રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
પીએમ દ્વારા નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાનનો કરાવેલો પ્રારંભ 100 સપ્તાહ ચાલશે
- Advertisement -
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 ઓગસ્ટ 2026ના રોજ ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આગામી 100 સપ્તાહ સુધી ચાલનારું દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને ડ્રગ્સ અને નશાથી દૂર રાખીને સ્વસ્થ અને સશક્ત ભારત બનાવવાનો છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય જેલ વડા ડૉ. કે.એલ.એન.રાવના આદેશાનુસાર તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ઝોન ડો. ગિરીશ પંડ્યાના નેતૃત્વ હેઠળ જેલ અધિક્ષક વી.પી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય તથા સુફી ઇસ્લામિક બોર્ડના સયુક્ત સહયોગથી રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનારનુ આજ રોજ આયોજન કરવામા આવ્યું હતુ. જે સેમિનારનો મુખ્ય હેતુ નશામુક્ત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવી, સ્વદેશી ભારત અને નશા મુક્તયુવા પ્રતિજ્ઞા માટે પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમમાં આદેશ આશ્રમ ખીરસરાના પ.પૂ. જ્યોતિર્નાથજી મહારાજ, સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ વાઇસ ચાન્સલેસર કમલેશભાઇ જોષીપુરા, રક્ષા વિશેષજ્ઞ હિરેનભાઇ કોટેક, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પૂર્વ સભ્ય જજ અને સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનવર હુસૈન શેખ, ઇ.ચા. નાયબ અધિક્ષક ડી.પી.રબારી તેમજ શ્રીમતિ જ્યોત્સનાબેન બ્રહ્માકુમારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ અતિથિ તથા અધિકારીઓને વૃક્ષનો છોડ આપી સ્વાગત કરવામા આવ્યું હતુ. આ કાર્યક્રમનો જેલમાં રહેલ આશરે 200 બંદિવાનોએ પ્રત્યક્ષ તથા બાકીના તમામ બંદીવાનોએ રેડીયો પ્રિઝન મારફતે લાભ લીધો હતો. તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નશામુક્ત ભારત પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી. અંતે સમુહમાં રાષ્ટ્રગાન કરી વેલફેર ઓફીસર દ્વારા તમામ પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિનિયર જેલર પી.કે.ચુડાસમા તથા તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
રાજકોટમાં 8 પીઆઈની આંતરિક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશનર
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા વહીવટી સરળતા ખાતર શહેરના ૮ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવાના હુકમો જારી કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર, લીવ રીઝર્વ એટેચ EOW ના PI આર.જી. પઢીયારને મહિલા પોલીસ સ્ટેશનમાં અને મહિલા પોલીસ સ્ટેશનના PI એસ.બી. બુટીયાને રીડર ટુ સીપી તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત DCB એટેચ EOW ના PI પી.આર. ડોબરીયાને સાયબર ક્રાઇમ, સાયબર ક્રાઇમના PI બી.બી. જાડેજાને AHTU, AHTU ના PI કે.કે. ગોહિલને ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ-૨ ના PI સી.એન. દવેને EOW, IUCAW ના PI એસ.એમ. સોલંકીને ટ્રાફિક શાખા તથા ટ્રાફિક શાખાના PI જે.જે. હળવદીયાને એન્ટી રેડીક્લાઇઝેશન સેલમાં બદલી સોંપવામાં આવી છે. બદલીઓના આદેશની સાથે કેટલાક અધિકારીઓને જૂના વધારાના પ્રભારમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે. જેમાં PI કે.કે. ગોહિલને MOB ના ચાર્જમાંથી, PI એસ.એમ. સોલંકીને રીડર ટુ સીપીના ચાર્જમાંથી તેમજ ખાસ શાખાના PI એ.એલ. વરચંદને એન્ટી રેડીક્લાઇઝેશન સેલના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. આ સાથે જ કચેરીના અન્ય એક હુકમ દ્વારા નવી શાખાઓનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, જે અંતર્ગત IUCAW નો વધારાનો ચાર્જ મહિલા પોલીસ સ્ટેશનના PI ને, જ્યારે MOB અને સામાજિક સલામતી સ્ક્વોર્ડનો વધારાનો ચાર્જ AHTU ના PI ને સુપ્રત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને બદલીવાળા સ્થળે તાત્કાલિક અસરથી હાજર થઈ જાણ કરવા આદેશ આપ્યો છે.
- Advertisement -
લોધિકાના મેંગણી ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત : પિતા પાવાગઢ, માતા રાજપીપળા દર્શન કરવા ગયા હતા
રાજકોટ જિલ્લાના લોધીકા નજીક મોટી મેંગણી ગામે 16 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. માતા પિતા મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ઘરે એકલી રહેલી સગીરાએ પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. લોધીકા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. લોધિકાના મેંગણી ગામે રહેતી રવિના મુકેશભાઈ સોલંકી ઉં.16એ ગત ગુરુવારે સાંજે 7 વાગ્યા આસપાસ ગળાફાંસો ખાધો હતો. આ પછી બનાવ અંગે પરિવારને જાણ થતા 108માં જાણ કરી હતી, ત્યારબાદ ડોક્ટરે તપાસીને સગીરાને મૃત જાહેર કરી હતી. લોધીકા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો. જોકે આપઘાતનું કારણ પરિવારજનો પણ જાણતા ન હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે મૃતક સગીરાનો પરિવાર માલ ઢોર ચરાવતા હોવાનું સામે આવ્યું છે. પિતા મુકેશભાઈ નાથાભાઈ સોલંકી પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ગઈકાલે બપોરે 12 વાગ્યાં આસપાસ માતા જ્યોત્સનાબેન પણ રાજપીપળા ખાતે રામાપીરના મંદિરે દર્શન માટે ગયા હતા અને અન્ય ભાઈ બહેન માલ ઢોર ચરાવવા ગયા હતાં. આ સમયે રવિના ઘરે એકલી હતી. સાંજે મોટી બહેન કોમલ ઘરે આવી ત્યારે જોયું તો ઘરનો દરવાજો બંધ હતો. પાછળના ભાગમાં ખુલ્લી બારીમાંથી જોતા દેખાયું હતું કે રવીનાએ ગળાફાંસો ખાઈ લીધો છે. જેથી કોમલે આસપાસના લોકો અને પોતાના માતાને જાણ કરી હતી.
રાજકોટની ટ્રાન્સપોર્ટ પેઢીનો બ્રાસ સ્ક્રેપ ઓળવી જનાર બેલડીની ધરપકડ : ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં 2.21 કરોડનો બ્રાસ સ્ક્રેપ કબજે કર્યો
રાજકોટના ઢેબર રોડ પર આવેલી શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ નામની પેઢીની દિલ્હી ખાતેની હેડ ઓફિસેથી ટ્રકમાં મોકલાયેલો 2.37 કરોડનો બ્રાસ સ્ક્રેપ રાજસ્થાનના ટ્રક ચાલક મનોહરસિંગ અને ક્લિનર ઓળવી ગયાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી બાતમી આધારે ભક્તિનગર પીઆઇ જયદીપસિંહ પરમાર સહિતની ટીમે બે આરોપીની ધરપકડ કરી 2.21 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે રાજકોટથી માલ ભરાવી અમદાવાદ તરફ જતાં બંને આરોપીને હાઈવે પરથી ઝડપી લેવાયા હતા. મુખ્ય આરોપી મનોહરસિંગે અમદાવાદના વટવા અને રખીયાલ વિસ્તારમાં રહેતા મહમદ આસીફ મહમદનિઝામ હાસમી અને રીઝવાન જમીલ પઠાણ સાથે આ બ્રાસ સ્ક્રેપનો સોદો કર્યો હતો. જેથી આ બંને આરોપીઓએ 18 હજાર ભાડું બાંધી ટ્રક બોલાવ્યો હતો. જે ટ્રકમાં તમામ માલ ભરાવી અમદાવાદ તરફ જવા નિકળી ગયા હતા તે સાથે જ મુખ્ય આરોપી મનોહરસિંગ અને ક્લિનર પ્રતાપસિંગ પણ રવાના થઈ ગયા હતા. આ બંને આરોપીઓ તો પોલીસના હાથમાં આવ્યા નથી. પરંતુ પોલીસને ઓળવી જવાયેલો બ્રાસ સ્ક્રેપ ટ્રકમાં અમદાવાદ તરફ જઈ રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે હાઈવે પરથી ટ્રક અટકાવી 2.21 કરોડનો બ્રાસ સ્ક્રેપ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી હતી. હવે પોલીસે મુખ્ય આરોપી મનોહરસિંગ અને ક્લિનરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે 2.37 કરોડનો બ્રાસ સ્ક્રેપનો માલ જામનગરના ડઝનેક વેપારીઓને પહોંચાડવાનો હતો. પરંતુ વેપારીઓ પાસે માલ નહીં પહોંચતા દેકારો મચી ગયો હતો.
રાજકોટના વકીલનો કિંમતી પ્લોટ પચાવી પાડવાનો પ્લાન બનાવનાર સુરતના માતા – પુત્ર સામે ફરિયાદ
રાજકોટના એડવોકેટ અને ભાગીદારોનો ઓલપાડમાં આવેલ કિંમતી પ્લોટ પચાવી પાડવા સુરતના માતા-પુત્રએ કરેલ કારસો એડવોકેટ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. જે મામલે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાવવામાં આવી છે. રાજકોટમાં નાના મૌવા રોડ પર તાપસ સોસાયટીમાં રહેતાં પિન્ટુભાઈ પરષોત્તમભાઈ પણસારા ઉ.42એ સુરત રહેતા ભાવુબેન રાજુ વણોદિયા અને ભરત રાજુ વણોદિયા સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વકિલાત તથા જમીન મકાન લે-વેચનું કામ કરે છે 2018માં તેમના પાર્ટનર જયેશભાઈ જેન્તીભાઈ પાંભરએ ભાગીદારીમાં સુરત ખાતે ધનરાજ ડેવલોપર્સના ભાગીદાર મિલનભાઈ પાંભર સહિતના પાસેથી સાયણ ગામ ઓલપાડ તાલુકામાં 2915 ચો. મી. નો પ્લોટ રૂ.17.10 લાખનો દસ્તાવેજ કરી લીધેલ હતો. જે પ્લોટ ખુલ્લો પડેલ અને તેની દેખરેખ કોઈ રાખતુ નથી. આ પ્લોટનો દસ્તાવેજ બાલાજી હોલ પાસે આવેલ ફરીયાદીની ઓફીસ ખાતે રાખેલ હતો બાદ ગઈ તા.06/05/2025 ના તેઓને ફોન આવેલ અને સામે કોઈ લેડીઝ બોલતા હોય જેને પોતાનુ નામ ભાવુબેન વણોદિયા હોવાનુ જણાવેલ અને કહેલ કે, મને પ્લોટનો દસ્તાવેજ ક્યારે કરી આપો છો? તો તેને પુછેલ કે ક્યો પ્લોટ તો તેમણે જણાવેલ કે સાયણ ગામમાં આવેલ તમારો પ્લોટ છે, તે અમે રૂ.21 લાખમા લીધેલ છે અને તેમાથી રૂ.12 લાખ મિલનભાઈને આપી દિધેલ છે. તેમજ ફરીયાદિનુ ઘરનુ એડ્રેસ પુછી ઘરે બદનામ કરવાના ઇરાદે આવવા જણાવેલ હતુ. જેથી ઓફીસ ખાતે જઈ પ્લોટનો દસ્તાવેજ શોધેલ તો મળેલ નહી, જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકમાં આ બાબતે અરજી કરેલ હતી. બાદ ગઈ તા.24/05/2025 ના સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકેથી વોટસએપ દ્વારા નોટીસ મળેલ જેમા અરજીના કામે નિવેદન આપવા તથા જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવેલ હતું. જેથી તેઓ દસેક દિવસ અંદર સુરત નિવેદન આપવા માટે ગયેલ હતો અને ત્યારબાદ સામાવાળાએ તેઓ વિરૂધ્ધ સુરત શહેર ચોક બજાર પોલીસ મથકમાં અરજી કરેલ હોય જેથી તા.30/07/2025 ના હાજર રહેવા નોટીસ મળતા તા.11/08/2025 ના નિવેદન આપવા ગયેલ જ્યાં વિરૂધ્ધ અરજી કરેલ અરજદાર ભાનુબેનએ રજુ કરેલ વેચાણ ખતનો કાગળની ઝેરોક્ષ બતાવેલ જેમા એડવોકેટ અને અન્ય વ્યક્તીઓની ખોટી સહીઓ કરેલ હતી. જેથી આ સહી હસ્તાક્ષર નિષ્ણાંત પાસે મોકલવા સહીના નમુનાઓ આપેલ હતા, પરંતુ ભાવુબેનને પોલીસ દ્વારા સમજ યાદી આપવા ઘરે જતા તેનું ઘર બંધ હોય જેથી તેના વકિલને વાત કરતા તેઓ કબ્જા રસીદ એફ.એસ.એલ.મા મોકલવા ના પાડેલ જેથી ફરીયાદી વિરૂધ્ધની અરજી ચોક બજાર પોલીસ મથકથી ફાઇલે કરેલ હતી. જે અરજી પ્રકરણની આરટીઆઇ મારફતે મહિતી મંગાવેલ જેમા તેઓની કોલ ડિટેઇલ મંગાવતા તેઓ અને સામે વાળા ભાવુબેનના લોકેશન બનાવ બન્યા સમયે અલગ અલગ આવેલ હતું. આ ભાવુબેનએ અરજીમા તેમના નિવેદનમા ગઈ તા.30/04/2024 ના રોજ ફરીયાદી અને તેમના ભાગીદારોએ પ્લોટ વેચનાર મિલનભાઈ પાંભર સહિતનાઓએ ભાનુબેનના ઘરે જઈ તેમના દિકરા ભરતભાઈ પાસે કબ્જા સહિતનુ વેચાણ ખત સાદા કાગળમાં લખાવેલ અને રોકડા રૂ.11 લાખ લીધેલા જે લખાણમાં વેચનાર તરીકે જયેશભાઈ તથા પિન્ટુભાઇએ સહીઓ કરી આપેલ તથા સાક્ષી તરીકે મિલનભાઈ તથા પરેશભાઈએ સહી કરી આપેલ તેમજ ભાવુબેનએ પોતાનો અગુંઠો કરી આપેલ જે અંગુઠાના નિશાનની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઓળખ પણ કરી આપેલ હતી. તેમજ આરોપીના જણાવ્યા મુજબ એક મહિના પછી રોકડા રૂપીયા એક લાખ લઇ જઈ ઓરીજનલ દસ્તાવેજની ફાઇલ આપી ગયેલ અને આઠ મહિના પછી દસ્તાવેજ કરી આપવાનુ જણાવેલ તેવું તેમના નિવેદનમાં જણાવેલ, પરંતુ તેઓ ક્યારેય ભાનુંબેનને રૂબરૂ મળેલ નથી કે તેમને ક્યારેય જોયેલ નથી કે તેમને પ્લોટનો અરીજનલ દસ્તાવેજ આપેલ નથી, પરંતુ ખરેખર તા.30/04/2024 ના સુરત ડિસ્ટ્રીકટ કોર્ટમાં અન્ય કેસની મુદ્દતે ગયેલ હતા.અને આ ભાનુબેનનુ ઘર ડિસ્ટ્રીકટ કોર્ટ સુરતથી આશરે 8 કિ.મી દુર છે, તેમજ ફરિયાદીનો ખુલ્લો પ્લોટ ભાનુબેનના ઘરથી આશરે 15 કિમી જેટલો દુર છે, જેથી આ ભાવુબેનએ ખોટુ અને બનાવટી લખાણ પોલીસમા અરજી કામે રજુ કરેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
રાજકોટના શાપરમાં ખોડીયાર ડેરી અને શ્રીજી કોર્પોરેશનમાં એસઓજીના દરોડા : 40 કિલો એનાલોગ પનીર, 500 કિલો માવો, 50 કિલો મસ્કો, 400 લીટર સેપરેટ દૂધ, 35 કિલો શંકાસ્પદ મીઠાઈ, કલરના ડબ્બા કબ્જે
શાપરમાં રાજકોટના વેપારી દ્વારા અખાદ્ય મીઠાઈનો બેરોકટોક વેંચાણ થતું હોવાની બાતમી આધારે રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે શાપરની જય ખોડીયાર ડેરીમાંથી 40 કિલો એનાલોગ પનીર, 500 કિલો માવો, 50 કિલો મસ્કો, શ્રીજી કોર્પોરેશનમાંથી 400 લીટર સેપરેટ દૂધ, 35 કિલો શંકાસ્પદ મીઠાઈ અને કલરના ડબ્બા કબ્જે કરી અખાદ્ય પદાર્થનો નાશ કર્યો છે. દરોડાની વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તથા શંકાસ્પદ દૂધ અન્ય પદાર્થોના ઉત્પાદન તથા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની આપેલ સૂચના અન્વયે રૂરલ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.જે. ઝાલા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમી આધારે શાપર વેરાવળમાં આવેલી જય ખોડીયાર ડેરી એન્ડ પ્રોડક્ટમાં તપાસ કરતા ત્યાંથી 500 કિલો શંકાસ્પદ માવો 1.50 લાખ, 40 કિલો એનોલોગ પનીર 10 હજાર તથા 50 કિલો મસકો 9 હજાર, આર્ટિફિશિયલ કલરના ડબ્બા નંગ ચાર સહિતનો માલ મળી આવતા પેઢીના માલિક અશ્વિન કેશુ સોરઠીયા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ શાપરમાં જ આવેલ શ્રીજી કોર્પોરેશનમાં તપાસ કરતા ત્યાંથી પણ 500 કિલો શંકાસ્પદ માવો, 1.24 લાખ, 35 કિલો શંકાસ્પદ મીઠાઈ 7700 તથા 400 લીટર સેપરેટ દુધ 12 હજાર અને આર્ટિફિશિયલ કલરના ડબ્બા પાંચ સહિતનો મુદ્દામાલ મળતા પોલીસે પેઢી સંચાલક જૈમીન દિનેશ કાનાબાર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ઉપરાંત એસઓજીની ટીમે ગોંડલના સડક પીપળીયા ગામે દરોડો પાડી બજરંગ ડેરીમાં તપાસ કરતા અહીંથી 400 કિલો એનાલોગ પનીર કિં. રૂપિયા 13,600 મળી આવ્યું હતું જેથી પેઢીના માલિક રાજેશ છગનભાઈ ભુવા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પડધરીના હીદળ ગામના સરપંચ સહીત 27 શખ્સો જુગાર રમતા ઝડપાયા
રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની શરૂઆત થઈ ગઈ હોય તેમ જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સરપંચ સહીત 27 પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા છે પોલીસે કુલ 27 શખ્સોને પકડી 2.51 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પડધરી પોલીસ મથકના પીઆઇ એમ જી ચૌહાણ, પીએસઆઈ ગોહિલ સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અબ્બાસભાઈ ભારમલ સહિતની ટીમે બાતમી આધારે રાદડ ગામની સીમમાં ડોંડી નદીના કાંઠે સહદેવસિંહ જાડેજાની વાડીની બાજુમાં સરકારી ખરાબમાં થાંભલા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પડધરીના હીદળ ગામના સરપંચ વલ્લભ પરષોત્તમ પાનસુરીયા રાદડ ગામે રહેતા સુજાનસિંહ કિરીટસિંહ જાડેજા, સહદેવસિંહ લખુભા જાડેજા, રાજકોટના સુરપાલસિંહ અશોકસિંહ સરવૈયા, કાલાવડના વિભાણીયા ગામે રહેતા ભરત નાગજીભાઈ ઝાખેલીયા, રાજકોટના અર્જુન છગન પંચાસરા અને હીદડ ગામે રહેતા સુખદેવ બાબુ સોનારાની ધરપકડ કરી રોકડ 31,100 કબજે કર્યા હતા. જયારે ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે ઉગામણી સીમ વિસ્તારમાં દરોડો પાડી લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા વાડી માલિક રાજુ નારણ ગરચર, વિરોભા દેવરજી હરણ, કલ્પેશ ઉર્ફે કલ્પો, રાજેશ સાથડીયા, વિક્રમ ચકા કરોતરા, કૈલાશ ઉર્ફે હક્કા હરિ માકડીયા, પરેશ ભીમા કરોતરાની ધરપકડ કરી રોકડ રૂપિયા 56,920 તથા ચાર મોબાઈલ અને બે વાહન સહિત કુલ 1,96,920નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઉપરાંત ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે પરબડી ગામે ટાવર પાસે જન્તીભાઈ ગજેરાની વાડીમાં દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક જેન્તી મનજીભાઈ ગજેરા, કિશન વિક્રમભાઈ બાબરીયા, મિહિર દિનેશભાઈ બાબરીયા, સાગર લાલજીભાઈ ધોરાજીયા, મયુર વિઠ્ઠલભાઈ આસોદરીયા, હરેશ ભીમજીભાઇ ચાવડા, પ્રવીણ ભીખાભાઈ બાબરીયા અને જયદીપ હરિભાઈ બાબરીયાની ધરપકડ કરી રોકડ રૂપિયા 14,430 કબજે કર્યા હતા આ ઉપરાંત શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે વેરાવળ ગામમાં બુધ્ધનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા યશપાલ પ્રતાપભાઈ ચાવડા, કમલેશ દલપતભાઈ શેખવા, કિશોર જયરામભાઈ વોરા, વિજય મનોજભાઈ માંગરોળીયા, સંજય બીજલભાઇ ચૌહાણ અને દિપક સોમાભાઈ વડીયાતરની ધરપકડ કરી પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 10,280 અને છ મોબાઈલ ફોન સહિત 60,280નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મૈત્રીકરાર કરનાર યુવકને યુવતીના ભાઈએ માર માર્યો : જાનથી મારી નાખવાની ધમકી આપતા બે સામે ફરિયાદ
રાજકોટના નવાગામમાં રહેતો અને ડ્રાયવિંગ કરતો કલ્પેશભાઇ સુરેશભાઈ ઝાપડીયા ઉ.30એ મનીષ તથા તેની સાથેના એક અજાણ્યા શખ્સ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મે એકાદ વર્ષ પહેલા સંતોષીનગરમાં રહેતી કાજલબેન જેન્તીભાઇ અગેચણીયા સાથે મૈત્રી કરાર કર્યા હતા અને હાલ અમો બન્ને સાથે રહીએ છીએ. ગત 4 તારીખે હુ મારા ઘરે હતો ત્યારે કાજલનો ફોન આવેલ અને મને કહ્યું કે હુ ખોખડદળ ગામ બંધવાળા મેલડીમાંએ મારી નાની બહેન મીના સાથે દર્શન કરવા જાવ છુ બાદ સાંજના હું પણ મારુ બાઈક લઇને બંધવાળા મેલડીમાંએ જવા નીકળ્યો હતો સાંજે કાજલ તથા તેની નાની બહેન મને વડાળી ચોકડી પાસે ભેગા થયા હતા અને મે કાજલને કહેલ કે કેમ તારી બહેન સાથે ગઇ હતી તારી બહેન જોડે જવાની મે ના પાડી છે તેમ કહેતા તેની સાથે રહેલ તેની નાની બહેને તેના ભાઈ મનીષભાઈને ફોન કરતા મનીષભાઇ તથા તેની સાથે એક અજાણ્યો માણસ આવી ગયા હતા અને મને જેમ ફાવે તેમ ગાળો ભાંડી મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ અને અજાણ્યા માણસે મને ઢીકાપાટુનો માર મારી કહ્યું હતું કે હવે આ બાજુ દેખાતો નહીં બાકી જાનથી મારી નાખીશ તેમ કહી ત્યાથી નીકળી ગયા હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જુના યાર્ડ પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ચૌહાણની સૂચના અન્વયે ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે જુના માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક પાર્કિંગમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ધના મછાભાઇ ધ્રાગીયા, પોપટ ભલાભાઈ રાતડીયા, બીજલ હીરાભાઈ જાદવ, પારસ ગોકળભાઇ જાદવ અને ઝાલા કરશનભાઇ રાઠોડની ધરપકડ કરી રોકડા 15,680 કબ્જે કર્યા હતા.




