જનતાના પ્રશ્નો અંગે કોર્પોરેટરો કેટલા સક્રિય? રજૂઆતો અને જવાબોની સંપૂર્ણ વિગતો જાહેર કરવા માગ
જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્નના ઉકેલ માટે તંત્ર પાસેથી જવાબ મેળવવો અને તેના અમલીકરણ અંગે જવાબદારી નક્કી થાય તે જરૂરી છે
- Advertisement -
શહેરમાં હાલ પાણી, રસ્તા, ટ્રાફિક, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય, રખડતા પશુઓ સહિતના અનેક પ્રશ્નો લોકો સામનો કરી રહ્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનું આગામી જનરલ બોર્ડ યોજાવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ વિપક્ષ દ્વારા મહત્ત્વપૂર્ણ અને પારદર્શિતાને લગતી માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે જનરલ બોર્ડમાં
રાજકોટના 72 કોર્પોરેટરો દ્વારા શહેર અને પોતાના વિસ્તારોને લગતા કયા-કયા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જનતાના પ્રશ્નોને લઈને કેટલી રજૂઆતો કરવામાં આવી અને તંત્ર દ્વારા તેના શું જવાબો આપવામાં આવ્યા તેની સંપૂર્ણ
વિગતો રાજકોટની જનતા સમક્ષ જાહેર કરવામાં આવે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજકોટની જનતાએ પોતાના વિસ્તારમાંથી કોર્પોરેટરોને ચૂંટીને મહાનગરપાલિકામાં જનપ્રતિનિધિ
તરીકે મોકલ્યા છે. આવી સ્થિતિમાં પોતાના વિસ્તારના તેમજ સમગ્ર શહેરના પ્રશ્નોને મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કેટલી અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે તે જાણવાનો અધિકાર પણ મતદારોનો છે.
કોંગ્રેસે રજૂ કરેલા મુદ્દા મુજબ જનરલ બોર્ડ માત્ર ઔપચારિક કાર્યવાહી પૂરતું સીમિત ન રહેવું જોઈએ. રાજકોટ શહેરમાં હાલ પાણી, રસ્તા, ટ્રાફિક, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય, રખડતાનો પશુઓ સહિતના અનેક પ્રશ્નો લોકો
સામનો કરી રહ્યા છે ત્યારે જનરલ બોર્ડમાં આ પ્રશ્નો અંગે ગંભીર અને અસરકારક ચર્ચા થવી જરૂરી છે. મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં લોકોની સમસ્યાઓ અંગે કેટલા સક્રિય છે અને જનરલ
બોર્ડમાં આ પ્રશ્નોને કેટલી મજબૂતીથી રજૂ કરે છે તે જાહેર થાય તો જનતા પોતાના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરી શકે તેવી કોંગ્રેસની દલીલ છે. રાજકોટ શહેર કોંગ્રેસ વિપક્ષે માંગ કરી છે કે આગામી જનરલ બોર્ડ
પૂર્ણ થયા બાદ 72 કોર્પોરેટરોએ પૂછેલા પ્રશ્નો, કરેલી રજૂઆતો, ઉઠાવેલા જનહિતના મુદ્દાઓ તેમજ તંત્ર દ્વારા આપવામાં આવેલા જવાબોની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવે.
- Advertisement -
દરેક કોર્પોરેટરે પોતાના વિસ્તારના પ્રશ્નો ઉપરાંત સમગ્ર રાજકોટ શહેરને લગતા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જનરલ બોર્ડમાં ઉઠાવ્યા છે કે નહીં તેની પણ જાણકારી જનતા સુધી પહોંચવી જોઈએ. આ પ્રકારની માહિતી જાહેર થવાથી
જનપ્રતિનિધિઓની સક્રિયતા અને કામગીરી અંગે વધુ પારદર્શિતા આવશે. જનરલ બોર્ડ બાદ 72 કોર્પોરેટરોની પ્રશ્નોત્તરી અને રજૂઆતોની સંપૂર્ણ વિગતો માત્ર મહાનગરપાલિકાના રેકોર્ડ પૂરતી સીમિત ન રાખવામાં આવે, પરંતુ તે
ચોથી જાગીર એટલે કે મીડિયા સમક્ષ પણ જાહેર કરવામાં આવે. મીડિયા દ્વારા આ માહિતી લોકો સુધી પહોંચે તો રાજકોટની જનતા જાણી શકશે કે તેમના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના પ્રશ્નોને લઈને કેટલી ગંભીરતા
દાખવી રહ્યા છે અને જનરલ બોર્ડમાં તેમની ભૂમિકા કેટલી અસરકારક રહી છે. લોકશાહીમાં ચૂંટણી જીત્યા બાદ જનપ્રતિનિધિની જવાબદારી પૂર્ણ થતી નથી. મતદારો દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીનું પાલન કરવું અને
તેમના પ્રશ્નોને યોગ્ય મંચ પર અસરકારક રીતે રજૂ કરવું પણ એટલું જ જરૂરી છે. જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવવો એ માત્ર ઔપચારિકતા ન રહે, પરંતુ પ્રશ્નના ઉકેલ માટે તંત્ર પાસેથી જવાબ મેળવવો અને ત્યારબાદ તેના
અમલીકરણ અંગે પણ જવાબદારી નક્કી થાય તે જરૂરી છે.




