રોકાણકારો માટે સેબી દ્વારા માર્ગદર્શિકાનું પાલન અને રજિસ્ટર્ડ સંસ્થા સાથે જ વ્યાપાર કરવા અંગે જાગૃતિ અપાઈ: સ્ટોક તેમજ ફોરેક્સ ટ્રેડિંગ માટે માન્ય સંસ્થાઓના ટ્રેડિંગ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો: સાયબર ક્રાઇમ ઙઈં નિરજ નિમાવત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે સેબી દ્વારા એમ.સી.એક્સ. અને એન.સી.ડી.ઈ.એક્સ. સહિતની ટ્રેડિંગ સંસ્થાના માધ્યમથી ઇન્વેસ્ટર જાગૃતિ અંગે ’જાગૃત નિવેશક સશક્ત નિવેશક’ વિષયક સેમિનાર યોજાયો હતો. જેમાં રોકાણકર્તાઓને ફાયનાન્સિયલ મેનેજમેન્ટ, સેફ ટ્રેડિંગ અને સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજકોટના હેમુ ગઢવી ખાતે આયોજિત સેમિનારમાં સેબીના ચીફ જનરલ મેનેજરશ્રી દિપક ત્રિવેદી, આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી રાહુલ કેલપુરા, એમ.સી.એક્સ. ના વાઇસ પ્રેસિડન્ટ શ્રી દેબજ્યોતિ રોય, એન.સી.ડી.ઈ.એક્સ. ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ કવિતા ઝા તેમજ શ્રી અર્ચના વેણુગોપાલે ઇન્વેસ્ટર્સને ટ્રેડિંગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેફ ટ્રેડિંગ અંગે માહિતી પુરી પાડી હતી.
આ તકે તજજ્ઞોએ નિવેશકોને શેર, ફોરેન એક્સચેન્જ, કોમોડિટી ટ્રેડિંગ માટે કોઈ પણ વધુ વળતરના પ્રલોભન કે ટિપ્સ પર વિશ્વાસ નહી કરવા ભારપૂર્વક જણાવી સેબી સહિતની માન્ય સંસ્થા અને રજીસ્ટર્ડ એકમ સાથે જ ડીલ કરવા વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. આ માટે સેબીની વેબસાઈટ ખાસ ચેક કરવા જણાવાયું હતું.
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી. આઈ. નિરજ નિમાવતે આ તકે જણાવ્યું હતું કે, સ્ટોક તેમજ ફોરેક્સ ટ્રેડિંગ માટે સોશિયલ મીડિયા દ્વારા આવતા કોલ કે જાહેરાત પર વિશ્વાસ કરવો નહી, પરંતુ માન્ય સંસ્થાઓના ટ્રેડિંગ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો જોઈએ.



