5 વર્ષમાં મનપાને 5913 બાંધકામ મંજુરી અરજી મળી
મનપા દ્વારા 4961 બાંધકામને મંજુરી અપાઈ અને 825 અરજી રદ્દ
BU સર્ટી આપવામાં મનપાની આળસ કે પછી બીજું કાંઈ ?
શું બિલ્ડરોએ બાંધકામ કરી લોકોને BU સર્ટી વિના પધરાવી દીધાં ?
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં બીયુ સર્ટીને લઇ વિવાદ થયો હતો. મનપાએ હોસ્પિટલ, કેટલાક કોમ્પ્લેક્ષને સીલ મારી દીધા હતાં.જેને લઇ જૂનાગઢમાં વિવાદ થયો હતો. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં માટે 97 બાંધકામને જ બીયુ સર્ટી આપવામાં આવ્યાં છે. પાંચ વર્ષમાં 5913 અરજી બાંધકામની મંજુરી માટે મનપાને મળી હતી, તે પૈકી 4961ને મંજુરી આપવામાં આવી છે. અને 825 અરજી રદ કરવામાં આવી છે. જૂનાગઢ મનપાની બાંધકામ શાખા વિવાદમાં રહે છે. બાંધકામ શાખાનાં તત્કાલીક સીટી ઇજનેરની શૈક્ષણિક લાયકાત લઇને અનેક રજુઆતો થઇ હતી. તેમજ આ શાખામાં કોઇને કોઇ વિવાદ યથાવત રહે છે.
આ ઉપરાંત તાજેતરમાં જ બાંધકામ શાખાનાં ઇન્ચાર્જ ઇજનેરે ઇન્ચાર્જનો ચાર્જ લઇ લેવા કમિશ્નરે રજુઆત કરી છે. તે પહેલા એકે રાજીનામું આપી દીધું હતું. બાંધકામ શાખાનાં કર્મચારીઓ આક્ષેપ હતો કે, ઉચ્ચઅધિકારીઓ અને પદાધિકારીઓ તથા નાગરીકોનો ભોગ બનવું પડે છે. એટલું જ નહી મહાનગર પાલીકાએ બીયુ સર્ટી વિનાનાં બાંધકામને સીલ મારવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં વર્ષો જુના બિલ્ડીંગને પણ સીલ મારી દેવામાં આવ્યાં હતાં. મનપાની કામગીરીને લઇ રોષ ભભૂક્યો હતો. વેપારીઓએ આંદોલનનાં મંડાણ કર્યા હતાં. ત્યારે જૂનાગઢ મનપાની કામગીરીને લઇ સવાલ ઉભા થયા હતાં. જૂનાગઢમાં મોટાભાગનાં બાંધકામ પાસે બીયુ સર્ટી નથી. બીયુ સર્ટી લેવામાં આવ્યાં નથી કે બિલ્ડરોએ બીયુ સર્ટી વિના બાંધકામ કરી હાથ ખંખેરી નાખ્યાં છે ?. તેવા સવાલ ઉભા થયા છે.
જૂનાગઢ મહાનગર પાલીકાની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં મનપાને બાંધકામ મંજુરીની 5913 અરજી મળી છે. તેમાંથી 4961 બાંધકામને મંજુરી આપવામાં આવી છે. જ્યારે 825 અરજીઓ રદ કરવામાં આવી છે. બીજી તરફ માત્ર 97 બાંધકામને જ બીયુ સર્ટી ઇશ્યુ કરવામાં આવ્યાં છે. જેમાં તમામ પ્રકારનાં બાંધકામનો સમાવશે થાય છે.હવે જૂનાગઢ મહાનગર પાલીકા બીયુ સર્ટીને લઇ કામગીરી કરે તો માત્ર 97 બાંધકામને બાદ કરતા તમામને સીલ મારવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થાય છે. બીયુ સર્ટીને લઇ કોની આળસ છે તે પણ સવાલ ઉભા થયા છે.
- Advertisement -
બાંધકામની મંજુરી સાથે બીયુ સર્ટી આપવું જોઇએ
નવા બાંધકામ થતાં હોય ત્યારે બાંધકામ પૂર્ણ થયાની સાથે મનપાએ પણ બીયુ સર્ટીનો આગ્રહ રાખવો જોઇએ. જેનાથી આગળ જતા બીયુ સર્ટીનાં પ્રશ્ન ઉભા ન થાય. લોકોએ પણ મિલકત ખરીદતી વખતે બીયુ સર્ટીનો આગ્રહ રાખવો જોઇએ. આ ઉપરાંત મનપાએ હાલની સ્થિતીએ બીયુ સર્ટી માટે ત્વરીત કામગીરી કરવી જોઇએ અને ઓછા ધક્કામાં લોકોને સર્ટી મળે તેવું આયોજન કરવું જોઇએ.
બાંધકામ શાખામાં વહીવટનાં આક્ષેપો થતાં રહે છે
જૂનાગઢ મનપાની બાંધકામ શાખા સામે વહીવટનાં આક્ષેપો વર્ષોથી થતા રહ્યાં છે. તેમજ લોકોનાં કામ ઝડપથી ન થતા હોવાનાં આક્ષેપો પણ થતા રહે છે. બાંધકામ શાખાનું કામ સરળ બને તેવી લોક માંગ ઉઠી છે.
બિલ્ડરોએ લોકોને મિલકત પધરાવી દીધી ?
જૂનાગઢમાં એવી પણ ચર્ચા ચાલે છે કે, કેટલાંક બિલ્ડરો બાંધકામ કરી લોકોને વેંચી દે છે. બીયુ સર્ટીની ચિંતા કરતા નથી. જૂનાગઢમાં મોટાભાગનાં કોમર્શિયલ બાંધકામની આ જ સ્થિતી છે. વર્ષોથી એક જ બિલ્ડીંગનાં વ્યવસાય કરતા લોકોએ બિલ્ડર પાસેથી મિલકત ખરીદી હોય છે. તેમણે બાંધકામ કર્યું હોતું નથી. બીયુ સર્ટી વિના મિલકત વેંચી દેવામાં આવે છે.


