બાળકની સાવ નાની, ક્યારેક બિનજરૂરી લાગતી જીદ પણ તેની માટે સૌથી મહત્વની બની જાય છે. પોતાના હજારો કામ, થાક અને ચિંતાઓને એક બાજુ મૂકી,એ માત્ર બાળકના ચહેરા પરનું સ્મિત આપવા દોડતી આવે છે.માતાનો પ્રેમ સમજાવવા શબ્દો ઓછા પડે છે. કારણ કે મા પોતે જ સૌથી સુંદર લાગણી છે.
જન્મ આપનારી કે જીવનદાન આપનારી માના નિસ્વાર્થ પ્રેમ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક ખાસ દિવસ હોય નહીં, ખરેખર તો માના પ્રેમનો આભાર માનવા માટે કોઈ એક દિવસ પૂરતો નથી. મા બાળકના જન્મથી લઈને પોતાના જીવનના અંત સુધી નિસ્વાર્થ ભાવથી પ્રેમ, મમતા, સંસ્કાર અને ત્યાગ આપતી રહે છે. બદલામાં તે માત્ર પ્રેમ અને લાગણી જ ઈચ્છે છે.
- Advertisement -
સ્ત્રીનું સર્જન ઈશ્વરે કર્યું હશે ત્યારે કદાચ તેમણે વિચાર્યું હશે કે તેના થકી થનાર સર્જન અને તેનું સંચાલન કરવા માટે એક માને અપરંપાર ધીરજ, નિસ્વાર્થ પ્રેમ અને અસીમ સહનશક્તિની જરૂર પડશે. તેથી જ ઈશ્વરે માના હૃદયમાં અખૂટ મમતા અને સહનશીલતા ભરી છે.
મા જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે છતાં પોતાના સંતાનો માટે હંમેશા મજબૂત બનીને ઉભી રહે છે. તે પોતાના દુ:ખ, થાક અને સમસ્યાઓને પાછળ મૂકી સંતાનોના સુખને પ્રથમ સ્થાન આપે છે. કદાચ એ જ કારણ છે કે મા શબ્દ માત્ર એક સંબંધ નથી, પરંતુ ત્યાગ, સમર્પણ અને અનંત પ્રેમનું પ્રતિક છે.
આજના આધુનિક સમયમાં માતાનું સ્થાન વધુ ઊંચું અને ગૌરવપૂર્ણ લાગે છે. ખાસ કરીને વર્કિંગ મધર માટે જીવનની જવાબદારીઓ અનેકગણી વધી ગઈ છે. દેશ હોય કે પરદેશ, દરેક જગ્યાએ કામકાજ સાથે બાળકોના ઉછેર અને પરિવારની જવાબદારી નિભાવવી સહેલી બાબત નથી.
- Advertisement -
બહાર કામકાજ કરતી સ્ત્રી જ્યારે ઘરે આવે ત્યારે શારીરિક અને માનસિક રીતે થાકી ગયેલી હોય છે. છતાં પોતાના બાળકનો ચહેરો જોતા જ તેના અંદર ફરી નવી ઊર્જા અને ઉત્સાહ જન્મે છે. તે પોતાના થાકને ભૂલી બાળકની જરૂરિયાતો, પરિવારની સંભાળ અને ઘરની જવાબદારીઓમાં ફરી સમર્પિત થઈ જાય છે.
બાળહઠથી તો દરેક વ્યક્તિ પરિચિત છે. બાળક ક્યારેક નાની-નાની બાબતોમાં જીદ કરે, રડે અથવા માતાને સતત પોતાની આસપાસ ઈચ્છે. પરંતુ એવા સમયે પણ એક મા અદભૂત ધીરજથી બાળકને સંભાળે છે. પોતાના આરામ, પોતાની ઇચ્છાઓ અને પોતાના થાકને પાછળ મૂકી તે માત્ર મા બની જાય છે.
ખરેખર, માના પ્રેમ અને ત્યાગનું મૂલ્ય કોઈ માપી શકતું નથી. માતાનું ઋણ શબ્દોથી કે ઉપકારોથી ક્યારેય ઉતારી શકાય તેમ નથી. આપણે માત્ર એટલું કરી શકીએ કે તેમને પ્રેમ, સન્માન અને લાગણી આપીને તેમના ત્યાગને માન આપીએ.
જ્યારે એક સ્ત્રી માત્ર દીકરીના સ્વરૂપે હોય છે ત્યારે મનમાં પોતાની મા માટે પ્રેમ અને લાગણી હોય તે સ્વાભાવિક છે, પરંતુ તે સમયે માના ત્યાગની ઊંડાઈને સંપૂર્ણ રીતે સમજી શકતી નથી. સમય જતા જયારે તે પોતે મા બને છે, ત્યારે તેને સમજાય છે કે માતૃત્વ માત્ર આનંદ નથી, પરંતુ જવાબદારી, ત્યાગ, ધૈર્ય અને અવિરત સંઘર્ષનું નામ છે. ત્યારે જ તે પોતાની માના નિસ્વાર્થ પ્રેમને સાચા અર્થમાં અનુભવી શકે છે.આજ કારણે દીકરી માની વધુ નજીક હોય છે.
બાળકની ચિંતા, તેના ભવિષ્ય માટેની વ્યાકુલતા, પરિવાર માટે પોતાના સપનાઓનો ત્યાગ, આ બધું એક મા કેવી રીતે નિભાવતી હોય છે તેનો અનુભવ દીકરી વધુ સારી રીતે કરી શકે છે. દીકરાને મન મા હંમેશા પ્રેમ આપનારી જનેતા બનીને રહે છે, પરંતુ દીકરી માટે મા જીવનનો પ્રતિબિંબ બની જાય છે.
મધર્સ ડે પર સામાન્ય રીતે માના પ્રેમ, ત્યાગ અને સમર્પણની વાતો કરવામાં આવે છે, પરંતુ આજના સમયમાં માતૃત્વનો અર્થ માત્ર સંતાનોને ઉછેરવાનો જ નથી રહ્યો. આજની માતા પોતાના બાળકોના વ્યક્તિત્વ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. બાળકનો યોગ્ય ઉછેર માત્ર તેના વર્તમાનને નહીં, પરંતુ સમગ્ર સમાજના ભવિષ્યને ઘડે છે.
સમય બદલાયો છે અને તેની સાથે માતૃત્વની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. આજની શિક્ષિત મા બાળકોની મિત્ર બની રહી છે. તે માત્ર આદેશ આપતી મા નથી, પરંતુ સમજતી, સાંભળતી અને માર્ગદર્શન આપતી સાથીદાર બની રહી છે.
ખાસ કરીને દીકરી માટે માની મિત્રતા ખૂબ જ મહત્ત્વની અને જરૂરી બની રહી છે. સમય એવો આવી ગયો છે કે નાની ઉંમરમાં થી જ દીકરીઓને સારા નરસાનું ભાન કરાવવું અગત્યનું બની ગયુ છે. જ્યારે દીકરી મિત્ર સમાન માને પોતાની વાત નિર્ભયતાથી માને કહી શકે તો જીવનના અનેક ખોટા નિર્ણયોથી બચી શકે છે.
આજના યુગમાં બાળકો સામે અનેક પ્રલોભનો સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે. સોશિયલ મીડિયા, ખોટી મિત્રતા, મોબાઇલનું વધતું વ્યસન અને આધુનિક જીવનશૈલી યુવાનોને ઘણી વાર ગેરમાર્ગે દોરી શકે છે.
ટીનએજ બાળકોના સ્વભાવની એક વિશેષતા એ છે કે તેઓ વધારે રોકટોક પસંદ કરતા નથી. સતત ના સાંભળવાથી તેઓ ઘણી વાર વિદ્રોહી બની જાય છે.
તેથી માતાએ ધૈર્ય, સમજદારી અને મિત્રતાપૂર્વકનો અભિગમ અપનાવવો જરૂરી બની ગયો છે. બાળકોને યોગ્ય સ્વતંત્રતા સાથે તેમની પ્રવૃત્તિઓ પર પ્રેમભર્યો નિયંત્રણ પણ રાખવું એટલું જ જરૂરી છે. આ કાર્ય એક શિક્ષિત અને જાગૃત મા સારી રીતે કરી શકે છે.
માતા માત્ર બાળકને જન્મ આપતી નથી, પરંતુ તે તેના વ્યક્તિત્વને ઘડે છે, જીવનના મૂલ્યો શીખવે છે અને સંજોગો સામે લડવાની શક્તિ આપે છે. બાળક જ્યારે નિષ્ફળ જાય ત્યારે તેને હિંમત આપનાર અને સફળ થાય ત્યારે ગર્વથી આંખો ભીની કરનાર વ્યક્તિ એટલે મા.
મધર્સ ડે માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ માના ત્યાગ, પ્રેમ અને સંઘર્ષને સમજવાનો અવસર છે. જો આપણે ખરેખર માનો આભાર માનવો હોય, તો માત્ર એક દિવસ શુભેચ્છા પાઠવી પૂરતું નથી. તેમના પ્રત્યે માન, સમય, લાગણી અને સન્માન આપવું વધુ
જરૂરી છે.



