સ્ટેટ લેવલ બેન્કર્સ સમિતિનો રીપોર્ટ : બિનનિવાસી ભારતીયોની 70% થાપણ પાંચ જિલ્લામાં જ મુકાઇ છે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રમાં બિનનિવાસી ભારતીયોનો પણ મોટો ફાળો છે. ગુજરાતમાં બિનનિવાસી ભારતીયોનું અઢળક નાણુ આવે છે અને તેનો 70% હિસ્સો રાજકોટ સહિત પાંચ જિલ્લાના એનઆરઆઇનો છે.
- Advertisement -
સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટી દ્વારા જારી કરવામાં આવેલા રીપોર્ટમાં જણાવાયું છે કે, બિનનિવાસી ભારતીયોનું ગુજરાતમાં 86635 કરોડની ડિપોઝીટમાંથી રાજકોટ, આણંદ, વડોદરા, કચ્છ, અમદાવાદનો હિસ્સો 61284 કરોડનો છે. આ સિવાય ખેડા, આણંદ, નવસારી, પોરબંદરમાંથી વિદેશ ગયેલા લોકો પણ મોટી માત્રામાં ડિપોઝીટ જમા કરાવે છે. બેંકો દ્વારા ઉંચુ વ્યાજ આપવામાં આવતું હોવાના કારણોસર બિનનિવાસી ભારતીયોઓની થાપણો સતત વધી રહી છે.
કમીટીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, આણંદ, પોરબંદર, ખેડા, નવસારી અને કચ્છ બેલ્ટમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સ્થાયી થયા છે. એટલે દેખીતી રીતે આ જિલ્લાઓમાં વિદેશીઓની થાપણનું પ્રમાણ ઘણુ વધારે છે. આ લોકો અમદાવાદ, રાજકોટ અને વડોદરાને ડિપોઝીટ રાખવામાં વધુ પસંદ કરે છે. કારણ કે આ જિલ્લાઓમાં બેકિંગ સુવિધા અને એનઆરઆઇ બ્રાન્ચની સંખ્યા વધુ છે.
ડિસેમ્બર-23ના ત્રિમાસિક ગાળામાં એનઆરઆઇ ડિપોઝીટમાં 3.5%નો મામુલી ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર-22ના કવાર્ટરમાં એનઆરઆઇ ડિપોઝીટ 89315 કરોડ હતી એ ડિસેમ્બર-23માં 86635 કરોડ થઇ છે. જોકે આ પાછળ કોઇ ચોકકસ કારણ જવાબદાર નથી.
- Advertisement -
ડિપોઝીટ અને નાણા ઉપાડવાની પ્રક્રિયા નિયમિત ચાલુ જ રહેતી હોય છે અને તેનો એક આ ભાગ હતો. વિદેશમાં વસતા ભારતીયો વ્યાજદર આધારીત લેવડ-દેવડ કરતા હોય છે. અમેરિકામાં હાલ વ્યાજદર 5 થી 6 ટકા છે. જે ભારત કરતા નીચો છે.