સિટી બ્યુટીફિકેશન : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરના વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ: ત્રણેય ઝોનમાં ૧૫૧થી વધુ ક્યારા બનાવાયા: કામગીરી ચાલુ
રાજકોટ શહેરને સુંદર અને રળિયામણું બનાવવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઉછરેલા વ્રુક્ષો ફરતે સુંદર ક્યારા બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે, અત્યાર સુધીમાં ત્રણેય ઝોનમાં કુલ મળીને ૧૫૧થી વધુ ક્યારા બની ચુક્યા છે અને હજુ પણ બાકી રહેલા અન્ય વૃક્ષો માટે ક્યારા બનાવવામાં આવી રહ્યા હોવાનું મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

- Advertisement -
કમિશનરએ પૂરક માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, શહેરના ત્રણેય ઝોનના મુખ્ય રસ્તા પર વ્રુક્ષો માટે ક્યારા બનાવી તેમાં કપચીથી ભરવામાં આવે છે. આમ કરવાથી ક્યારામાં કચરો નહીં ભરાય અને તેમાં પાણી આસાનીથી જમીનમાં ઉતરી જાય. જો કદાચ કચરો ભરાય તો પણ તે આસાનીથી બહાર કાઢી શકાય છે. ક્યારાને કારણે વ્રુક્ષ અને તેની આસપાસનો એરિયા ચોખ્ખો અને સુંદર દેખાય છે.

શહેરના વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર-૯મા ૧૦ ક્યારા, વોર્ડ નંબર – ૧૦માં ૧૫૧ ક્યારા બનાવવામાં આવી ચુક્યા છે. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નંબર -૧૬મા ૪ અને અન્ય વોર્ડમાં હવે ક્રમશ: કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર-૨ માં રેસકોર્સ ફરતે અને એરપોર્ટ પાસેના રસ્તા પર હાલ આ કામગીરી ચાલુ છે.
- Advertisement -

કમિશનરએ વધુમાં એમ જણાવ્યું હતું કે, આ ફ્લાવર બેડ બનાવવા માટે ફૂટપાથ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પથ્થર તેમજ નોનયુઝમાં રહેલ સિમેન્ટ પાઈપલાઈનના વેસ્ટમાંથી તેના કટકાનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આમ વ્રુક્ષો માટે ચોરસ અને ગોળ આકારના સુંદર ફ્લાવર બેડ બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે.



