ડૉ. દેવજી સાંખટ(એડવોકેટ) : ઓર્ડર-ઓર્ડર
આધુનિક ભારતીય સમાજમાં લગ્ન અને કુટુંબ વ્યવસ્થાના પરંપરાગત માળખામાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે. શહેરીકરણ, ઉચ્ચ શિક્ષણ, આર્થિક આત્મનિર્ભરતા અને વ્યક્તિગત સ્વતંત્રતાના બદલાતા વિભાવનાઓને કારણે “લિવ-ઇન રિલેશનશિપ” (Live-in Relationship) એક મુખ્ય સામાજિક વાસ્તવિકતા તરીકે ઉભરી આવી છે.સામાન્ય ભાષામાં, લિવ-ઇન રિલેશનશિપ એટલે કે જ્યારે બે પુખ્ત વયના વ્યક્તિઓ (સ્ત્રી અને પુરુષ) કોઈ પણ કાયદાકીય અથવા ધાર્મિક લગ્નવિધિ વગર એક જ ઘરમાં પતિ-પત્નીની જેમ સહજીવન ગાળે છે.ભારતમાં કોઈ ચોક્કસ ધારાશાસ્ત્રીય કાયદોલિવ-ઇન રિલેશનશિપને સીધો વ્યાખ્યાયિત કરતો નથી. જો કે, સુપ્રીમ કોર્ટ અને વિવિધ વડી અદાલતોએ પોતાના મહત્વપૂર્ણ ચુકાદાઓ દ્વારા આ સંબંધોને કાનૂની માન્યતા અને બંધારણીય સંરક્ષણ પૂરું પાડ્યું છે.
- Advertisement -
બંધારણ આર્ટીકલ ૨૧ હેઠળ વ્યક્તિગત સ્વાતંત્ર્ય
ભારતના બંધારણની કલમ ૨૧ દરેક નાગરિકને “જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર” આપે છે. સર્વોચ્ચ અદાલતે તેના વિવિધ ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે પોતાની પસંદગીના પાત્ર સાથે રહેવું એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મૂળભૂત ભાગ છે. જો બે પુખ્ત વયના વ્યક્તિઓ સ્વેચ્છાએ સાથે રહેવાનો નિર્ણય કરે, તો તેને ગેરકાયદેસર કે ગુનો ગણી શકાય નહીં. લતા સિંહ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય (૨૦૦૬) ના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે દેશનો કાયદો કોઈ પુખ્ત વ્યક્તિને તેની પસંદગીના સાથી સાથે રહેતા અટકાવતો નથી. બે પુખ્ત વ્યક્તિઓનું લગ્ન વગર સાથે રહેવું એ કોઈ કાયદાનો ભંગ નથી. આ અધિકાર નાગરિકને પોતાની જીવનશૈલી પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે, પણ સાથે સાથે સમાજ અને કાયદા પ્રત્યેની તેમની નૈતિક અને કાનૂની જવાબદારીઓ પણ નક્કી કરે છે.
ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ રક્ષણ
ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને વૈધાનિક માન્યતા આપતો સૌથી મહત્વનો કાયદો “ઘરેલું હિંસા સામે મહિલાઓનું રક્ષણ અધિનિયમ, ૨૦૦૫” છે. આ કાયદાની કલમ ૨(f) હેઠળ “ઘરેલું સંબંધ” ને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે “Relationship in the nature of marriage” એટલે કે “લગ્ન જેવા સ્વરૂપનો સંબંધ” ધરાવતા વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાયદાની કલમ ૨(a) મુજબ, જો લિવ-ઇન સંબંધમાં રહેતી મહિલા શારીરિક, માનસિક, જાતીય કે આર્થિક શોષણનો ભોગ બને છે, તો તે આ કાયદા હેઠળ કાનૂની રક્ષણ મેળવી શકે છે. મહિલા કલમ ૧૮ હેઠળ રક્ષણ હુકમ, કલમ ૧૯ હેઠળ સિયર કરેલા ઘરમાં રહેવાનો અધિકાર અને કલમ ૨૦ હેઠળ આર્થિક રાહત કે ભરણપોષણ મેળવવા માટે હકદાર બને છે, જેથી કાયદો તેને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
ભરણપોષણનો અધિકાર
સામાન્ય રીતે ભરણપોષણનો અધિકાર ફક્ત કાયદેસરની પરણિત પત્નીને જ મળતો હોય છે. પરંતુ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો વ્યાપ સુપ્રીમ કોર્ટે લિવ-ઇન સંબંધો સુધી વિસ્તૃત કર્યો છે. અદાલતે ચુકાદો આપ્યો છે કે જો કોઈ સ્ત્રી અને પુરુષ લાંબા સમય સુધી પતિ-પત્નીની જેમ એકસાથે રહ્યા હોય, તો પુરુષ પત્ની તરીકેના તમામ હકોનો લાભ લીધા પછી મહિલાને ભરણપોષણ આપવાથી ઇનકાર કરી શકે નહીં. ચણમુનિયા વિ. વિરેન્દ્ર કુમાર સિંઘ (૨૦૧૧) ના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે જો કોઈ મહિલા લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહી હોય અને સંબંધ તૂટે, તો તે પુરુષ ભાગીદાર પાસેથી ભરણપોષણ મેળવવા કાનૂની રીતે પાત્ર છે, જેથી તે નિરાધાર ન બને.
- Advertisement -
લિવ-ઇનથી જન્મેલા બાળકોના અધિકારો
લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલથી જન્મતા બાળકોનું ભવિષ્ય અને તેમના અધિકારો અત્યંત મહત્વનો મુદ્દો છે. હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ ની કલમ ૧૬ મુજબ, આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવે છે. કાયદો બાળકોને ક્યારેય અનૌરસ કે ગેરકાયદેસર ગણતો નથી. આવા બાળકો પોતાના માતા-પિતા પાસેથી ભરણપોષણ મેળવવા માટે સંપૂર્ણપણે હકદાર છે. આ ઉપરાંત, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ના નિયમો અનુસાર, આવા બાળકોને તેમના માતા-પિતાની સ્વ-ઉપાર્જિત મિલકતમાં વારસાઈ અધિકાર મળે છે. જો કે,તેઓ માતા-પિતાની પૂર્વજોની મિલકતમાં સીધો દાવો કરી શકતા નથી. આમ, કાયદો એ સુનિશ્ચિત કરે છે કે માતા-પિતાના સંબંધો ગમે તેવા હોય, પરંતુ બાળકના કાનૂની અને સામાજિક અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થવું જોઈએ.
સાક્ષ્ય અધિનિયમ હેઠળ લગ્નનું અનુમાન
ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ ૧૧૪ અદાલતોને ચોક્કસ તથ્યોનું અનુમાન કરવાની સત્તા આપે છે. કાયદાનો સામાન્ય સિદ્ધાંત છે કે જો કોઈ પુરુષ અને સ્ત્રી સમાજની સામે લાંબા સમય સુધી એક જ ઘરમાં સાથે રહે છે અને સમાજ તેમને પતિ-પત્ની તરીકે ઓળખે છે, તો અદાલત એવું ગૃહીત ધારી લેશે કે તેમની વચ્ચે કાયદેસરના લગ્ન થયા છે. કાયદો અનૈતિકતા કે અવૈધતાના બદલે લગ્નની તરફેણમાં અનુમાન કરવાનું પસંદ કરે છે. બદરી પ્રસાદ વિ. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ કન્સોલિડેશન (૧૯૭૮) ના ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે ૫૦ વર્ષથી સાથે રહેતા યુગલના સંબંધને કાયદેસર લગ્નનો દરજ્જો આપ્યો હતો. પરંતુ જો સામા પક્ષે એવું સાબિત કરવામાં આવે કે સંબંધ માત્ર ક્ષણિક કે વ્યાવસાયિક હતો, તો આ અનુમાન રદ થઈ શકે છે.ઉત્તરાખંડ રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દરેક યુગલ માટે રજિસ્ટ્રેશન (નોંધણી) કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સંબંધ શરૂ થયાના ૧ મહિનાની અંદર રજિસ્ટ્રાર સમક્ષ નિવેદન નોંધાવવું પડે છે. જો કોઈ યુગલ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર સાથે રહે છે, તો તેમને જેલની સજા અથવા દંડ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટ : ડી.વેલુસામીકેસના માપદંડો
આ કેસમાં સુપ્રીમ કોર્ટે “Relationship in the nature of marriage” ગણવા માટે ચાર મુખ્ય માપદંડો નક્કી કર્યા છે:૧. યુગલે સમાજમાં પોતાને પતિ-પત્ની જેવા જ રજૂ કર્યા હોવા જોઈએ.૨. બંને ભાગીદારો લગ્ન માટેની કાનૂની વય (પુરુષ ૨૧ વર્ષ અને સ્ત્રી ૧૮ વર્ષ) ધરાવતા હોવા જોઈએ.૩. બંને કાનૂની રીતે લગ્ન કરવા માટે લાયક હોવા જોઈએ, એટલે કે બંનેમાંથી કોઈ અગાઉથી પરણિત ન હોવું જોઈએ.૪. તેઓ પોતાની મરજીથી લાંબા સમય સુધી સ્વેચ્છાએ એક જ ઘરમાં રહ્યા હોવા જોઈએ. જો આ ચાર શરતો પૂરી થાય, તો જ મહિલા ઘરેલું હિંસા કાયદા કે ભરણપોષણ હેઠળ કાનૂની રાહતો મેળવી શકે છે.
સમગ્ર વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ એ કોઈ ગુનો નથી પણ બંધારણીય અધિકાર છે. ભારતીય ન્યાયતંત્રે પ્રગતિશીલ વલણ અપનાવીને બદલાતા સમાજની વાસ્તવિકતાઓને સ્વીકારી છે અને મહિલાઓ તથા બાળકોના અધિકારોનું રક્ષણ કર્યું છે. ઘરેલું હિંસા અધિનિયમ, ૨૦૦૫અને હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની જોગવાઈઓએ આ સંબંધોને કાનૂની સુરક્ષા આપી છે. જો કે, કાનૂની સ્પષ્ટતા અને સામાજિક સુરક્ષા વચ્ચે હજુ પણ સંતુલન સાધવાની જરૂર છે. ભવિષ્યમાં સમગ્ર દેશ માટે લિવ-ઇન સંબંધો અંગે સ્પષ્ટ કેન્દ્રીય કાયદો અથવા નોંધણી પ્રક્રિયા લાવવામાં આવે, તો તે યુગલોના અધિકારોની રક્ષા કરશે અને સાથે સાથે સામાજિક સ્થિરતા જાળવવામાં પણ મદદરૂપ થશે.
કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.




