કર્મનું ફળ ભોગવવું જ પડે છે. ભગવાન વિષ્ણુના અવતાર એવા શ્રીરામ અને શ્રીકૃષ્ણ પણ કર્મફળથી બચી શક્યા ન હતા. પૂ.શ્રીરમણ મહર્ષિ કર્મફળમાંથી બચવાનો અદ્ભૂત ઉપાય બતાવી ગયા છે. દરેક કર્મનો એક કર્તા હોય છે. જ્યાં સુધી મનુષ્ય કર્તાભાવ સેવે છે ત્યાં સુધી જ તેણે કર્મનું ફળ ભોગવવું પડે છે. જ્યારે મનુષ્ય કર્તાભાવ વિસરીને સાક્ષીભાવ ધારણ કરે છે તે ક્ષણથી તે કર્મના ફળથી મુક્ત થઈ જાય છે. કર્મ કોણ કરે છે? કર્મ કર્તા કરે છે. જ્યારે મનુષ્ય એવી રીતે જીવન જીવવાનું શરૂ કરી દે છે કે હું કર્તા નથી, હું વિશુદ્ધ આત્મા છું, આ બધા કર્મો દેહ દ્વારા થાય છે, તે દિવસથી તે મનુષ્ય કર્મના ફળ ભોગવવામાંથી છૂટી જાય છે. બીજા જન્મમાં તેનું શરીર બદલાઈ ગયું હોય છે. જો પાછલા જન્મના કર્મનું ફળ આ જન્મમાં ભોગવવાનું હોય તો તે મનુષ્યે સ્વીકારી લેવું જોઈએ કે આ ફળ જે ભોગવી રહ્યો છે તે હું નથી, તે આ શરીર છે. આખો ઘટના ક્રમ શરીરના સ્તર પર ચાલ્યો જાય છે.



