13 સેન્ટરમાંથી પાંચ સેન્ટર પર કામગીરી થતી નથી
શાળામાં એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી અટકી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આધાર કાર્ડમાં સુધારા વધારાની કામગીરી અટકી પડી છે. જેના કારણે પ્રાથમિક શાળામાંં છાત્રોનાં એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી પણ અટકી ગઇ છે. જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરી માટે 13 સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે. તેમાંથી પાંચ સેન્ટર પર કામગીરી ન થતી હોવાનાં આક્ષેપ થઇ રહ્યાં છે. પ્રથામિક શાળાનાં છાત્રોનાં વાલીઓ ધક્કા ખાઇ રહ્યાં રહ્યાં છે.
જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરીને લઇ વારંવાર ચર્ચા જાગે છે. જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરી હાલ ખોરંભે પડી ગઇ છે. આધાર કાર્ડમાં સુધારા વધારા થતા નથી. આધાર કાર્ડ કોઇ ફેરફાર થતો નથી. જેના કારણે અનેક લોકોનાં કામ અટકી પડ્યાં છે. ખાસ કરીને જૂનાગઢ શહેરની પ્રાથમિક શાળામાં છાત્રોનાં આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢની દરેક પ્રાથમિક શાળાને આ કામગીરી તા. 16 માર્ચ 2022 સુધીમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
આ અંગે જૂનાગઢ બીઆરસીએ દરેક શાળાને પત્ર લખી જાણ કરી છે અને 16 માર્ચ સુધીમાં બિનચુક પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. બીઆરસીએ કરેલા પત્રમાં જૂનાગઢ શહેરમાં આધાર એનરોલમેન્ટની કામગીરી માટેનાં સ્થળ બતાવવામાં આવ્યાં છે. જેમાં આઝાદ ચોક, દોલતપરા, જોષીપરા, ટીંબાવાડી, રાયજીબાગ , ગાંધીગ્રામ સહિતનાં 13 સેન્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ 13 સેન્ટર પૈકી 5ાંચ સેન્ટરમાં આધાર એનરોલમેન્ટની કામગીરી થતી નથી. જેના કારણે વાલીઓને ધક્કા થઇ રહ્યાં છે.
તેમજ શાળાઓમાં છાત્રોનાં આધાર એનરોલમેન્ટની કામગીરી અટકી પડી છે. જૂનાગઢ બીઆરસી કચેરીમાંથી પણ ખરાઇ વિના સેન્ટરનાં નામ આપી દીધા હોય તેવું જણાઇ રહ્યું છે. વાલીઓને જુદા-જદુા સેન્ટર પર ધક્કા થઇ રહ્યાં છે. આ ઉપરાંત શાળામાં પણ આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી અટકી પડી છે. તંત્ર દ્વારા 16 માર્ચ સુધીની તારીખ આપવામાં આવી છે. આ તારીખ સુધીમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનાં આદેશ કરવામાં આવ્યાં છે.
કોનાં વાંકે લોકોને ધક્કા?
જૂનાગઢ બીઆરસીએ કરેલા પત્રમાં 13 સેન્ટરનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ અનેક જગ્યાએ કામગીરી થતી નથી. પરિણામે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બીઆરસી ઓફીસ દ્વારા કોઇ તપાસ કર્યા વિના સેન્ટર બતાવી દેવામાં આવ્યાં હોવાનાં સવાલ ઉભા થયા છે. જો પહેલા ખરાઇ કરીને સેન્ટર દર્શાવવામાં આવ્યાં હોત તો લોકોને ધક્કા ખાવા પડેત નહી. પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. અથવા તો પહેલા સેન્ટર ચાલુ હોય અને પત્ર બાદ સેન્ટર બંધ થયા હોય કે કામગીરી ન થતી હોય તેવું પણ બની શકે છે.
સામાન્ય માણસોની રોજગારી બગડે
વાલીઓ પોતાની રોજગારી મુકી આધાર કાર્ડની કામગીરી માટે કચેરીઓનાં ધક્કા ખાઇ રહ્યાં છે અને તેમનો દિવસ બગડી રહ્યો છે. સમયસર કામ ન થતા સામાન્ય માણસની રોજગારી બગડી રહી છે. જૂનાગઢમાં આધાર કાર્ડને લગતી કામગીરીનાં સેન્ટર વહેલી તકે શરૂ કરવા માંગ ઉઠી છે. જેનાથી સામાન્ય માણસની રોજગારી ન બગડે અને પ્રાથમિક શાળામાં આધાર એનરોલમેન્ટની કામગીરી ઝડપી બને.
જવાબદારી નોડલ ઓફિસરની રહેશે
બીઆરસીનાં પત્રમાં કહેવામાં આવ્યું કે,16 માર્ચ સુધીમાં છાત્રો બાકી રહી જાય તો કેમ્પ યોજી 100 ટકા કામગીરી પૂર્ણ કરવાની રહેશે.તેમજ આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહી થાય તો સઘળી જવાબદારી કલસ્ટર નોડલ ઓફિસર અને સહાયક નોડલ ઓફિસરની રહેશે.


