કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરે જાણીતા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીને ફરી એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરી શકે છે.
જાણીતા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીને ફરી એકવાર સરકારના ટોચના કાયદા અધિકારી (law officer)ની જવાબદારી સોંપવામાં આવનાર છે. વર્તમાન એજી કેકે વેણુગોપાલે 30 સપ્ટેમ્બર પછી આ પદ પર બન્યા રહેવાની અસમર્થતા વ્યક્ત કરી છે. તેથી કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરે દેશના 16માં એટર્ની જનરલ તરીકે મુકુલ રોહતગીને નિયુક્ત કરી શકે છે.
- Advertisement -
2017માં વેણુગોપાલને બનાવાયા હતા એટર્ની જનરલ
ખાસ વાત એ છે કે, વેણુગોપાલને જૂન 2017માં રોહતગીની જગ્યાએ એટર્ની જનરલ બનાવ્યા હતા. એ સમયે મોદી સરકાર રોહતગીનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમને 2 વર્ષનું એક્સટેન્શન આપવા માંગતી ન હતી. રોહતગી ભાજપના દિવંગત નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના ખૂબ નજીક હતા. 2014માં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ બહુમતી સરકારની બન્યા પછી તેમને એટર્ની જનરલ બનાવવામાં આવ્યા હતા.
વેણુગોપાલને એક-એક વર્ષના બે એક્સટેન્શન આપી ચૂકી છે સરકાર
- Advertisement -
જો કે, રોહતગીએ એક્સ્ટેંશન ન આપવાના સરકારના વલણને ધ્યાનમાં લીધા પછી 2017માં જૂનના બીજા સપ્તાહમાં રાજીનામું આપ્યું અને ખાનગી પ્રેક્ટિસમાં પાછા ફર્યા. તેઓ સુપ્રીમ કોર્ટના ટોચના 5 વકીલોમાં સામેલ છે.
90 વર્ષના કે.કે વેણુગોપાલને મોદી સરકાર તેમના ત્રણ વર્ષના કાર્યકાળ ઉપરાંત એક-એક વર્ષના બે એક્સટેન્શન આપી ચૂકી છે. તેઓ વારંવાર આ પદ પર બન્યા રહેવાની અનિચ્છા વ્યક્ત કરતા આવ્યા છે. આખરે તેઓ 30 સપ્ટેમ્બર સુધી માત્ર 3 મહિનાના એક્સટેન્શન માટે તૈયાર થયા જેથી કરીને સરકાર તેમની જગ્યાએ કોઈ ચહેરો પસંદ કરી શકે. મોદી સરકાર આ પદ માટે 67 વર્ષીય રોહતગીને સૌથી યોગ્ય માની રહી છે.
PMOએ રોહતગીને સમજાવ્યાઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, રોહતગીને પીએમઓએ એટર્ની જનરલ બનવા માટે સમજાવ્યા અને સિનિયર વકીલે આ વિનંતી સ્વીકારી લીધી છે. એજી તરીકે રોહતગીના કાર્યકાળ દરમિયાન મોદી સરકારને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC)ને રદ્દ કરી દીધું. આ કારણે ઓક્ટોબર 2015થી લગભગ એક વર્ષ સુધી ન્યાયતંત્ર અને કાર્યપાલિકા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.