સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર જાણ કરી હોવા છતાં કોઈ ઉકેલ નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્યમાં સીઝનના પ્રથમ વરસાદે જ કેટલાક વિસ્તારોમાં તંત્રની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં પણ કઈક આ પ્રકારની સ્થિતિ સામે આવી છે જેમાં ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1ના મયુરનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દર વર્ષે અહીં વરસાદી પાણી ભરવાની સમસ્યા ઉદભવે છે. રોડ રસ્તાની સુવિધાથી વંચિત આ વિસ્તારમાં વરસાદી પાણી ભરવાના લીધે કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે સ્થાનિકો દ્વારા આ અંગે વારંવાર પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસરને જાણ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં થવાને લીધે હવે આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાંથી દુર્ગંધ આવે છે આજુબાજુ રહેતા રહીશોના નાના બાળકો અને વૃધ્ધો બીમારી ભોગ બને છે ત્યારે ચૂંટણી ટાણે મત માટે નજરે પડતા રાજકીય નેતાઓ અને સુધરાઈ સભ્યોને સ્થાનિકોની આ દયનીય હાલત નજરે પડતી નથી. એક તરફ શહેરને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કરતા પાલિકાના સત્તાધીશોના વિસ્તારમાં જ આ પ્રકારની નર્કાગાર જેવી સ્થિતિમાં રહીશો પોતાનું જીવન ગાળતા નજરે પડે છે. ત્યારે વોર્ડ નંબર 1ના આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી થાય તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે.