નાટ્ય શોમાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને અમર લોકગાથાઓની હૃદયસ્પર્શી રજૂઆત, દુર્લભ લોકવાદ્ય કલાકારોનું સન્માન કરાયું
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે રાજકોટ ખાતે તેમના જીવન, કવન અને લોકસાહિત્યને સમર્પિત ભવ્ય નાટ્ય શો ‘રંગ છે મેઘાણી’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજકોટ
ખાતે યોજાયેલા આ અનોખા નાટ્યપ્રયોગમાં મેઘાણીજીના જીવન અને લોકસાહિત્ય સર્જનની ગાથાને નાટ્ય, સંગીત, લોકગીતો તથા લોકકલાના વિવિધ સ્વરૂપો દ્વારા જીવંત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત
સાહિત્યપ્રેમી અને સાંસ્કૃતિક રસિક જનસમુદાય સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના રંગોમાં તરબોળ થઈ ગયો હતો. મેઘાણી સાહિત્ય કેન્દ્ર, લોક કલા ફાઉન્ડેશન અને સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે તથા મ્યુનિસિપલ કોર્પોરેશન
અને સિદ્ધનાથ ટ્રસ્ટના સંયોજનથી આ ભવ્ય નાટ્ય શોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટ્ય શોનું લેખન, ગાયન અને સંકલન માલદે આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.
- Advertisement -
‘રંગ છે મેઘાણી’ માત્ર એક નાટક નહીં પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સમગ્ર જીવનકવન અને તેમના લોકસાહિત્ય પ્રત્યેના અદમ્ય પ્રેમને રજૂ કરતો વિશિષ્ટ નાટ્યપ્રયોગ બની રહ્યો હતો. મેઘાણીજીના જીવનના વિવિધ
પ્રસંગો, લોકજીવન સાથેનો તેમનો નાતો અને સૌરાષ્ટ્રની ધરતી સાથે જોડાયેલી લોકગાથાઓને નાટ્યાત્મક અને સિનેમેટિક શૈલીમાં રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભાવસભર બની ગયું હતું. ઝવેરચંદ મેઘાણીએ પોતાના
જીવનના અઢી દાયકાથી વધુ સમય દરમિયાન સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને લોકજીવનને નજીકથી નિહાળ્યું હતું. લોકગીતો, દુહા-છંદ, રાસડા, લોકકથાઓ અને લોકગાથાઓમાંથી તેમણે લોકસાહિત્યનો અમૂલ્ય ખજાનો એકત્રિત
કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હતું. ‘રંગ છે મેઘાણી’ નાટ્ય શો દ્વારા આ જ લોકવારસાને નવી પેઢી સમક્ષ અસરકારક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નાટ્ય શોમાં સૌરાષ્ટ્રની જાણીતી અને અમર લોકગાથાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. ‘વીર માંગડાવાળો’, ‘રાંકનું રતન’ તેમજ તરણેતરના મેળાની અમર પ્રેમગાથા સહિતની લોકકથાઓનું આબેહૂબ નાટ્યરૂપાંતર
કરવામાં આવ્યું હતું. નાટ્યપ્રયોગમાં લોકગીતો અને લોકવાદ્યોના સૂર સાથે સૌરાષ્ટ્રની માટીની સુગંધ અનુભવાય તેવી રજૂઆત કરવામાં આવતા દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. નાટકમાં નવરસનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું.
શૌર્ય, પ્રેમ, કરુણા, હાસ્ય સહિતના વિવિધ ભાવોને નાટ્ય અને સંગીતના માધ્યમથી રજૂ કરવામાં આવતા સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. મેઘાણીજીના સાહિત્યમાં રહેલી લોકભાવના, માનવતા અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને
કલાકારોએ પોતાની અભિવ્યક્તિ દ્વારા જીવંત કરી હતી. આ પ્રસંગે અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ
ભટ્ટ, ઉદ્યોગપતિ પુનિતભાઈ સોવટિયા, સામાજિક અગ્રણી મનસુખભાઈ સુવાગિયા, ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયા, સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના જે.એમ.ચંદ્રવાડિયા
સહિતના આગેવાનો તથા સાહિત્ય અને લોકકલાપ્રેમીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની વિશેષતા એ પણ રહી કે સૌરાષ્ટ્રની પરંપરાગત અને દુર્લભ લોકવાદ્ય પરંપરાને જીવંત રાખી રહેલા કલાકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જોડિયા પાવા, સરંદા સહિતના દુર્લભ લોકવાદ્યો વગાડતા કલાકારોને
સન્માનિત કરી તેમની કલાસાધનાને બિરદાવવામાં આવી હતી. લોકવાદ્યના સૂર અને મેઘાણીજીની લોકગાથાઓના સંગમથી કાર્યક્રમને વિશિષ્ટ સાંસ્કૃતિક રંગ મળ્યો હતો. ‘રંગ છે મેઘાણી’ નાટ્ય શો દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ
મેઘાણીના સાહિત્ય અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ વચ્ચેના અતૂટ સંબંધને પ્રેક્ષકો સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો હતો. મેઘાણીજીના શબ્દોમાં જીવંત રહેલી સૌરાષ્ટ્રની લોકગાથાઓ જ્યારે રંગમંચ પર સાકાર થઈ ત્યારે
ઉપસ્થિત દર્શકો માટે તે એક યાદગાર સાંસ્કૃતિક અનુભવ બની રહ્યો હતો. આ સમગ્ર નાટ્યપ્રયોગે માત્ર મેઘાણીજીના જીવન અને સાહિત્યને શ્રદ્ધાંજલિ આપી નહોતી, પરંતુ સૌરાષ્ટ્રની લોકકલા, લોકસંગીત અને લોકગાથાઓના
સંવર્ધન તથા નવી પેઢી સુધી તેના વારસાને પહોંચાડવાનો પણ સુંદર સંદેશ આપ્યો હતો.




