મહિલાઓ 8 માર્ચે સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર બેસી શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેનિ્ંડગ કમિટી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જાહેરાત કરતા જણાવે છે કે, આવતીકાલે 8-મી માર્ચ, 2025ના રોજ 114-મા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે રાજકોટમાં મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા, એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ મહિલાઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં સરકાર ‘ક્ધયા કેળવણી’ અભિયાન, ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજીસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે. રાજકોટ મનપાના શાસકો જણાવે છે, મિલકત વેરા અને પાણી વેરામાં મહિલાઓના મિલકતના કિસ્સામાં એડવાન્સમાં મિલકતવેરામાં વિશેષ 5% વળતર આપવામાં આવે છે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીનીઓ માટે ‘સુક્ધયા સમૃધ્ધિ યોજના‘ હેઠળ વાર્ષિક રૂ.1,500/- જેટલું યોગદાન દરેક ‘સુક્ધયા સમૃધ્ધિ યોજના‘ ખાતા દીઠ આપવા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ગ્રાન્ટ ફાળવેલ છે. દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’, ‘રક્ષાબંધન’ અને ‘ભાઈબીજ’ના પવિત્ર દિવસે મહિલાઓને ભેટ સ્વરૂપે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી છૂટ આપે છે. જે પ્રમાણે આવતીકાલે 8-મી માર્ચ, 2025ના રોજ મહિલાઓ સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે, જેનો મહતમ લાભ લેવા અનુરોધ કરેલ છે.