UK મેડિકલ જર્નલ ‘Lancet’ માં પ્રકાશિત ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર હાલમાં ભારતમાં 101 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા
ભારતમાં 10 કરોડથી વધુ લોકો છે ‘ડાયાબિટીસ’ના શિકાર હોવાનો ICMRના રિસર્ચમાં મોટો ઘટસ્ફોટ થયો છે. UK મેડિકલ જર્નલ ‘Lancet’ માં પ્રકાશિત ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર હાલમાં ભારતમાં 101 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા છે. જ્યારે વર્ષ 2019માં આ આંકડો 70 મિલિયનની નજીક હતો. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક રાજ્યોમાં આંકડા સ્થિર થયા છે. તે જ સમયે, તેઓ ઘણા રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે. જે રાજ્યોમાં ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યાં તેને રોકવાની ખૂબ જ જરૂર છે.
- Advertisement -
એક ખાનગી મીડિયા અહેવાલ અનુસાર દેશના 15 ટકા લોકો પ્રી-ડાયાબિટીસના દર્દીઓ છે. અભ્યાસ મુજબ ઓછામાં ઓછા 136 મિલિયન લોકો એટલે કે 15.3 ટકા વસ્તીને પ્રિ-ડાયાબિટીસ છે. ગોવા (26.4%), પુડુચેરી (26.3%) અને કેરળ (25.5%)માં ડાયાબિટીસનો સૌથી વધુ વ્યાપ જોવા મળ્યો હતો. ડાયાબિટીસની રાષ્ટ્રીય સરેરાશ 11.4 ટકા છે. જોકે અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે, આગામી કેટલાક વર્ષોમાં યુપી, એમપી, બિહાર અને અરુણાચલ પ્રદેશ જેવા ઓછા પ્રચલિત રાજ્યોમાં ડાયાબિટીસના કેસોમાં વધારો થશે.
મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખે કહી આ વાત
આ તરફ મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ અને અભ્યાસના પ્રથમ લેખક ડૉ. રણજીત મોહન અંજનાએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસના કેસોની સરખામણીમાં ગોવા, કેરળ, તમિલનાડુ અને ચંદીગઢમાં પ્રી-ડાયાબિટીસના કેસ ઓછા છે. પુડુચેરી અને દિલ્હીમાં તેઓ લગભગ સમાન છે અને તેથી આપણે કહી શકીએ કે રોગ સ્થિર થઈ રહ્યો છે. પરંતુ ડાયાબિટીસના ઓછા કેસ ધરાવતા રાજ્યોમાં વૈજ્ઞાનિકોએ પ્રિ-ડાયાબિટીસ ધરાવતા લોકોની સંખ્યા વધુ નોંધી છે. ઉદાહરણ તરીકે, યુપીમાં ડાયાબિટીસનો વ્યાપ 4.8% છે, જે દેશમાં સૌથી ઓછો છે, પરંતુ 15.3% ની રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં 18% પ્રી-ડાયાબિટીસ છે.
31 રાજ્યોના 1 લાખથી વધુ લોકો પર કરાયો અભ્યાસ
આ સાથે તેમણે કહ્યું, યુપીમાં ડાયાબિટીસ ધરાવતા પ્રત્યેક વ્યક્તિ માટે લગભગ ચાર લોકો પ્રી-ડાયાબિટીસ ધરાવતા હોય છે. મતલબ કે આ લોકોને જલ્દી ડાયાબિટીસ થઈ જશે. મધ્યપ્રદેશમાં, એક ડાયાબિટીસ અને ત્રણ પ્રિ-ડાયાબિટીક લોકો છે. અને સિક્કિમ એક અપવાદ જેવું છે, જ્યાં ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ બંનેનો વ્યાપ વધારે છે. આપણે કારણોનો અભ્યાસ કરવો જોઈએ. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના સમર્થન સાથે ડૉ. મોહનના ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ 31 રાજ્યોના 1,13,000 લોકો પર આધારિત હતો.