ફિલ્ડવર્કરો દ્વારા 196 ઘરોમાં ફોગિંગ કામગીરી હાથ ધરી મચ્છરોનો નાશ કરવામાં આવ્યો
ઝાડા-ઉલટીના 305, ટાઈફોઈડના 3, કમળાના 3ના કેસ
- Advertisement -
161 આસામીઓને મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ ફટકારાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત સપ્તાહે (તા. 25/05/2026 થી તા. 31/05/2026) વ્યાપક અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહક નિયંત્રણ (વેક્ટર કંટ્રોલ) કામગીરી અંતર્ગત ફિલ્ડ વર્કરો દ્વારા શહેરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો નાશ કરવા અને ફોગિંગ કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આરોગ્ય શાખાની યાદી મુજબ, ગત સપ્તાહ દરમિયાન મનપાની ટીમ દ્વારા કુલ 18,441 ઘરોમાં પોરાનાશક (એન્ટી-લાર્વલ) કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત મચ્છરોની ઘનતા વધુ હોય તેવા વિસ્તારો, સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર રસ્તાઓ અને વધુ જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ વ્હીકલ માઉન્ટેડ મશીન અને ફિલ્ડવર્કરો દ્વારા 196 ઘરોમાં ફોગિંગ કામગીરી હાથ ધરી મચ્છરોનો નાશ કરવામાં આવ્યો છે.
ડેન્ગ્યુ ફેલાવતો એડિસ મચ્છર ચોખ્ખા પાણીમાં અને દિવસના સમયે જ કરડતો હોવાથી મનપા દ્વારા બાંધકામ સાઇટો, શાળાઓ, હોસ્પિટલો, હોટેલો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ધાર્મિક સ્થળો સહિત અન્ય 437 પ્રિમાઇસીસમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા મનપા દ્વારા બાયલોઝ અંતર્ગત કડક કાર્યવાહી કરીને રહેણાંકમાં 161 અને કોમર્શિયલ 36 મળી કુલ 197 આસામીઓને મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ ફટકારવામાં આવી છે તેમજ વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. વર્ષ 2026 ના 22મા સપ્તાહ દરમિયાન નોંધાયેલા રોગોના આંકડા ચિંતાજનક રહ્યા છે. મનપાના ચોપડે એક જ સપ્તાહમાં શરદી-ઉધરસના 635 કેસ (વર્ષના કુલ 16,979) અને સામાન્ય તાવના 711 નવા કેસ (વર્ષના કુલ 15,388) નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઉલટીના નવા 305 કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાનો 1 અને ડેન્ગ્યુનો 1 નવો પોઝિટિવ કેસ નોંધાયો છે.
- Advertisement -
પાણીજન્ય રોગચાળો અટકાવવા મનપા એલર્ટ: 1917 સ્થળોએ પીવાના પાણીના ક્લોરીન ટેસ્ટ કરાયા
શહેરમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ગત સપ્તાહમાં કુલ 1,917 સ્થળોએ ક્લોરીન ટેસ્ટ કરીને પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. મનપાના આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે મચ્છરોનું જીવનચક્ર ટૂંકું અને પ્રજનન ઝડપી હોવાથી, ઘરોમાં કે આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવું. જાહેર સ્વાસ્થ્યના આ પડકારને પહોંચી વળવા માટે લોકો પોતાની જીવનશૈલીમાં જાગૃતતા રાખે અને મનપા તંત્રને સહકાર આપે તે અત્યંત આવશ્યક છે.



