ઉત્સવ, ઉમંગ અને ભક્તિ : રંગીલા રાજકોટમાં ધાર્મિક ઉત્સવોની સાથે લાખો લોકો મેળાની મોજ માણશે
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વનો આજથી પ્રારંભ થયો છે. જન્માષ્ટમી પૂર્વે આવતાં વિવિધ તહેવારોને પગલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ધાર્મિક શ્રદ્ધા અને લોકઉત્સવનો
માહોલ છવાઈ જશે. આજે શ્રાવણ વદ ત્રીજના દિવસે બોળ ચોથની ઉજવણી થઈ રહી છે, જ્યારે આવતીકાલે તા. 1 સપ્ટેમ્બરે નાગ પાંચમ પર્વ ઉજવાશે. ત્યારબાદ રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નંદ મહોત્સવ
સુધી સતત પાંચ દિવસ સુધી તહેવારોની ઉજવણી થશે. આ વર્ષે પાંચમ તિથિનો ક્ષય હોવાથી તહેવારોની તિથિઓ અંગે વિશેષ પંચાંગ ગણતરી કરવામાં આવી છે. સોમવારે ત્રીજ તિથિ સવારે 8:52 વાગ્યા સુધી રહે છે અને
ત્યારબાદ આખો દિવસ તથા રાત્રિ દરમિયાન ચોથ તિથિ રહેતી હોવાથી મુખ્ય પંચાંગ તથા જ્યોતિષના નિયમ અનુસાર બોળ ચોથ સોમવારે અને નાગ પાંચમ મંગળવારે મનાવવામાં આવી રહી છે. બોળ ચોથના પર્વ સાથે
મહિલાઓ અને પરિવારોમાં ધાર્મિક આસ્થા જોવા મળશે. પરંપરા મુજબ વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજન કરવામાં આવશે. બીજી તરફ નાગ પાંચમના દિવસે નાગદેવતાની પૂજા અને શ્રદ્ધાપૂર્વક તહેવારની ઉજવણી કરવામાં
આવશે.
- Advertisement -
તા. 2 સપ્ટેમ્બરે બુધવારે રાંધણ છઠ્ઠ સાથે રાજકોટના લોકપ્રિય લોકમેળાની શરૂઆત થશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા તરીકે ઓળખાતા આ મેળામાં રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગામડાં અને સૌરાષ્ટ્રના વિવિધ
વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. મેળામાં વિવિધ રાઈડ્સ, રમકડાં, ખાણીપીણીના સ્ટોલ, ચકડોળ સહિતના આકર્ષણો લોકો માટે મનોરંજનનું કેન્દ્ર બનશે. રાંધણ છઠ્ઠથી શરૂ થનારા મેળાની સાથે રાજકોટમાં તહેવારોની
રોનક પણ વધશે. પરિવાર સાથે મેળાની મોજ માણવા લોકો ઉમટી પડતાં શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળશે.
તા. 3 સપ્ટેમ્બરે ગુરુવારે શીતળા સાતમની ઉજવણી થશે. આ દિવસે ધાર્મિક પરંપરાઓ સાથે મહિલાઓ દ્વારા વિવિધ વિધિ-પૂજન કરવામાં આવશે. ત્યારબાદ તા. 4 સપ્ટેમ્બરે શુક્રવારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ
જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે. જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં વિશેષ શણગાર, પૂજન-અર્ચન, ભજન-કીર્તન તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે. રાત્રિના સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ક્ષણને વધાવવા માટે ભક્તોમાં
વિશેષ ઉત્સાહ જોવા મળશે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો પણ યોજાશે.
જન્માષ્ટમીના બીજા દિવસે તા. 5 સપ્ટેમ્બરે શનિવારે નંદ મહોત્સવ ઉજવાશે. શ્રીકૃષ્ણના જન્મ બાદ નંદબાબાના આંગણે થયેલા આનંદોત્સવની સ્મૃતિરૂપે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મંદિરો તથા વિવિધ ધાર્મિક
સ્થળોએ પ્રસાદ વિતરણ અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે.
- Advertisement -
01 સપ્ટેમ્બર
મંગળવાર નાગ પાંચમ
02 સપ્ટેમ્બર
બુધવાર રાંધણ છઠ્ઠ
03 સપ્ટેમ્બર
ગુરુવાર શીતળા સાતમ
04 સપ્ટેમ્બર
શુક્રવાર જન્માષ્ટમી
05 સપ્ટેમ્બર
શનિવાર નંદ મહોત્સવ




