જો મનુષ્યના દેહમાંથી માંસનો એક ટુકડો કાપીને મૂકી રાખવામાં આવે તો શું થશે? થોડા સમયમાં જ એ ગંધાઈ ઊઠશે.
મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યાર પછી આવું જ બને છે. થોડા કલાકોમાં જ મૃતદેહ દુર્ગંધ મારવા લાગે છે. એ વ્યક્તિ જ્યારે જીવંત હતી ત્યારે એને પ્રગાઢપણે ચાહતાં પરિવારજનો પણ એને કાઢી જવા માટે ઉતાવળા થઈ જાય છે.
- Advertisement -
આમ બનવાનું કારણ શું? શરીરમાં બધાં અવયવો, અંગો જેમના તેમ હોવા છતાં આવું કેમ થાય છે? આનું કારણ એ છે કે શરીરમાંથી ચૈતન્યશક્તિ ચાલી ગઈ છે.
જેવી રીતે ’પાવરહાઉસ’માંથી આવતો વિદ્યુતપ્રવાહ અટકી જાય એ સાથે જ ઘરનાં તમામ વીજઉપકરણો નિષ્ક્રિય બની જાય છે, પંખો, એ. સી., ફ્રિજ, ટ્યૂબલાઈટ, ટી. વી. તેમ જ રેડિયો કામ કરતાં બંધ થઈ જાય છે. એવી જ રીતે શરીરમાં કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ’પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે.
આ શક્તિ એ જ ચિતિ શક્તિ છે, એ જ પ્રાણ શક્તિ છે. સુષુમ્ણા નાડીમાં રહેલો પ્રાણ એ જ શરીરને ચેતનવંતુ બનાવે છે.
- Advertisement -
સુષુમ્ણા નાડીમાં રહેલી આ પ્રાણ શક્તિનાં કારણે જ આપણે આંખો વડે જોઈએ શકીએ છીએ, કાન વડે સાંભળી શકીએ છીએ, નાક દ્વારા સૂંઘી શકીએ છીએ. એ શક્તિનાં કારણે જ માણસ તમામ કાર્યો કરી શકે છે.
યોગશાસ્ત્ર અનુસાર મનુષ્ય દેહમાં 72 હજાર નાડીઓ વિસ્તરેલી છે. આ નાડીઓ દ્વારા પ્રાણ શક્તિ શરીરના અણુએ અણુ સુધી પહોંચે છે.
જેવી રીતે રાજા સિંહાસન પર બેસી રહે છે, પરંતુ ત્યાં બેસીને એ સમગ્ર રાજ્યનો વહીવટ કરે છે. તેવી જ રીતે આ કુંડલિની શક્તિ સુષુમ્ણા નાડીમાં રહીને સમગ્ર દેહને ક્રિયાન્વિત રાખે છે. આ કુંડલિની શક્તિને જાગ્રત કરવાથી કલ્પનાતીત સિદ્ધિઓ મેળવી શકાય છે.