10થી 15 દિવસમાં સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા માગ
વાહનચાલકોને ફરી હાલાકી થશે તો કોંગ્રેસના આંદોલનની ચીમકી
- Advertisement -
ચોમાસા પહેલા હાઇવે સુધારો, નહીં તો રસ્તા પર ઉતરશે કોંગ્રેસ
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ–જેતપુર નિર્માણાધીન સિક્સલેન હાઇવે પર ચોમાસા દરમિયાન સર્જાતી ટ્રાફિક, રોડ સલામતી અને માર્ગ સુવિધા સંબંધિત ગંભીર સમસ્યાઓને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે અને કોંગ્રેસના ડેલીગેશને આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિસ્તૃત રજૂઆત કરી છે. રાજકોટ–જેતપુર હાઇવે સમગ્ર સૌરાષ્ટ્રની જીવનદોરી સમાન ધોરી માર્ગ છે. આ માર્ગ પર રોજ હજારો વાહનો, ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલ માલવહન, પ્રવાસન ક્ષેત્ર તેમજ સામાન્ય નાગરિકોની અવરજવર નિર્ભર છે. હાઇવેના નિર્માણ માટે આપવામાં આવેલી મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાના બે વર્ષનો સમય આપવામાં આવ્યો હોવા છતાં કામગીરી હજુ અધૂરી છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિકાસ, વેપાર-ઉદ્યોગ, પરિવહન અને સામાન્ય જનજીવનને સીધી અસર થઈ રહી છે.
- Advertisement -
રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી ગયા વર્ષ દરમિયાન જ્યાં જ્યાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી તે તમામ સ્થળોની તાત્કાલિક ઓળખ કરી તેના કારણોનું
તકનીકી મૂલ્યાંકન કરવામાં આવે અને ચોમાસા પૂર્વે અસરકારક ઉકેલ અમલમાં મૂકવામાં આવે. હાઇવે પર ચાલતી ઓવરબ્રિજ, અંડરપાસ તથા અન્ય બાંધકામની કામગીરીને કારણે વાહન વ્યવહાર જે સર્વિસ રોડ પરથી પસાર થાય છે તે તમામ સર્વિસ રોડનું લેવલિંગ, મજબૂતીકરણ, ખાડા પુરવાની કામગીરી, પાણી નિકાલ વ્યવસ્થા તથા જરૂરી સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે. હાઇવે પર અનેક સ્થળોએ ખાડા, ધૂળની સમસ્યા, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ, અવ્યવસ્થિત ડાયવર્ઝન, અધૂરા ડ્રેનેજ કામો તથા અન્ય તકનિકી ખામીઓ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહી છે. તેથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોન્ટ્રાક્ટરોને કડક સૂચનાઓ આપી આ તમામ ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે.
પ્રિ-મોન્સૂન કામગીરીમાં કોઈ પ્રકારની ઢીલાશ ન રહે તે માટે હાઇવેના અલગ-અલગ કિલોમીટર વિભાગો માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની સીધી દેખરેખ હેઠળ કામગીરી પૂર્ણ કરાવવાની તેમજ કામગીરી માટે સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે ટ્રાફિક ચક્કાજામના કારણે દરરોજ હજારો લીટર ઇંધણનો બિનજરૂરી બગાડ થાય છે, જેના કારણે વાહનચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. વૈશ્વિક સ્તરે ઇંધણની વધતી માંગ અને કિંમતો વચ્ચે આ પ્રકારનો બગાડ ચિંતાજનક છે. તેથી વાહન વ્યવહાર વધુમાં વધુ સુચારૂ બને તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવે.
વાહનચાલકોને હાઇવે પર સર્જાતી સમસ્યાઓ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન શરૂ કરવાની તથા તેના નંબર હાઇવે પર મોટા બેનરો અને સૂચક બોર્ડ મારફતે જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. રજૂઆતમાં માર્ગ સલામતીના મુદ્દાને વિશેષ મહત્વ આપતા જણાવાયું છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ તમામ ડાયવર્ઝન, જોખમી સ્થળો અને બાંધકામ વિસ્તારોમાં રિફ્લેક્ટિવ સાઇનબોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, ચેતવણી સૂચનાઓ, ડેન્જર માર્કિંગ, બેરિકેડિંગ, કૅટ આઈ સહિતના તમામ રોડ સેફ્ટી સાધનો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી અકસ્માતોની સંભાવના ઘટાડી શકાય. ગયા ચોમાસા દરમિયાન ટ્રાફિક જામથી પ્રભાવિત થયેલા સ્થળોની સમીક્ષા કરી જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કરીને આવા સ્થળોએ કાયમી અથવા અસ્થાયી ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉભા કરવાની માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે.
રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આરોગ્ય સેવાઓનું મહત્વનું કેન્દ્ર હોવાથી દરરોજ અનેક ગંભીર દર્દીઓને લઈને એમ્બ્યુલન્સો આ માર્ગ પરથી પસાર થાય છે. ટ્રાફિક જામના કારણે જીવન અને મરણ વચ્ચે ઝઝૂમતા દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર બનતી હોવાનું જણાવી એમ્બ્યુલન્સોને અવરોધમુક્ત માર્ગ મળી રહે તે માટે વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. હાઇવે પર આવેલા બંને ટોલ પ્લાઝાઓના સંચાલકોને પણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોનું કડક પાલન કરાવવા રજૂઆતમાં માંગ કરવામાં આવી છે. જો ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતાર સર્જાય અથવા રાહ જોવાનો સમય નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો નિયમ મુજબ ટોલ લેન ખુલ્લી મૂકીને વાહન વ્યવહાર સરળ બનાવવાની સૂચના આપવામાં આવે. ગયા વર્ષે ટોલ પ્લાઝા પર સર્જાયેલી ટ્રાફિક સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ રજૂઆતમાં ભાર મૂકવામાં આવ્યો છે.
અંતમા ડેલિગેશને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આગામી 10થી 15 દિવસની અંદર સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા, કરવામાં આવેલી કામગીરીનો જાહેર અહેવાલ પ્રસિદ્ધ કરવા અને સૌરાષ્ટ્રની જીવનદોરી સમાન રાજકોટ–જેતપુર હાઇવેને સુરક્ષિત, સુવિધાસભર અને ટ્રાફિકમુક્ત બનાવવા તાત્કાલિક અસરકારક કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.
આ રજૂઆતમા કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત,યુવા કોંગ્રેસના અમિત ચૌધરી,યશ ભીંડોરા,પ્રશીલ રાજદેવ,રોનક રવૈયા ,યશ ઉનડકટ જોડાયા હતા. અંતમા કોંગ્રેસ નેતાએ એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે ગયા વર્ષ જેવી આ ચોમાસામા વાહનચાલકોને હાલાકી પડશે તો નેશનલ હાઇવેની રાજકોટ સ્થિત ઓફિસ પર જ ધરણા કરાશે અને મોટું આંદોલન પણ કરવામા આવશે. આ રજૂઆતની નકલ જિલ્લા કલેક્ટર રાજકોટ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રાદેશિક કાર્યાલય ગાંધીનગર, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યાલય નવી દિલ્હી તથા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પણ મોકલવામાં આવી છે.




