વેપારીઓ માનવતાના ધોરણે સુધરી જાય, નહીંતર સીલ અને દંડ સહિતની કડક કાર્યવાહી: મેયર ડો. નેહલ શુક્લ
મનપા કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ 8 સ્પેશિયલ ટીમ સજ્જ; ટૂંક સમયમાં અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબ શરૂ કરશે
- Advertisement -
રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ખોરાકમાં ભેળસેળ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા અસામાજિક તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને કડક ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ અને મનપા કમિશનર તુષાર સુમેરાએ એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી છે કે, શહેરમાં ખોરાકમાં થતી ભેળસેળને નાબૂદ કરવા માટે હવે માત્ર ૧૫ દિવસ કે મહિનો નહીં, પરંતુ આખું વર્ષ સતત અને સઘન ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ ડ્રાઇવને જમીની સ્તરે સફળ બનાવવા માટે મનપા કમિશનર તુષાર સુમેરાએ વહીવટી રોડમેપ રજૂ કર્યો હતો. કમિશનરે જણાવ્યું કે, હાલ પ્રારંભિક ધોરણે આરોગ્ય વિભાગની ૮ સ્પેશિયલ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે, જે આગામી સમયમાં હજુ વધારવામાં આવશે. રાજકોટ શહેરના તમામ નાના-મોટા ખાણીપીણીના આઉટલેટ્સ, હોટલો, રેસ્ટોરન્ટ્સથી લઈને હોકર ઝોન (લારી-ગલ્લા) સુધીના તમામ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. મનપા પાસે દંડ કરવાની અને સ્થળ પર જ દુકાન-એકમ સીલ કરવાની પૂરતી સત્તાઓ છે અને તેનો સખ્તાઈથી ઉપયોગ કરવામાં આવશે. મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ એક મહત્વની જાહેરાત કરી હતી કે, ભેળસેળના સેમ્પલનું ટેસ્ટિંગ વધુ ઝડપથી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા ટૂંક સમયમાં પોતાની જ અત્યંત આધુનિક ટેસ્ટિંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. જો કે, આ લેબ બને ત્યાં સુધી તંત્ર બેસી નહીં રહે અને બેકએન્ડ વ્યવસ્થાઓ મજબૂત કરીને હાલના સેમ્પલના રિઝલ્ટ પણ વહેલા આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
ભેળસેળ એ ‘નાનકડું આતંકવાદી કાવતરું’ છે: મેયર ડો. નેહલ શુક્લ
પત્રકાર પરિષદને સંબોધતા મેયર ડો. નેહલ શુક્લએ અત્યંત આકરા શબ્દોમાં ભેળસેળ કરનારા વેપારીઓને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ખોરાકમાં ભેળસેળ એ બીજું કંઈ નહીં પણ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે. વેપારીઓ પોતાના સામાન્ય નફા માટે થઈને નાના બાળકોથી લઈને વડીલો સુધીના આખા પરિવારના સ્વાસ્થ્ય પર જાણીજોઈને કે અજાણતા હુમલો કરી રહ્યા છે. આ ટ્રેન્ડ અત્યંત ખરાબ છે અને મનપા તેને સહેજ પણ ચલાવી લેશે નહીં
ખોરાકમાં જોયો કચરો? પાડો ફોટો, બનાવો વીડિયો, મનપા કરશે સીધો હિસાબ
મેયર ડો. નેહલ શુક્લએ રાજકોટની જનતાને આ મહાઝુંબેશમાં જોડાવા આહવાન કર્યું છે. તેમણે અપીલ કરી છે કે, શહેરના કોઈપણ વિસ્તારમાં જો કોઈ નાગરિકના ધ્યાનમાં ખોરાક કે પાણીમાં ભેળસેળ થતી હોવાની આશંકા આવે, તો તેઓ તાત્કાલિક તેનો વીડિયો કે ફોટોગ્રાફ્સ રેકોર્ડ કરીને મનપાને વોટ્સએપ અથવા મીડિયાના માધ્યમથી મોકલી આપે. મનપા તંત્ર તે ફરિયાદને અત્યંત ગંભીરતાથી લઈને કંપની કે વેપારી સામે ત્વરિત કાયદેસરની એક્શન લેશે. નાગરિકોના પ્રતિસાદ માટે મનપા એક સલાહકાર સમિતિમાં પણ જાગૃત લોકોને સ્થાન આપશે.




