એક પ્રશ્ર્ન કેટલાક જિજ્ઞાસુઓના મનમાં થાય છે
સાધના કરવા માટે ગૃહત્યાગ કરવો કે સંસાર ત્યાગ કરવો જરા પણ આવશ્યક નથી. સંસારમાં રહીને પણ સાધના થઈ શકે છે. હવે પ્રશ્ર્ન એ રહે છે કે સાધના કરવાથી સંસારી જનોને શો ફાયદો થાય? સૌથી મોટો ફાયદો તો એ થાય છે કે સાધના મનુષ્યને સંપૂર્ણ આઝાદી બક્ષે છે. સંસારના તમામ કાર્યો કરવા માટે માનવીએ કોઈકની ઉપર તો અવલંબન રાખવું જ પડે છે. ધાર્મિક કાર્યોમાં પત્નીના સહકારની જરૂર પડે છે, સામાજિક કાર્યોમાં પરિવારજનો, પાડોશીઓ તથા સગા-વ્હાલાઓનો સહકાર આવશ્યક બને છે, નોકરી કે વ્યવસાયમાં અન્ય લોકો ઉપર આધાર રાખવો પડે છે.
- Advertisement -
સાધનામાં કોઈની જરૂર રહેતી નથી, કારણ કે ધ્યાન સાધનામાં મનુષ્યે અંતર્મુખી બનવાનું હોય છે, જ્યારે મનુષ્ય પોતાની દૃષ્ટિ અને મન અંદરની તરફ વાળી લે છે ત્યારે બાહ્ય જગતના તમામ પદાર્થો અને માનવીઓથી એ અલિપ્ત થઈ જાય છે. અંતર્યાત્રા એણે એકલાએ જ કરવાની હોય છે, માટે એ વિશ્વના આઠ અબજ લોકોને છોડીને સાધના માર્ગ પર એકલો આગળ વધી શકે છે. આમ, કહી શકાય કે સાધના માર્ગમાં બીજા તો અનેક ફાયદાઓ થાય છે, પરંતુ સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે મનુષ્યને સંપૂર્ણ આઝાદી પ્રાપ્ત થાય છે.