રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી 80 લાખની ઠગાઈ આચરવા અંગે શિતલ પાર્ક સર્કલ પાસે ધ સ્પાયર-૨ બિલ્ડિંગમાં જાડેજા બ્રધર્સ ગેઈન સર્વિસ નામે ઓફિસ ધરાવતાં ગોંડલના રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઠગાઈનો આંક વધે તેવી શક્યતા પોલીસે દર્શાવી છે. રાજકોટના ગાયત્રીનગર સોસાયટીમાં રહેતાં અને બાઈસાહેબબા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નિવૃત થયેલા જાગૃતિબેન પંકજભાઈ જોષી ઉ.72 હાલ બ્રહ્માકુમારીઝ (આધ્યાત્મિક) સંસ્થા સાથે જોડાયેલા છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પુત્ર ચિન્મય અને તેની પત્ની કોર્પોરેટ જોબ માટે ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. પુત્રી કૃપલબેન બ્રહ્માકુમારીઝમાં સમર્પિત થયા છે. અને હાલ ગાંધીનગર રહે છે. તેમની સોસાયટીમાં સ્થિત બ્રહ્માકુમારીઝ આશ્રમમાં આવતા સાવિત્રીબેન પટેલ અને તેની પુત્રી નિધિ સાથે ઓળખાણ થઈ હતી. 2023માં નિધિએ કહ્યું કે, તે જાડેજા બ્રધર્સ ગેઈન સર્વિસ નામની કંપનીમાં નોકરી કરે છે. તેની કંપની અલગ-અલગ કંપનીમાં રોકાણ કરે છે અને સારું વળતર આપે છે. તેણે પણ રોકાણ કર્યું છે. હાલ તેને નિયમિત વળતર મળે છે.
જેથી પરિવારના સભ્યોને વાત કર્યા બાદ પુત્ર ચિન્મય સાથે કંપનીની ઓફિસે જઈ ડિરેક્ટર રાજદીપસિંહ જાડેજાને મળતાં તેણે રોકાણ પર દર મહિને ૩ ટકા વળતર આપવાનું કહ્યું હતું. સાર્થોસાથ તેનું સપનું 1 હજાર કરોડનું રોકણ મેળવવાનું હોવાનું પણ કહ્યું હતું. તેની વાત સાથે સહમત થઈ પુત્રના નામે 3 લાખનું રોકાણ કર્યું હતું. બદલામાં તેમને ચેક અને પ્રોમિસરી નોટ લખી આપી હતી. રોકાણ કર્યા બાદ પહેલા મહિને 9 હજારનું વળતર મળતાં વિશ્વાસમાં આવી જતાં કટકે-કટકે 29 લાખનું રોકાણ કર્યું હતું. ત્યાર પછી વળતરની રકમ તેમના ઉપરાંત પતિ અને પુત્રી, પુત્રવધુના બેંક ખાતામાં જમા થતી હતી. અત્યાર સુધીમાં 16.28 લાખ જેટલું વળતર આપ્યું હતું. 2025ના ઓક્ટોબર માસથી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. ઓફિસ પણ બંધ કરી દીધી હતી આ જ રીતે દિલ્હી રહેતા દામીનીબેન રાજેન્દ્રભાઈ પ્રજાપતિએ 15 લાખનું, રાજકોટના પ્રકાશભાઈ પ્રફુલભાઈ વણજારાએ 3 લાખનું, તેના પત્ની સપનાબેનએ પણ 3 લાખનું, જામનગરના અજયભાઈ વિજયભાઈ સોલંકીએ 5 લાખનું અને શૈલેષભાઈ ચંદુભાઈ ખેરએ 25લાખનું રોકાણ કર્યું હતું. આ પાંચેય જણાં ઉપરાંત તેમના 29 લાખ મળી કુલ 80 લાખની ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવતા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
અષાઢીબીજની રથયાત્રા સંદર્ભે રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું : નાના મવાથી રથયાત્રા રૂટના 26 રાજમાર્ગો ઉપર તમામ વાહનોને નો પાર્કિંગ – નો એન્ટ્રી
રાજકોટમાં આગામી તા.16 જુલાઈના રોજ અષાઢી બીજ પર્વ નિમિત્તે યોજાનાર ભગવાન જગ્ગાન્નાથજીની રથયાત્રા સંદર્ભે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવવાના હોય જેથી ટ્રાફિકમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે નાના મૌવા ખોડિયાર આશ્રમથી રથયાત્રાણા રૂટ ઉપર એટલે કે 26 રાજમાર્ગો ઉપર રથયાત્રા પસાર થવાની હોય તેના બે કલાક અગાઉ તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેર કરવામાં આવ્યા છે. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ખોડિયાર ધામ આશ્રમથી શરૂ થઈને નાનામૌવા ગામ, મોક્કાજી સર્કલ, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, ન્યારા સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબાથી પુષ્કર ધામ મેઇન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ ટી-પોઇન્ટ એચ.પી. પેટ્રોલ પંપથી સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટીથી રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડર બીજ, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઇન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક એસ.બી.આઈ. ટી-પોઇન્ટ, ત્રીકોણ બાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, ભુપેન્દ્ર રોડ, શ્રી સ્વામીનારાયણ મંદિરથી ભૂપેન્દ્ર રોડ ટી-પોઇન્ટ પેલેસ સેડ, ગુંદાવાડી પોલીરા ચોકી, કેનાલ રોડ બોમ્બે આર્યન થી કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ. કોઠારીયા રોડ મેઈન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવનથી સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ પી.ડી.એમ. ફાટક થઈ પી.ડી.એમ. કોલેજ થઈ સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, મવડી ફાયર બ્રીગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી, નાના મૌવા મેઈન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાના મૌવા ગામ થી નીજ મંદિર ખાતે પરત આવી પૂર્ણ થશે. જેથી 16 તારીખે ઉપરોક્ત તમામ રાજમાર્ગો ઉપર રથયાત્રા નીકળવાના બે કલાક પૂર્વે આ જાહેરનામું અમલમાં રહેશે.
રાજસ્થાનના મર્ડર કેસમાં પેરોલ જમ્પ બેલડીને 3 ચોરાઉ કાર સાથે ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
- Advertisement -
લોહચુંબક અને એપની મદદથી કારને અનલોક કરી તેની ચોરી કરતાં અને રાજસ્થાનના મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ બે આરોપીઓ મુકેશ મોહનલાલ મેઘવાલ અને સલામ ઉર્ફે છોટીયો યુસુફ ખાનને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ ત્રણ ચોરાઉ કાર કબજે કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર, સી એચ જાદવની રાહબરીમાં પીઆઇ વી ડી રાવલીયા, વી ડી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના દીપકભાઈ ચૌહાણ, જીલુભાઈ ગરચર અને મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે પોલીસે બંને શકમંદોને ઝડપી લઇ સઘન પૂછતાછ કરતા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો આ બંને આરોપીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી કારને અનલોક કરતાં હતા. સૌથી પહેલા કારના કાચ તોડી અંદર પ્રવેશી સ્ટીયરિંગ નીચે લોહચુંબક રાખી તેનો લોક તોડી નાંખ્યા બાદ વાયરિંગ ડાયરેક્ટ કરી નાંખતા હતા. આ પછી પોતાની પાસેના બ્લુટુથ ડીવાઇસ સાથે મોબાઈલ કનેક્ટ કરી એક ખાસ એપની મદદથી કોઇપણ ચાવી વડે કારનો લોક ખોલી તેને લઈ ભાગી જતાં હતા આ રીતે બંને આરોપીઓએ જામનગર અને ધાંગધ્રામાંથી સ્વિફ્ટ અને ઊંઝામાંથી અર્ટિગા કારની ચોરી કરી હતી 12.70 લાખની કિંમતનીત્રણેય કાર ઉપરાંત 1 કિલો વજનનું લોહચુંબક, બ્લુટુથ ડિવાઈસ અને બે મોબાઈલ ફોન ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા છે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી સલામ ઉર્ફે છોટીયો રાજસ્થાનના જોધપુરમાં 2014માં મર્ડરના ગુનામાં પકડાયો હતો. ત્યારથી જેલમાં હતો. ગત ફેબ્રુઆરી માસમાં પેરોલ ઉપર છુટ્યા બાદ ફરાર થઇ ગયો હતો. તેણે બીજા આરોપી મુકેશ સાથે મળી ગુજરાતમાંથી ત્રણ કારની ઉઠાંતરી કરી હતી. કોઈપણ ગુનાઇત પ્રવૃતિ માટે કાર વેંચી રોકડી કરતા હતા આરોપી મુકેશ વિરુદ્ધ સુરેન્દ્રનગર, વલસાડ અને કચ્છમાં ચોરી સહિતના ચાર ગુના જ્યારે આરોપી સલામ વિરુદ્ધ ખૂનનો એક ગુનો નોંધાયો છે. બંને આરોપીઓએ કરેલી કાર ચોરી અંગે ધાંગધ્રા, જામનગરના સિટી બી.ડિવિઝન અને ઊંઝા પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.
ઉના-ચાંચકવડ રોડ પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો બાતમી આધારે દરોડો : ગાંજાનું વાવેતર કરનાર મહિલા ઝડપાઇ : 8.833 કિલો ગાંજો જપ્ત કર્યો
ઉના-ચાંચકવડ રોડ પાસે ખેતરમાં ગેરકાયદે 4.41 લાખનું ગાંજાનું વાવેતર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે જુનાગઢ સીઆઇડી ક્રાઇમ તથા એનએનટીએફ દ્વારા દરોડામાં આ ગાંજાનું વાવેતર કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ઉના-ચાંચવડ રોડ પર મંદિર પાસે કંપાઉન્ડમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હોવાનો પર્દાફાશ સ્થાનિક પોલીસ નહીં, પરંતુ સીઆઇડી ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફએ કર્યો છે. આ ઘટનાએ જિલ્લા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. એએનટીએફના પીઆઇ આર જી બારોટની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના પીએસઆઈ આર બી દેવમુરારી, અશ્વિનભાઈ, સિધ્ધરાજસિંહ, સંજયભાઈ, નિલેશભાઈ, લાખણસીભાઇ સહિતને મળેલી બાતમી આધારે દરોડો પાડતાં મહિલા આરોપી ગંગાદાસજી અવધેસદાસજીના કબજાવાળા ખેતરમાંથી 8 કિલો 833 ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત 4,41,650 હોવાનું સામે આવ્યું છે. આરોપીની અંગજડતી દરમિયાન રેડમી કંપનીનો એક સ્માર્ટફોન અને સેમસંગ કંપનીનો એક કીપેડ મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યા હતા. કુલ મળીને 4,47,150નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી સીઆઇડી ક્રાઇમ, જુનાગઢ વિંગ, રાજકોટ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આરોપી સામે ઊના પોલીસ સ્ટેશનમા નાર્કોટીકસની કલમ ૮(સી) અને ૨૦(એ) હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.
શાપરમાંથી એમપીનો શખ્સ પિસ્ટલ, બે જીવતા કાર્ટીસ સાથે ઝડપાયો
રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરએ ગેરકાયદે હથિયારો શોધી કાઢવા આપેલ સુચના અન્વયે રૂરલ એલસીબીના પી. આઇ. જે. પી. રાવ, પીએસઆઇ એચ. સી. ગોહીલ, આર. બી. ભીમાણી, તથા કે. એમ. ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એલસીબીના શિવરાજભાઇ ખાચરને મળેલ બાતમી આધારે શાપર-વેરાવળના કાંગસીયાળી ગામ પાસે ખોડીયાર હોટેલ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા શખ્સને અટકાવી નામઠામ પૂછતાં પોતે એમપીના અબલા ઉર્ફે રાજુ ઉર્ફે અભેસિંહ કાકુભાઇ ઉર્ફે ફતેસીંગ વરસીંગભાઇ પરમાર હોવાનું જણાવતા તેની તલાસી લેતા તેના કબ્જામાંથી ગેરકાયદે પિસ્તેલ, બે જીવતા કાર્ટીસ તથા એક મોબાઈલ મળી આવતા તેને પકડી તેની સામે શાપર-વેરાળ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. પકડાયેલ અબલા ઉર્ફે રાજૂએ આ હથિયાર રાકેશ ડાવર પાસેથી લીધાની કબુલાત આપતા પોલીસે રાકેશ ડાવરની શોધખોળ હાથ ધરી છે.
સિંગાપોરની એર ટિકિટ, વિઝા કરાવી દેવાનું કહી 40 લોકો સાથે 7.59 લાખની છેતરપિંડી
રાજકોટના સદગુરુનગરમાં રહેતા ક્રિષ્નાબેન ભીમશીભાઈ રાવલીયાએ સુત્રાપાડાના અજય જગદીશભાઈ દેવળીયા અને અમદાવાદના દીપ રમેશભાઈ માલવિયા સામે 7,59,350ની ઠગાઈ અંગે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મે અગાઉ 2025-26મા સ્લેડીંગ હોલીડે પ્રાઈવેટ લીમીટેડમા વર્કફ્રોમ હોમમા મે 6 મહીના નોકરી કરેલ હતી અને હાલ ઘરકામ કરૂ છુ અગાઉ ઓગષ્ટ 2025માં ઇન્સ્ટાગ્રામ દ્વારા આ અજયભાઈની સ્લેડીંગ હોલીડે પ્રાઈવેટ લીમીટેડ કંપનીનો સંપર્ક થયો હતો અને તે ભારત તેમજ વિદેશ મુકામે ટ્રાવેલ્સ, એરટીકીટ, હોટલ બુકિંગ તેમજ વિઝાનું કામકાજ કરતા હોય રાજકોટ મુકામે ટેલીકોલીંગ માટે કોઈપણ રસ ધરાવતા સ્ત્રી તથા પુરૂષ વ્યક્તીની જરૂરીયાત હોય જેથી મે મેસેજ દ્વારા સંપર્ક કરતા મને રાજકોટમાં ટેલીકોલીંગ તરીકેની નોકરી ઓફર કરતાં મે ઘરેથી ટેલીકોલીંગની નોકરી શરુ કરી હતી હું ક્યારેય રૂબરૂ મળી ન હતી કે તેને જોયેલ ન હતો મારા માતા ટમુબેન કાયા પલટના નામથી ચાલતી કંપની કે જેઓ બ્યુટી પ્રોડકટનું ઉત્પાદન કરતા હોય તેના સુપર સ્ટોકીસ્ટ હોદા તરીકે કાર્ય કરતા હોય અને નિયમો મુજબ સુપર સ્ટોકીસ્ટ કંપનીનો સેલ્સનો ટાર્ગેટ પુરો કરી આપે તો કંપની તરફથી અલગ અલગ જગ્યાની ટ્રીપ આપવામાં આવતી હોય છે જેમાં આ વખતે કંપનીના ફાઉન્ડર અંજુબેન પાડલીયા દ્વારા સીંગાપોર પ્રવાસે લઈ જવાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મારા માતા તથા કંપનીમા કામ કરતા અન્ય લોકો એમ કુલ 80 જણા કંપની વતી સીંગાપોર ટ્રીપ માટે પસંદ કરવામાં આવ્યા હતાં મારા માતાની સીંગાપોર પ્રવાસ માટે પસંદગી થતાં તેઓએ મને આ બાબતે વાત કરતા મે આ અજયભાઈ દેવળીયાને જાણ કરેલ અને મને વ્યાજબી ખર્ચમાં એરટીકીટ તેમજ વિઝા કરી આપશે તેવુ જણાવેલ. કંપનીએ સુચવેલ એજન્ટો દ્વારા સીંગાપોરની ટુરની વ્યક્તિ દિઠ ટીકીટની કિંમત ૨૪,૫૦૦ રાખેલ હતી જ્યારે અજયભાઈએ સીંગાપોર ટુરની ટીકીટની કિંમત 19,850 જણાવતા હોય જેથી મારા માતાએ ટીકીટમાં ફાયદાની વાત અંજુબેનને કહેતા તેઓ એ જણાવેલ કે તો તમે લોકો ટીકીટ ત્યા કરાવી લો જેથી અમોએ અમારા માતા તથા અન્ય 39 એમ કુલ 40 વ્યક્તીઓના સીંગાપોરના વિઝા માટે જરૂરી ડોક્યુમેંટ્સ અજયભાઈને વોટ્સએપ ઉપર મોકલી આપેલ હતી અને તે પોતે સુરત હોય જેથી આ 40 વ્યક્તીઓના ઓરીજનલ પાસપોર્ટ સુરત મુકામે મારા પિતાના વેવાઈ દેવાભાઈની બસના ડ્રાઈવર મારફતે આ અજયભાઈને મોકલાવેલ હતા તેમજ સીંગાપોરની આવવા-જવાની એક એર ટીકીટના રૂl. ૧૯,૮૫૦/- તથા વિઝા ખર્ચના રૂા.૩, ૬૦૦/-થશે તેવું અમો ને આ અજયભાઈએ જણાવેલ હોય તે મુજબ 31 વ્યક્તીઓના એર ટીકીટના ૬,૧૫,૩૯૦/- તથા ૪૦ વ્યક્તીના વિઝા રૂા.૩,૬૦૦/- લેખે કુલ રૂા. ૧,૪૪,૦૦૦/- એમ કુલ મળી રકમ રૂગ. ૭,૫૯,૩૫૦/- નકકી કરવામાં આવેલ હતા. તમામ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા બાદ ટિકિટ અને વિઝા બાબતે પૂછતાં આ કામ અમદાવાદના દીપભાઈને આપ્યું છે તમારા પ્રવાસની તારીખ 28 માર્ચ છે તે પૂર્વે ટિકિટ અને વિઝા થઇ જશે તેવું વચન આપ્યું હતું અને અમુક ટિકિટો આપી હતી પરંતુ પ્રવાસના આગળના દિવસે તમારા વિઝા કેન્સલ થયા છે તેવું કહી દેતા તમામના પ્રવાસ રદ થયા હતા બાદમાં પોતે પ્રવાસનો ખર્ચ ઉઠાવશે અને વિઝાનો ખર્ચ પણ પોતે ઉઠાવશે તેમ કહ્યું હતું પરંતુ કોઈ પ્રવાસ આપેલ નહિ તેની પાસે વિઝા રદ થયાનો પત્ર માંગતા તે ગલ્લા ટલ્લા કરવા લાગ્યા હતા અને અંતે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોય અંતે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.
બારીનું પાર્ટીશન તોડી ઘુસેલી મહિલા 98 હજારનો કેબલ ચોરી ગઈ
રાજકોટના હસનવાડીમાં રહેતા અને ઇન્દ્રપ્રસ્થમાં કપડાંની દુકાન ચલાવતા શુભમ શૈલેશભાઇ લાડવાએ 98 હજારના ઇલેક્ટ્રિક વાયરની ચોરી અંગે અજાણી મહિલા સામે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે કમ્પ્યુટર ક્લાસનો નવો બીજનેસ શરૂ કરવાનો હોવાથી આ બિલ્ડીંગના ઉપરના માળે ફર્નીચરનું કામકાજ ચાલુ હતુ અને ઇન્ટરનેટ માટેના લેન કેબલ પણ લગાવેલા હતા ગત 15 તારીખે હું ઘરે હતો ત્યારે મિસ્ત્રીકામ કરતા રાજનભાઈનો ફોન આવેલ અને કહ્યું કે દુકાનમાં લગાડેલ વાયર દેખાતા નથી એટલે કદાચ દુકાનમાં ચોરી થઇ હોય એવુ લાગે છે જેથી હુ તરત જ દુકાને ગયેલ અને ઉપરના માળે જઇને જોતા ઇલેક્ટ્રીક ફીંટીંગ તથા ઇન્ટરનેટના લેનકેબલ જોવા મળેલ નહી સીડીની બાજુમાં આવેલ બારીમાં લાગેલ લાકડાનું પાર્ટીશન તુટેલુ હતુ જેથી અમારી દુકાનમાં રાખેલ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા રાત્રીના બે વાગ્યાથી સાડા પાચેક વાગ્યાની વચ્ચે એક અજાણ્યી મહીલા લાકડાનું પાર્ટીશન તોડીને અંદર આવેલ હતી. જે બાદમાં બહાર કોથડા લઈને જતી જોવા મળે છે જેથી 98 હજારના કેબલ આ મહિલા ચોરી ગઈ હોય અજાણ્યા ચોર મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં જુગારના ચાર દરોડામાં 22 પત્તાપ્રેમીઓ ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે આજી ડેમ, યુનિવર્સીટી, તાલુકા અને એ ડિવિઝન પોલીસે ચાર દરોડામાં પત્તા ટીંન્ચતા 22 શખ્સોને ઝડપી લઇ 29,770નો મુદામાલ કબ્જે કર્યો છે. આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હરપાલસિંહ જાડેજા સહિતનાને મળેલી બાતમી આધારે વડાળી ગામે દરોડો પાડી જુગાર રમતા ગોપાલ માનસિંગભાઈ જરિયા, સતીશ જોરુસિંગભાઇ કારેલીયા, રવિ શિવલાલભાઈ જરિયા, બાબુ અમૃતલાલ જરિયા, ભાવેશ મુકેશભાઈ જરિયા, પ્રવીણ પરષોત્તમભાઇ જરિયા, ચિરાગ અરવિંદભાઈ જરિયા અને કાળું છોટુભાઈ ભરદુવારની ધરપકડ કરી રોડક 14,150 કબ્જે કર્યા છે આ ઉપરાંત યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ એચ એન દવેની રાહબરીમાં પેટ્રોલિંગમાં રહેલી ટીમે બાતમી આધારે રૈયાધાર મફતિયાપરામાં દરોડો પાડી જુગાર રમતા રાજુ ધીરુભાઈ વઢવાણિયા, પંકજ ચંદુભાઈ મકવાણા, નીતિન અતુલભાઈ મકવાણા, મહાવીર અશ્વિનભાઈ મકવાણા, વિક્રમ મફાભાઇ વાંજેલિયા અને બટુક ધરમશીભાઈ પરમારની ધરપકડ કરી રોકડા 11,400 કબ્જે કર્યા છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ મેઘાણીની રાહબરીઆં ગત સાંજે ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફે બાતમી આધારે વાવડી રોડ ઉપર આવેલ ગૌતમબુદ્ધનગરમાં દરોડો પાડી જુગાર રમતા અમિત કેશુભાઈ મુછડીયા, મનસુખ માવજીભાઈ મકવાણા, પરેશ મોહનભાઇ રાઠોડ, હર્ષદ નટુભાઈ રાઠોડ અને પ્રકાશ પાલાભાઇ રાઠોડની ધરપકડ કરી રોકડા 2600 કબ્જે કર્યા છે. તેમજ એ ડિવિઝન પીઆઇ વાઢિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કનુભાઈ બસીયાને મળેલી બાતમી આધારે કેનાલ રોડ ઉપર અમીધારા બિલ્ડીંગ નીચે દરોડો પાડી જુગાર રમતા હિતેશ ગોરધનભાઈ લાડવા, દિપક મનજીભાઇ નકુમ અને દિનેશ શાંતિલાલ માખેચાની ધરપકડ કરી રોકડા 1620 કબ્જે કર્યા છે.




