કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન સિસ્ટમ બંધ કરવામાં આવી હોવાના કારણે આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ
મલ્ટી લોગિન સિસ્ટમ શરૂ કરવા મેયર ડૉ. નેહલ શુક્લએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાને રજૂઆત કરી
- Advertisement -
દેશમાં વસ્તી ગણતરી ડેટા સંબંધિત કોઈ કથિત કૌભાંડ કે ક્ષતિ સામે આવ્યા બાદ સુરક્ષાના ભાગરૂપે મલ્ટી-લોગિન સુવિધા બંધ કરી દેવાઈ
રાજકોટ મહાનગરપાલિકાના તમામ ઝોનલ સેન્ટરો પર છેલ્લા બે દિવસથી જન્મ-મરણ વિભાગની કામગીરીનું સર્વર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલથી ઇન્ટરનેટની સ્પીડ ધીમી રહ્યા બાદ આજે સવારથી જ સિસ્ટમ બંધ થઈ જતાં મોટી સંખ્યામાં લોકો સેન્ટરો પર અટવાયા હતા. આ અંધાધૂંધીને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે અરજદારોને આગોતરા ટોકન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
તંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકામાં મલ્ટી લોગિન સિસ્ટમ કાર્યરત હતી, જેના કારણે વોર્ડ લેવલ સુધી વિવિધ કેન્દ્રો પરથી ઝડપથી જન્મ-મરણના દાખલાની કામગીરી થઈ શકતી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં વસ્તી ગણતરી ડેટા સંબંધિત કોઈ કથિત કૌભાંડ કે ક્ષતિ સામે આવ્યા બાદ, સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી મલ્ટી-લોગિન સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આ ફેરફાર અને સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમના કારણે સર્વર પર ભાર વધતા સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આખી સિસ્ટમ ઓનલાઈન હોવાથી જ્યાં સુધી દિલ્હી ખાતેથી અથવા સેન્ટ્રલાઈઝ્ડ લેવલ પરથી સર્વરની સ્પીડ પૂર્વવત કરવામાં ન આવે, ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી આ સમસ્યા ઉકેલવી શક્ય નથી.
- Advertisement -
આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ મેદાનમાં આવ્યા છે. આ મામલે ગયા અઠવાડિયે જ કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી અમિત શાહને ઈમેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે.આ ઉપરાંત, ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે રૂબરૂ મુલાકાત કરીને મલ્ટી-લોગિન સિસ્ટમ ફરી શરૂ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે લેખિતમાં માંગણી કરવામાં આવી છે.




