ભૂંડે હાલ પાછા ફર્યા પછી કેટલાક ફરી ડંકી રૂટથી યુએસ જવાની તૈયારીમાં હોવાથી એજન્ટને ખુલ્લા પાડી સંબંધ બગાડવા ન માગતા હોવાની ચર્ચા :
આબરૂ જવાની બીક, લેણિયાતથી બચવા પણ ઘણા મોં છુપાવી રહ્યા છે !
- Advertisement -
પોલીસના ડરને કારણે મોટાભાગના ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા
ગત તા. 5 ફેબ્રુઆરીના રોજ અમેરિકાથી ડિપોર્ટેશન ફ્લાઈટમાં પાછાં આવેલા 33માંથી મોટાભાગનાં ગુજરાતીઓનો હાલ કોઈ પત્તો નથી. આ તમામ લોકોને અમૃતસરથી ફેબ્રુઆરી 06ના રોજ અમદાવાદ લવાયા હતા અને પોલીસ પ્રોટેક્શનમાં જ ઘર સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા તેમના ઘરે થોડીવાર પૂછપરછ કરાઈ હતી પરંતુ ત્યારબાદ આ લોકોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. રિપોર્ટ અનુસાર સમાજના લોકોને શું જવાબ આપવો તેની અસમંજસ તેમજ પોલીસના ડરને કારણે મોટાભાગના ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.
- Advertisement -
એવી પણ ચર્ચા છે કે, આ લોકોને તેમના એજન્ટોએ જ હાલ ગાયબ થઈ જવા માટે સૂચના આપી છે, જેના કારણે મોટાભાગના લોકોનાં ઘરના દરવાજે હાલ તાળાં લટકી રહ્યાં છે અને ફોન પર પણ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો.
ચોંકાવનારી વાત એ છે કે, ટ્રમ્પે જેટલા પણ ગુજરાતીઓને પાછા મોકલ્યા છે તે તમામ ફરી ઈલીગલ રૂટથી જ અમેરિકા જવા તૈયારી કરી રહ્યા હોવાથી તેઓ એજન્ટ સાથેના સંબંધ ખરાબ કરવા નથી માગતા, એટલે જ તેઓ ના માત્ર એજન્ટોની વાત ચૂપચાપ માની રહ્યા છે પરંતુ સાથે જ પોલીસ સુધી એજન્ટનું નામ ના પહોંચે તેની પણ ખાસ તકેદારી રાખી રહ્યા છે.
આ પહેલા ડિસેમ્બર 2023માં ફ્રાંસથી જે ડોંકી ફ્લાઈટને પાછી મોકલાઈ હતી તેમાં પરત આવેલા મોટાભાગનાં ગુજરાતીઓ પણ ગણતરીના દિવસોમાં જ ફરી યુએસ પહોંચી ગયા હતા. ગુજરાતીઓને અમૃતસરથી લઈને આવેલી ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થઈ ત્યારથી જ તેમના પરિવારજનો તેમજ સંબંધીઓ મીડિયા આગળ ગોળ-ગોળ વાતો કરી રહ્યા હતા.
આ તમામ લોકોએ પોતે કોઈ એજન્ટના સંપર્કમાં હોવાનું કે પછી તેમની સાથે આર્થિક વ્યવહાર કર્યો હોવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જોકે, સૂત્રોનું માનીએ તો પાછા આવેલા લોકોના ફેમિલીવાળા મીડિયા સામે જે કંઈ બોલી રહ્યા હતા તે સ્ક્રીપ્ટ એજન્ટોએ જ તેમને ગોખાવી કાઢી હતી, જેથી પોતાને કોઈ પ્રોબ્લેમ ના થાય.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 05ના રોજ ડિપોર્ટેશન ફ્લાઈટ લેન્ડ થઈ તેના બીજા કે ત્રીજા દિવસે જ પંજાબ અને હરિયાણામાં એજન્ટો સામે ચાર જેટલી FIR નોંધાઈ હતી અને ત્યાંના મોટાભાગના લોકોએ એજન્ટોએ પોતાની સાથે કઈ રીતે છેતરપિંડી કરી તેને લગતી માહિતી પણ મીડિયાને આપવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ગુજરાતમાં હજુ સુધી કોઈએ મોઢું નથી ખોલ્યું અને ગુજરાતના એજન્ટો પણ હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રોનું માનીએ તો જે લોકો પાછા આવ્યા છે તેમના નામ અને અન્ય ડિટેલ્સ સિવાય બીજું કંઈ જ વેરિફાઈ નથી કરાયું, આ લોકો ઓરિજિનલ પાસપોર્ટ પર અમેરિકા ગયા હતા કે કેમ તેની વિગતો ચકાસવાની પણ હજુ બાકી છે. તેના માટે પોલીસે પાસપોર્ટ ઓફિસમાંથી પણ ડેટા મેળવવો પડશે, જોકે પોલીસની વધુ પૂછપરછ તેમજ તેની સાથે બીજી કોઈ વિગતો શેર કરવાથી બચવા માટે મોટાભાગના લોકો હાલ ગાયબ થઈ ચૂક્યાં છે.
ઉત્તર ગુજરાતમાં જો કોઈ અમેરિકાથી પાછું આવે તો સમાજમાં તે વ્યક્તિની આબરૂંનું ધોવાણ થઈ જાય છે અને લોકો પાછા આવનારાને કઈ સ્થિતિમાં આમ કરવું પડ્યું તે જાણવાને બદલે તેના જ વાંક કાઢીને તેનું જીવવું હરામ કરી નાખતા હોય છે.
આ ઉપરાંત ડિપોર્ટ કરાયેલા અમુક લોકો અમેરિકામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રહેતા હોવા છતાંય તેમનું દેવું હજુ સુધી પૂરું ના થયું હોવાથી ઈન્ડિયા પાછા આવ્યા બાદ દેવું કઈ રીતે ચૂકતે થશે તેની ચિંતા પણ આ લોકોને સતાવી રહી છે, જ્યારે જે 19 લોકોને બોર્ડર પરથી જ પકડીને પાછા મોકલાયા હતા તેઓ ટેકનિકલી અમેરિકા પહોંચ્યા જ ના હોવાથી તેમણે હજુ સુધી એજન્ટને એક પૈસો પણ નથી ચૂકવ્યો અને આ લોકો ફરી પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર બેઠાં છે.