ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા
લાંબા સમયથી કેનેડા અનેક વિદેશી બાબતોના પડકારોનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં ભારતીય મૂળના કેનેડિયન રાજકારણી અનિતા આનંદે કેનેડામાં માર્ક કાર્ની કેબિનેટના નવા વિદેશ પ્રધાન તરીકે શપથ લીધા. હિન્દુ ધર્મગ્રંથ ભગવદ ગીતા પર હાથ રાખીને, અનિતા આનંદ, જે કેનેડાના વિદેશ પ્રધાન બનનાર પ્રથમ હિન્દુ મહિલા છે, તેમણે શપથ લીધા. મંત્રીમંડળમાં આ તેમનો પહેલો પ્રસંગ નથી અને અગાઉ પણ તેમણે ગીતાને સાક્ષી રાખી શપથ લીધેલ છે.
- Advertisement -
અનિતાનો જન્મ કેનેડામાં ભારતીય મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. તેમની માતા સરોજ ડી. રામ પંજાબના હતા અને તેમના પિતા એસ.વી. આનંદ તમિલનાડુના હતા. કોર્પોરેટ વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરીને, 2015 માં, તેઓ ઓન્ટારિયો સરકારની નિષ્ણાંત સમિતિનો ભાગ બન્યા. 2019 માં, તેઓ ઓકવિલેથી ચૂંટાયા હતા અને કોવિડ-19 સમયગાળા દરમિયાન જાહેર સેવાઓ મંત્રી તરીકે ફરજ બજાવી હતી.
માર્ક કાર્નીની સરકારમાં અનેક બદલાવો
માર્ક કાર્નીના પ્રથમ મંત્રીમંડળમાં 28 મંત્રીઓ, 10 રાજ્ય સચિવો છે. શફગત અલી, જીલ મેકનાઈટ, ટિમ હોજસન, એલેનોર ઓલ્સઝેવસ્કી, મેન્ડી ગુલ-માસ્ટી, જોએલ લાઇટબાઉન્ડ, ગ્રેગર રોબર્ટસન, ઇવાન સોલોમન, વેઇન લોંગ અને નાથાલી પ્રોવોસ્ટ સહિત 24 નવા ચહેરાઓ છે. અનુભવી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને ડોમિનિક લેબ્લેન્ક તેમની હાલની ભૂમિકાઓ જાળવી રાખેલ છે.
- Advertisement -
અનિતા આનંદ, જેમનું મધ્યમ નામ ઇન્દિરા છે, તેમની પાસે ચાર ડિગ્રી છે: ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સ્ટડીઝમાં બીએ (સુવર્ણ ચંદ્રક વિજેતા, 1989), ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રમાં બીએ, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક અને ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર. તેમણે કેનેડિયન વકીલ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ જોન નોલ્ટન સાથે લગ્ન કર્યા છે, અને તેમના ચાર બાળકો છે. અનિતા આનંદે તાજેતરમાં રાજકીય જીવન છોડવાની તેમની યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ જસ્ટિન ટ્રુડો સરકારના પતનથી તેમના જીવનનો માર્ગ બદલાઈ ગયો.
કાર્નીના આ નિર્ણય થકી ભારત-કેનેડા સંબંધો સુધરી શકે તેવી સંભાવના
જસ્ટિન ટ્રુડોના વિવાદાસ્પદ કાર્યકાળ પછી નવા ચૂંટાયેલા કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કેબિનેટમાં મોટા પાયે ફેરફાર કરીને ભારતીય મૂળના અનુભવી રાજકારણી અનિતા આનંદને દેશના નવા વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના શાસનકાળમાં રાજદ્વારી કટોકટીની શ્રેણી બાદ કેનેડાના ભારત સાથેના સંબંધો સૌથી નીચા સ્તરે છે ત્યારે આનંદ મેલાનીએ જોલીનું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
સપ્ટેમ્બર 2023 માં ટ્રુડોએ કેનેડિયન નાગરિક અને શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ફાટી નીકળ્યો હતો. બંને દેશોએ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા, કોન્સ્યુલર સેવાઓ સ્થગિત કરી. ઓક્ટોબર 2024 માં પરિસ્થિતિ વધુ વણસી, કેનેડાએ છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા અને ભારતે પણ પ્રતિક્રિયા આપી, જેનાથી મડાગાંઠ વધુ ઘેરી બની.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે X પર એક પોસ્ટમાં આનંદને તેમના કેનેડિયન સમકક્ષ તરીકે નિમણૂક બદલ અભિનંદન આપ્યા.
આનંદની નિમણૂક કરવાના કાર્નેના નિર્ણયને ટ્રુડોના અભિગમથી અલગ થવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે આનંદની રાજદ્વારી કુશળતા અને વ્યક્તિગત પૃષ્ઠભૂમિનો ઉપયોગ ભારત પ્રત્યે સદ્ભાવનાનો સંકેત દર્શાવી રહ્યો છે.
આનંદ માટે સંભવિત પડકારો
કેનેડા માત્ર ભારત વિવાદનો જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વૈશ્વિક જોડાણો અને વેપાર તણાવનો પણ સામનો કરી રહ્યું છે. આ જટિલતાઓને નેવિગેટ કરવાની અને ભારત સાથે સંવાદ પુનઃસ્થાપિત કરવાની તેમની ક્ષમતા પર નજર રાખવામાં આવશે. અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવાના માર્ક કાર્નેના નિર્ણયને કેટલાક લોકો ટ્રુડોના શાસનકાળમાં થયેલા નુકસાનને સુધારવાના પ્રયાસ તરીકે જુએ છે, પરંતુ ભારત-કેનેડા સંબંધોને સામાન્ય બનાવવાનો માર્ગ હજુ પણ મુશ્કેલ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કેનેડાના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ વાત સામે આવી છે, જેના કારણે કાર્ને તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમની લિબરલ પાર્ટીને વિજય અપાવવામાં મદદ મળી હતી.