ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 300 કિમી દૂર છે. આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સમયાંતરે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી 4 દિવસ માવઠાની આગાહી કરી છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાક દરમિયાન ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ અને બોટાદને ભારે વરસાદ માટે યલો એલર્ટ છે. ગુજરાતભરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
પહેલી નવેમ્બરના રોજ ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં વીજળી પડવા અને ભારે પવન ફૂંકાઈ શકે છે.
બીજી નવેમ્બરે હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ત્રીજી નવેમ્બરના રોજ, રાજ્યના બધા જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની આગાહી છે.
ચોથી નવેમ્બરના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સિવાયના બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.
પાંચમી અને છઠ્ઠી નવેમ્બર દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે.



