જંગલેશ્ર્વર વિસ્તારનો બનાવ : 8 થી 10 શ્ર્વાનના ટોળાંએ અચાનક આવી પર હુમલો કર્યો હતો, બાળકીનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે સાંજે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બનેલી ઘટનાથી કઠોરમાં કઠોર હૈયુ પણ હચમચી ઉઠે! પાંચ વર્ષની માસુમ બાળા પર રખડતા 8 થી 10 શ્વાનના ટોળાએ હુમલો કરી અનેક બચકા ભરતા બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. બાળા પોતાના માસીના ઘરે રમવા જઈ રહી હતી.ત્યારે ઘટના બનેલી, બનાવના પગલે ભકિતનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.બાળકીના શરીરના એક-એક ભાગ પર અનેક બચકાના નિશાન હતા. બાળકીને શ્વાનનું ટોળુ ઢસડીને વોંકળા કાંઠે લઈ ગયું હતું. બચકા ભરતા શ્વાનને જોઈ જતા રાહદારીએ તેને તગડવા અને બાળકીને છોડાવવા પ્રયત્ન કરેલો પણ શ્વાન તેને પણ બચકાં ભરવા પાછળ દોડયા હતાં. આ અરેરાટી મચાવતી ઘટનાની વિગત મુજબ, મૃતક બાળકીનું નામ મોની કલીમ સૈયદ (ઉ.વ.5) હતું. બાળકીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે.
- Advertisement -
પિતા કલીમ સૈયદને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે જેમાં મૃતક મોની ત્રીજા નંબરની હતી. પિતા કલીમ ચાની હોટલમાં કામ કરે છે. અહીં રાજકોટમાં પરિવાર જંગલેશ્ર્વરના ખ્વાજા ચોક નજીક મફતીયાપરામાં રહે છે. આ ઘટના બાદ મહાપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે સવારથી જંગલેશ્ર્વર વિસ્તારમાં કુતરાં પકડાવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, સ્થાનીક રહેવાસીના જણાવ્યા અનુસાર, કેટલાય સમયથી આ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ હતો. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જો તંત્ર દ્વારા અગાઉ જ કાર્યવાહી કરવામાં આવી હોત તો માસૂમ બાળાનો જીવ બચાવી શકાયો હોત.