– ચૂંટણી આચારસંહિતાને 60 દિવસ બાકી: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના સમય વિશે અટકળો ચાલી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસના ઘટનાક્રમોથી રાજકીય ગરમી વધવા લાગી છે જયારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવુ સૂચક વિધાન કર્યુ છે કે ચૂંટણી આચારસંહિતા લાગુ પડવાને હવે માત્ર 60 દિવસ બાકી છે. વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારી કરી જ રહ્યા છે.
- Advertisement -
ભાજપ સરકારે બે મંત્રીઓ- રાજેન્દ્ર ત્રિવેદી તથા પુર્ણેશ મોદી પાસેથી અનુક્રમે મહેસુલ તથા માર્ગ મકાન વિભાગનો હવાલો છીનવી લેતા આંતરિક પ્રત્યાઘાતો છે. ભાજપ પ્રભારી બી.એલ.સંતોષ સંગઠન બેઠકમાં વ્યસ્ત છે અને આજે રાજકોટમાં સૌરોટ્ર ઝોન બેઠક રાખી છે તેવા સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું સૂચક વિધાન કર્યુ છે કે ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા 60 દિવસમાં લાગુ પડી જશે તેનો સીધો અર્થ એવો થાય છે કે નવરાત્રી-દશેરા બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે.
વડોદરાના એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેઓએ કહ્યું કે ચૂંટણી આચારસંહિતાને 60 દિવસ બાકી છે ત્યારે રાજયની તમામ 182 બેઠકો જીતવા પાર્ટીએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. એક-એક કલાકનો પ્લાન બનાવીએ છીએ. આ કાર્યક્રમ માટે મને બે કલાકનો સમય ફાળવવા કહેવામાં આવ્યુ હતું. પરંતુ એક બેઠક માટે બે કલાક ફાળવુ તો અન્ય બેઠકોનું શું થાય? તમામ 182 બેઠકો માટે પ્રચાર કરવાનો છે.
વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ એમ ત્રણેય રાજકીય પક્ષો સજજ થઈ જ ગયા છે. ચૂંટણી નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજવાની અટકળો છે. તેવા સમયે પાટીલના સૂચક વિધાનોના આધારે ચૂંટણી અટકળો કરતા પણ એકાદ સપ્તાહ વ્હેલી થઈ શકે છે અને દિવાળી વખતે કદાચ આચારસંહિતા લાગુ થઈ જવાની શકયતાનો ઈન્કાર થતો નથી. પાટીલના આ વિધાનથી ભાજપના કાર્યકરોમાં પણ આંતરિક ચર્ચાએ જોર પકડયું છે.
- Advertisement -