ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આરોપી અશોકભાઈ પ્રતાપભાઈ જરીયાને એક વર્ષની કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે રૂા. 1,00,000 60 દિવસમાં ચૂકવે અને વળતર ન ચૂકવે તો વધારાની બે માસની સજાનો હુકમ કોર્ટે ફરમાવ્યો છે.આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે ફરિયાદી અજીતભાઈ કરમસિંગભાઈ જરીયા તથા આરોપી અશોકભાઈ પ્રતાપભાઈ જરીયા બંને એક જ જ્ઞાતિના હોય બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હોય આરોપીએ ફરિયાદી પાસેથી કટકે-કટકે હાથઉછીના રૂા. 1,00,000 લીધેલા હતા. બાદ આ રકમની માગણી કરતાં આરોપીએ રૂા. 1,00,000નો ચેક આપેલ.
- Advertisement -
જે ચેક ફંડ ઈન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરિયાદીએ તેમના એડવોકેટ મારફત ડીમાન્ડ નોટીસ પાઠવેલ છતાં રકમની ચૂકવણી ન કરતાં રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી.બાદમાં કેસ ચાલી જતાં કેસ દલીલ ઉપર આવતાં ફરિયાદીના એડવોકેટ હિતેષ આર. ભાયાણીએ સુપ્રીમ કોર્ટ તથા અલગ અલગ વડી અદાલતોના ચૂકાદાઓ રજૂ કરી ફરિયાદીએ પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરેલ હોય તેમજ બચાવ પક્ષે ફરિયાદીના મૌખિક તથા દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજૂ રાખી શકેલ ન હોય તે ધ્યાને લઈ આરોપીને સજા કરવા રજૂઆત કરી હતી. ફરિયાદ પક્ષે થયેલી રજૂઆત ધ્યાને લઈ રાજકોટના એડી. ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટે આરોપી અશોકભાઈ પ્રતાપભાઈ જરીયાને દોષિત ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે રૂા. 1,00,000 60 દિવસમાં ચૂકવે અને વળતર ન ચૂકવે તો વધારાની બે માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ ફરિયાદી વતી એડવોકેટ તરીકે હિતેષ આર. ભાયાણી તેમજ લીગલ આસિસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી તથા વિરાજ જરીયા રોકાયા હતા.



