા શીતલબેન દિપેશભાઈ પાટડીયાએ મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા પતિ દીપેશ નવનીતભાઈ પાટડીયા સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ તે બંને સિમલા અને મનાલી ફરવા માટે ગયા હતા ત્યારે બંને વચ્ચે માથાકૂટ થઇ હતી તે પછી બંને અલગ અલગ રહેતા હતા તે પછી પતિ દિપેશભાઈએ ફોનમાં અને વોટ્સઅપમાં સમાધાન કરવાનું કહી ગત 1 જુલાઈના રોજ મળવા માટે બોલાવતા નવી કોર્ટ ખાતે ગયા હતા ત્યા પાર્કિંગમાં ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મેટોડામાં છ વર્ષની બાળકીનું બિસ્કિટ – આઈસ્ક્રીમની લાલચ આપી અપહરણ, દુષ્કર્મ આચરે તે પૂર્વે નરાધમને નગ્ન અવસ્થામાં પોલીસે પકડી પાડ્યો : ખીરસરા રોડ ઉપર ઝારી-ઝાંખળામાં લઇ ગયો હતો : આરોપી બે દિવસના રિમાન્ડ પર
રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ઘર પાસે રમતી એક 6 વર્ષની માસૂમ બાળકીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેટોડા પોલીસની સતર્કતાથી માસૂમ દીકરીની જિંદગી બચી ગઈ છે પોલીસ તપાસ કરતી હતી ત્યારે અવાવરું જગ્યામાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા પોલીસે ત્યાં જઈને જોતા નરાધમ નગ્ન અવસ્થામાં મળી આવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી બાળકીને બચાવી લીધી હતી રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં રહેતા પરપ્રાંતીય પરીવારની એક છ વર્ષની માસૂમ બાળકી શનિવારે ઘર પાસે રમતી હતી ત્યારે આ જ વિસ્તારમાં રહેતો એક શખ્સ ત્યાંથી પસાર થયો હતો અને તેને બિસ્કીટ અને આઈસ્ક્રીમની લાલચ આપી ફોસલાવી લીધી હતી બાદ આ બાળકીને શખ્સ પગપાળા જ ખીરસરા રોડ પર આવેલા અવાવરૂ ઝાડી-ઝાંખરા તરફ લઈ ગયો હતો. ત્યાં જઈને આ હેવાને દીકરીના કપડાં કાઢી નાખ્યા હતા અને પોતે પણ નિર્વસ્ત્ર થઇ ગયો હતો અને કુકર્મ આચરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો ઘર પાસે રમતી બાળકી અચાનક ગાયબ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી અને બાળકી મળી ન આવતાં તેઓએ 112માં જાણ કરતાં તુરંત જ મેટોડા પોલીસ મથકના પીઆઈ મહાવીરસિંહ પરમાર અને ટીમ બાળકીની શોધખોળમાં જોડાઈ હતી પોલીસ ટીમ જ્યારે ખીરસરા રોડ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક નજીકના ઝાડી-ઝાંખરામાંથી એક માસૂમ બાળકીના રડવાનો અને જોરજોરથી ચીસો પાડવાનો અવાજ આવતા ઝાડીઓની અંદર તપાસ કરતા પોલીસ જવાનો પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યાં નરાધમ શખ્સ બાળકી પર દુષ્કર્મ આચરવાની તૈયારીમાં જ હતો પોલીસે ત્વરિત દીકરીનું રેસ્ક્યુ કરી નરાધમને ઘટનાસ્થળેથી જ નગ્ન અવસ્થામાં પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. પકડાયેલ આરોપી મૂળ યુપીનો અને હાલ ચારેક દિવસ પૂર્વે જ યુપીથી પેટિયું રળવા આવી મેટોડામાં રહેતો વિક્રમ સુખદેવ ગોર ઉ.36 હોવાનું ખુલ્યું હતું. મેટોડા પોલીસની ત્વરિત કામગીરીના કારણે દીકરી હેવાનીયતનો ભોગ બનતા આબાદ બચી ગઈ છે. તબીબી તપાસ બાદ જાણવા મળ્યું છે કે હાલમાં દીકરી સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. પોલીસે નરાધમ આરોપી વિરૂધ્ધ અપહરણ, દુષ્કર્મ, પોકસો એક્ટ સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે બનાવની જાણ થતા જ એસપી વિજયસિંહ ગુર્જર પણ મેટોડા દોડી ગયાં અને આરોપીની સઘન પુછતાછ પણ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે છ વર્ષની બાળકી પર કુકર્મ આચરવાના ગુનામાં આરોપીને પોલીસે તુરંત જ પકડી લીધા બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મજુર કર્યા છે. તેમજ તેમના મોબાઇલની પ્રાથમિક તપાસમાં વિકૃતતાની હિસ્ટ્રી મળી આવતા હાલ પોલીસની ટીમે તે મોબાઈલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે.
આરોપીની પત્ની બે સંતાન સાથે રિસામણે યુપીમાં રહે છે
ફુલ જેવી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે, તે ત્રણ દિવસ પહેલા જ અહીં મેટોડા કામ અર્થે આવ્યો હતો. તેના પત્ની બે સંતાનો સાથે રીસામણે ઉત્તર પ્રદેશ રહે છે. તેમજ આરોપી પાંચ વર્ષ અગાઉ અહીં મેટોડા કામ કરી ગયેલ છે, જે બાદ તે અમદાવાદ કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.




