LCB ઝોન 1ની ટીમે રાત્રે જ ચારેયને ઝડપી લીધા હતા : હત્યાની કલમનો ઉમેરો થશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં અગાઉ માત્ર ચોરીને જ અંજામ આપતી રિક્ષા ગેંગ હવે ખૂની હુમલા કરતા પણ અચકાતી નથી. પાકિટ સેરવી લીધા બાદ જાણ થતા રિક્ષા ગેંગે બોલાચાલી કરી પેસેન્જરના માથે રિક્ષા ચડાવી પાઈપથી માર માર્યો હતો. મોરબી રોડ પર બનેલી ઘટનામાં ઇજાગ્રસ્ત હોટલ કર્મીઓ જયપાલસિંહ જાટ અને મનોજકુમાર જાટને સારવારમાં ખસેડાયા હતા. દરમિયાન મનોજ જાટ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. રાજકોટ કઈઇ ઝોન 1ની ટીમે બનાવની રાત્રે જ રિક્ષા ગેંગના 4 આરોપીની ધરપકડ કરી હતી હવે ચારેય સામે હત્યાની કલમનો ઉમેરો થશે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીનો હાલ દોઢ મહિનાથી બેડી ચોકડી પાસે આવેલ ધ રોયલ કાસ્ટલ પ્લાઝા નામની હોટલમાં રહી મેનેજર તરીકે નોકરી કરતાં જયપાલસિહ વીરેન્દ્રસિહ જાટ ઉ.22એ રિક્ષાચાલક સહિત ચાર અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસમાં હત્યાની કોશિષ અંગે જે તે વખતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સાથે જ જનરલ મેનેજર તરીકે નોકરી કરતાં મનોજકુમાર ચન્દ્રપાલસિહ જાટને મોબાઈલ ખરીદવો હોય બંને કુવાડવા રોડ ઉપર ગયા હતા અને મોબાઈલ લઈ ગ્રીનલેન્ડ ચોકડી સુધી ચાલીને આવી એક રિક્ષામાં બેઠા હતા થોડે આગળ પહોંચતા રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખી સીટ તૂટી ગઈ છે તમે ઉતરી જાવ તેમ કહેતા અમે ઉતરી ગયા હતા અને રિક્ષા જતી રહ્યા બાદ મનોજકુમારનું પર્સ તેમાં પડી ગયું હોય જેથી તુરંત બીજી રિક્ષા ઊભી રખાવી તે રિક્ષાનો પીછો કરી અટકાવી પર્સ પડી ગયું છે તેમ કહેતા પાછળ બેઠેલા ત્રણ સહિત ચારેય શખ્સોએ અમે કાઇ ચોર છીએ તેમ કહી પર્સ આપી ઝઘડો કરી માર માર્યો હતો અમે ભાગવા જતા ફરી પીછો કરી પહેલા મારા પગ ઉપર રિક્ષા ચડાવી દેતા હું રોડ સાઈડમાં ફંગોળાઈ ગયો હતો મનોજકુમાર આગળ ભાગતા હોય તેને મારી નાખવાના ઇરાદે તેના ઉપર રિક્ષા ચડાવી દેતા તે પડી જતા લોખંડના પાઇપથી હુમલો કરતાં તે અર્ધબેભાન જેવા થઈ ગયા હતા અને ચારેય ભાગી જતા લોકો એકઠા થઈ જતા 108 મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને આ અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ એસ એમ જાડેજાએ તપાસ હાથ ધરી છે.
દરમિયાન એલસીબી ઝોન 1ના પીએસઆઈ બી વી બોરીસાગર સહિતના સ્ટાફે બનાવની રાત્રે જ રિક્ષા નંબર આધારે જીવલેણ હુમલો કરનાર સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે રામ ટાઉનશીપમાં રહેતા ભાવેશ ઉર્ફે ડાન્સર દિપકભાઈ મકવાણા ઉ.27, એકતા સોસાયટીના જીગ્નેશ મૈયાભાઈ સિંધવ ઉ.23, પચીસ વારિયા ક્વાટરના સાગર દિનેશભાઈ વાઘેલા ઉ.21 અને ભગવતીપરાના ઈરફાન મહેબૂબભાઈ બેલીમ ઉ.21ની ધરપકડ કરી હતી અને કબજો બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો દરમિયાન સારવાર હેઠળ રહેલા મનોજ જાટનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે હવે પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરશે.
- Advertisement -