ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉનાળાની શરૂઆત થતાં જ લોકો આખા વર્ષના મસાલા ભરતા હોય છે. ગૃહિણીઓ મરચું, હળદર, ધાણાજીરું ખરીદવા મસાલા માર્કેટ પહોંચે છે અને આખા વર્ષના મસાલા ભરે છે. પરંતુ આ વર્ષે મસાલા માર્કેટમાં દર વર્ષ જેટલી તેજી નથી દેખાઈ રહી. મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો હોવાથી માર્કેટમાં સનકારો છવાઈ ગયો છે. મરચાના ભાવમાં ગતવર્ષ કરતા અધધ 100%નો વધારો જોવા મળ્યો છે. રાજકોટના નાના મવા રોડ, 80 ફૂટ રોડ, 150 ફૂટ રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, નાણાવટી ચોક, ભક્તિનગર સર્કલ સહિતની અનેક જગ્યાઓ પર મસાલા માર્કેટ ભરાય છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મસાલાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓ દર વર્ષે મસાલા માર્કેટમાંથી મસાલાની ખરીદી કરી આખા વર્ષના મસાલા દળાવીને ભરતી હોય છે. પરંતુ આ વર્ષે તમામ જાતના મરચાના ભાવ ડબલ થઈ ગયો છે. તેમજ અન્ય મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે જીરું 250 થી લઈને 330 રૂપિયા કિલો મળતું હતું. જે આ વર્ષે 350 થી લઈને 450 રૂપિયે કિલો મળી રહ્યું છે. તો હળદરના ભાવમાં પણ 20% જેટલો ભાવ વધારો થયો છે. મસાલાના ભાવમાં મોટા વધારાને કારણે આ વખતે ગૃહિણીઓએ ગત વર્ષ કરતાં અડધા જ મસાલાની ખરીદી કરી છે. જેમકે દરવર્ષે 5 કિલો મરચું ભરતા હોય તો આ વર્ષે 3 કિલો મરચું ભરીને જ ગૃહિણીઓએ સંતોષ માનવો પડ્યો છે. ખાસકરીને મરચાના ભાવમાં ડબલ થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને આ મોંઘવારીને લઈને ભારે મુશ્કેલી પડી રહી છે. તો મસાલાના ભાવમાં અસહ્ય ભાવવધારાને લઈને વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે અને ગતવર્ષ કરતા ઘરાકી પણ ખૂબ ઓછી જોવા મળી રહી છે અને મસાલા માર્કેટ ખાલી જોવા મળી રહી છે.
- Advertisement -
આઠ વર્ષ અગાઉ પણ મરચાનાં ભાવમાં આવી જ ફિકાશ આવી હતી. હજુ આગામી દિવસોમાં પણ મરચુ ઘણું સસ્તું થઈ જશે તેવી શક્યતા સાથે વેપારીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રેશમપટ્ટો, ડબલ રેશમપટ્ટો, કાશ્મીરી, અગ્નિ અને ટમેટો આ જાતનું મરચુ ખપે છે. રેશમપટ્ટાનો ભાવ કિલોએ 400થી 450 અને કાશ્મીરી મરચાનો ભાવ 150થી 200 વચ્ચેનો હાલના સમયમાં બોલાઈ રહ્યો છે હજુ પણ આ ભાવ ઘટી જશે. ધાણી અને હળદરમાં 15%નો ભાવ વધારો થયો છે, ધાણી પ્રતિ કિલો 110 થી 250, હળદર 120 થી 300 રૂપિયા, ધાણાનો ભાવ 70 રૂપિયાથી 110, જીરાના ભાવ પણ ઉંચકાયા હોવાથી સારી ક્વોલિટીનું જીરૂ રૂા. 300થી 360નું કિલો છે.