પ્રાકૃતિક અને સજીવ ખેતીમાં ઉત્તમ છે જૈવિક ખાતર: પૂજાબહેન નકૂમ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
ખેડૂતોને કૃષિ લક્ષી માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો ઉપક્રમ અપનાવાયો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો માટે માર્ગદર્શન કૃષિમંદિર બન્યું છે. જ્યાં ખેડૂતોને વિવિધ અસરકારક કૃષિલક્ષી માહિતી મળી રહે છે. ગીર સોમનાથના કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ વિવિધ તાલીમ થકી ખેડૂતોને ખેતીવિષયક માહિતી પૂરી પાડી અને ખેતીલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
કોડિનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાંત પૂજાબહેન નકૂમ તેમજ સીનિયર વૈજ્ઞાનિક શ્રી જીતેન્દ્રસિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના અમરાપુર મુકામે પ્રગતિશીલ ખેડૂત શ્રી કૈલાસભાઈ ધોકિયાના ગોપી વર્મિકમ્પોસ્ટ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન નિષ્ણાંતોએ વર્મિકમ્પોસ્ટ-જૈવિક ખાતર વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કૈલાશભાઇ દ્વારા કરવામાં આવતી સજીવ ખેતીની વિવિધ પ્રવૃતિ વિશે માહિતી મેળવી હતી. પ્રગતિશીલ ખેડૂત શ્રી કૈલાશભાઇ અળસીયા ખાતર તેમજ અળસિયાનું વેચાણ પણ કરી રહ્યા છે.
પૂજાબહેન નકૂમે જણાવ્યું હતું કે, હાલના સમયની માંગ પ્રમાણે ખેડૂતોએ પણ આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવી ટકાઉ ખેતી, સજીવ ખેતી તરફ આગળ વધવું જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં જૈવિક ખાતર ઉત્તમ છે. આ મુલાકાત દરમિયાન તેમના ફાર્મ પર અળસિયાનું ખાતર, ગીરગાય ગૌપાલન, પ્રાકૃતિક કૃષિ, વિવિધ પ્રકારના અર્ક, તેમજ અઝોલા ફાર્મિંગ વગેરે જેવી ટકાઉ ખેતી પદ્ધતિઓનું અવલોકન કર્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા ખેડૂતો પોતાના ખેતર થકી ખાતર તેમજ અન્ય સંસાધનો બનાવતા થાય તે વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.