વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાની તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ
શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ અને સાંસ્કૃતિક ઝાંખીઓ બનશે આકર્ષણ
- Advertisement -
4 સપ્ટેમ્બરે મવડી ચોકડીએ સવારે 8 કલાકે ભવ્ય ધર્મ સભા યોજાશે
8:30 કલાકે શોભાયાત્રા પ્રારંભ, 3:30 કલાકે બાલક હનુમાન મંદીરે સમાપન
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ–રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ૪૧મી ભવ્ય ધર્મસભા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૪ સપ્ટેમ્બરના રોજ મવડી ચોકડી ખાતે સવારે ૮
વાગ્યે ભવ્ય ધર્મસભા યોજાશે અને ત્યારબાદ વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિ તથા મંત્રોચ્ચાર સાથે સવારે ૮:૩૦ કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થનારી આ
ભવ્ય શોભાયાત્રા બપોરે આશરે ૩:૩૦ કલાકે પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે આવેલા બાલક હનુમાન મંદિર ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રા પૂર્વે યોજાનારી ધર્મસભામાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ ભક્તિ
પ્રકાશદાસજી સ્વામી, સ્વામીનારાયણ સનાતન આશ્રમ, ખીરસરા, ઉપસ્થિત રહી શહેરીજનોને આશીર્વચન આપશે. તેઓ હિન્દુ સમાજમાં સમરસતા, એકતા અને સંગઠનનો સંદેશ આપશે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
રાજકોટ મહાનગરના કાર્યવાહ ડો. આશિષ શુક્લા ધર્મસભાને સંબોધશે. ધર્મસભાના મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા શંકરભાઉ ગાયકર ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કરશે. તેઓ
હિન્દુ સમાજને આવનારા સમય માટે માર્ગદર્શન આપવા ઉપરાંત યુવાનો અને યુવતીઓને નશામુક્ત ભારતના નિર્માણ માટે આહવાન કરશે. ધર્મસભામાં અનેક સંતો-મહંતો પણ ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંગઠિત, સમરસ
અને એકતાબદ્ધ બનવાનો સંદેશ આપશે.
- Advertisement -
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રાને સફળ બનાવવા રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું પણ વર્ષોથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શોભાયાત્રા માટે જરૂરી ટ્રક, મેટાડોર, બોલેરો, છોટા હાથી સહિતના વિવિધ વાહનો એસોસિએશન
દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વાહન વ્યવસ્થા ઉપરાંત અનેક ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકો દ્વારા આર્થિક યોગદાન પણ ભક્તિભાવપૂર્વક આપવામાં આવે છે. જન્માષ્ટમી મહોત્સવના આયોજન, સંચાલન, શોભાયાત્રાની
વ્યવસ્થા અને વિવિધ સેવાકીય કામગીરીમાં માવજીભાઈ ડોડિયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, પરમરાજસિંહ રાણા, વિનુભાઈ ટિલાવત, મહેશભાઈ ડોડિયા, કિશોરભાઈ પરમાર, દુર્ગેશભાઈ આર.
સાકરીયા, મનુભાઈ રામાણી, હિરેનભાઈ મહેતા, હસુભાઈ સગપરીયા સહિતના અનેક આગેવાનો જોડાઈ રહ્યા છે. સમિતિના માર્ગદર્શક મંડળમાં માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ,
હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા સહિતના આગેવાનોની ભૂમિકા છે. સમિતિના અધ્યક્ષ રાજાભાઈ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ
ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા તથા સહ-ઇન્ચાર્જ દીપકભાઈ ગમઢા, મનોજભાઈ ડોડિયા, કૌશિકભાઈ સરધારા અને વિનયભાઈ કારિયા સહિતના આગેવાનો આયોજનમાં
સક્રિય છે. ઉપરાંત ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઈ નડીયાપરા, એન.જી. પરમાર, ડો. હિરેન વિસાણી, ભુપતભાઈ બોદર તથા સંકલન સમિતિના પુ. રાધેશ્યામ બાપુ, લલિતભાઈ વડેરિયા (કાળુમામા), અશ્વિનભાઈ
ગોસાઈ, કૃણાલભાઈ વ્યાસ, ડો. માધવ દવે, યોગેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગૌતમભાઈ ધમસાણીયા, ચમનભાઈ સિંધવ, રાજુભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ
પરમાર, મંગેશભાઈ દેસાઈ, જયેશભાઈ સાંઘાણી, સુજીતભાઈ ઉદાણી, વસંતભાઈ લીંબાસિયા, રાજુભાઈ જુંજા અને રાહુલભાઈ જાની સહિતના કાર્યકર્તાઓ આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે.
ધર્મસભા પૂર્ણ થયા બાદ ધર્માધ્યક્ષ ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના હસ્તે મંત્રોચ્ચાર અને વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે. ત્યારબાદ શૌર્યના કેસરિયા ધ્વજને ફરકાવી સવારે ૮:૩૦ કલાકે શોભાયાત્રાનું
પ્રસ્થાન કરાવવામાં આવશે. શોભાયાત્રાના મુખ્ય રથને વિશેષ આકર્ષણરૂપે તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુખ્ય રથ પર સનાતન ધર્મના આરાધ્ય દેવ, પ્રેમ, કરુણા, જ્ઞાન અને ધર્મના પ્રતિક ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન થશે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપનાર અને ‘જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે’નો જીવનસંદેશ આપનાર શ્રીકૃષ્ણના દિવ્ય સ્વરૂપના દર્શન લાખો ભક્તોને થશે. મુખ્ય રથને ‘નશામુક્ત ભારત’ની થીમ પર સુશોભિત કરવામાં
આવી રહ્યો છે. મુખ્ય રથ સમિતિના હેનીલસિંહ પરમારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વર્ષે રથ દ્વારા ધાર્મિક સંદેશ સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવશે.
શોભાયાત્રામાં ટ્રક, ટ્રેક્ટર, ફોર-વ્હીલર, થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલર સહિતના વિવિધ વાહનો પર અનેક ફ્લોટ્સ જોડાશે. આ ફ્લોટ્સમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન, સનાતન સંસ્કૃતિ અને વિવિધ ધાર્મિક-સામાજિક સંદેશોની ઝાંખી
રજૂ કરવામાં આવશે. સુશોભિત અશ્વસવારો પણ શોભાયાત્રામાં જોડાશે અને તાલ-સૂર સાથે મનોહર નૃત્ય રજૂ કરી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. વિવિધ જ્ઞાતિ અને સામાજિક મંડળો પોતાના પરંપરાગત વેશભૂષામાં તથા ભગવા ધ્વજ
સાથે જોડાઈ શોભાયાત્રાની શોભામાં વધારો કરશે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રાને ભવ્ય અને આકર્ષક બનાવવામાં વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનો વર્ષોથી મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. તેમાં રાધેશ્યામ ગૌશાળા અને બોલબાલા ટ્રસ્ટનું
યોગદાન વિશેષ રહ્યું છે. રાધેશ્યામ ગૌશાળા દ્વારા આ વર્ષે ૨૦થી વધુ ભવ્ય ફ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગૌશાળા દ્વારા ૩૦૦થી વધુ ગાયોની સેવા તથા ૭૦૦થી વધુ બાળકોને નિત્ય ભોજનની સેવા કરવામાં આવે છે.
શોભાયાત્રા માટે જરૂરી વિવિધ ભગવાનની પ્રતિમાઓ પણ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તે જ રીતે બોલબાલા ટ્રસ્ટ દ્વારા ૧૫થી વધુ સુંદર ફ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને
સામાજિક સંદેશો સાથે ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓ રજૂ થશે. ઉપલાકાંઠાનું પ્રખ્યાત રંગીલા ધુન મંડળ પણ શોભાયાત્રામાં વિશેષ રંગ ઉમેરશે. મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ ભીષ્મપિતામહ સામે
રથનું પૈડું ઉપાડતા હોય તેવી જીવંત ઝાંખી રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ૧૧ સુશોભિત એક્ટિવા તથા મુખ્ય એક્ટિવા પર અમરનાથ શિવલિંગના દર્શન કરાવવામાં આવશે. એક ટ્રેક્ટર પર પરંપરાગત કૃષ્ણ-નાગની ઝાંખી
સાથે નૃત્યમય રજૂઆત કરવામાં આવશે. ગોકુલધામ મેઇન રોડના રોકડિયા યુવા ગ્રુપ દ્વારા પણ વિશેષ જીવંત દૃશ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગ્રુપના રઘુભાઈ બોળિયા અને વિપુલભાઈ ગજ્જરના જણાવ્યા મુજબ
શોભાયાત્રામાં ‘વિજળીના ચમકારે મોતીડા પરોવે પાનબાઈ’નું જીવંત દૃશ્ય રજૂ કરવામાં આવશે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે દ્વારકાધીશ ગ્રુપ દ્વારા ભવ્ય સુશોભન કરવામાં આવી રહ્યું છે. અહીં શ્રદ્ધાળુઓને સાક્ષાત દ્વારકાધીશના દર્શન થતા હોય તેવી અનુભૂતિ કરાવતી વિશાળ ઝાંખી તૈયાર કરવામાં આવી રહી છે. આ
વિસ્તારમાં છઠ્ઠના દિવસે રાત્રે કાન-ગોપી રાસ, સાતમના દિવસે ગોપાલ ભરવાડનો સ્ટેજ કાર્યક્રમ અને આઠમના દિવસે મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. આયોજકો સંદીપભાઈ વકાતર, સાગરભાઈ જોગસવા, કિશનભાઈ જોગસવા,
લખનભાઈ ઝાપડા અને નિકુંજભાઈ ગમારાના જણાવ્યા મુજબ ધર્મપ્રેમી લોકોના સહયોગથી આ સમગ્ર આયોજન પાછળ રૂ. ૨૫ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સતાધાર ચોક, અંકુર વિદ્યાલય પાસે બંસીધર યુવા
મિત્ર મંડળ દ્વારા અદૃશ્ય ઝૂલામાં રાધા-કૃષ્ણની અલૌકિક ઝાંખી તૈયાર કરવામાં આવી રહી છે. અહીં ભક્તિ, પ્રેમ અને દિવ્યતાનો અનોખો સંગમ જોવા મળશે. સાથે શિવલિંગ, સુદામાનો મહેલ અને દ્વારકાધીશ મંદિરની ભવ્ય ઝાંખી
પણ રજૂ કરવામાં આવશે.
ધર્મસભા અને ધર્મયાત્રામાં સંતો-મહંતોની ઉપસ્થિતિ
1 ભક્તિપ્રસાદ સ્વામી ખીરસરા ગુરુકુલ
2 દેવકૃષ્ણદાસજી સ્વામી ગુરુકુલ, રાજકોટ
3 પરમાત્માનંદજી આર્ષ વિદ્યામંદિર, મુંજકા
4 રાધારમણ સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડ
5 કોઠારી સ્વામી BAPS સ્વામી મંદિર
6 અપૂર્વમુની સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર
7 ત્યાગ વલ્લભ સ્વામી યોગી ધામ
8 ધર્મવત્સલ સ્વામી SGVP, રીબડા
9 વિવેક સાગર સ્વામી બાલાજી હનુમાન
10 ગૌકરણદાસજી ચિત્રકુટધામ રામજી મંદિર
11 રામલખનદાસજી કામનાથ મંદિર
12 ત્યાગી મનમોહનદાસજી જગન્નાથ મંદિર, નાનામોવા
13 ભગવાનદાસજી રામ ઝરૂખા મંદિર, કોઠારીયા નાકા
14 રાઘવદાસજી દાધા હનુમાન
15 નરસિંહદાસજી કોટવાલજી
16 યતી બ્રહ્મદેવજી મહારાજ ગુરુદત્ત ગીરનારી આશ્રમ, કુવાડવા
17 બાલંભરાદેવીજી ગુરુદત્ત ગીરનારી આશ્રમ, કુવાડવા
18 સંત રાજેન્દ્રદાસજી કબીર આશ્રમ
19 ૧૦૦૮ મહામંડલેશ્વર રાઘવદાસજી રામલક્ષ્મણ આશ્રમ
20 સ્વામી કનૈયાપુરી બાપુ દિગમ્બર સન્યાસી
21 રઘુનાથ બાપુ રણુજા મંદિર, કોઠારીયા
22 સંત હિરસાગર બાપાનો પરિવાર ઉગમ ફૌજ
23 નરેન્દ્ર બાપુ સોલંકી ગુરુ જીવરાજ બાપુ, આપાગીગાનો ઓટલો
24 અનીલ મહારાજ અધ્યક્ષ, અખિલ ભારતીય દલિત સમાજ સમિતિ
25 બ્રહ્મચારી હરિચેતનાનંદ મહારાજ ગુરુ સાધ્વીજી પ્રજ્ઞાજી ઠાકોર
26 યોગીશ્રી મંગલનાથજી ગુરુ પીર શેરનાથજી, કોઠારીયા રોડ
27 નિસ્વાદસ્વામી SMVS, માધાપર
28 ગૌ. ૧૦૮ અક્ષયકુમાર મહોદય કૃષ્ણાશ્રય હવેલી
29 ગો. ૧૦૮ અભિષેમકુમાર મહોદય વલ્લભાશ્રય હવેલી
30 ગૌ. ૧૦૮ વ્રજેશકુમાર મહોદય લક્ષ્મીવાડી હવેલી
31 ગૌ. ૧૦૮ પુરૂષોતમ લાલજી મહારાજ રસકુંજ હવેલી
32 નરસિંહદાસજી સાહેબ કબીર મંદિર, ખત્રીવાડ
33 વૈષ્ણવસેવાદાસ પ્રભુ ઇસ્કોન મંદિર, કાલાવાડ રોડ
34 શાસ્ત્રી શંકર મહારાજ ગુરુ રામચરણદાસજી, મંગલમૂર્તિ ધામ
રાજકીય અને સામાજિક અગ્રણીઓ
1 ઠાકોર માંધાતાસિંહજી જાડેજા
2 યુવરાજ જયદીપસિંહજી જાડેજા
3 ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા
4 સાંસદ પરષોતમભાઈ રૂપાલા
5 ધારાસભ્ય ભાનુબેન બાબરીયા
6 ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા
7 ગૌસેવક વિજયભાઈ વાંક
8 ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
9 ધારાસભ્ય દર્શિતાબેન શાહ
10 મેયર નેહલભાઈ શુક્લા
11 સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળીયા
12 પૂર્વ રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલ
13 ભાજપ પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા
14 માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા
મવડી ચોકડીથી શરૂ થઈ બાલક હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન
રાજકોટમાં યોજાનારી ભવ્ય શોભાયાત્રાનો રૂટ મવડી ચોકડીથી શરૂ થશે. ત્યાંથી શોભાયાત્રા નાના મોવા ચોકડી, KKV હોલ, રૈયા ચોકડી, કનૈયા ચોક, હનુમાન મઢી, કિશાનપરા ચોક, અકિલા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર,
હરિહર ચોક અને પંચનાથ મંદિર થઈ આગળ વધશે.ત્યારબાદ શોભાયાત્રા લિમડા ચોક, SBS ચોક, ત્રિકોણ બાગ, માલવિયા ચોક, લોધાવડ ચોક, ગોંડલ રોડ, મક્કમ ચોક, નાગરિક બેંક ચોક અને ભક્તિનગર ચોક થઈને આગળ
જશે. ત્યાંથી સોરઠીયાવાડી ચોક, કેવડાવાડી રોડ, કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક, ચુનારવાડ ચોક, ભાવનગર રોડ, સંત કબીર રોડ, જલગંગા ચોક, ગોવિંદબાગ મેઇન રોડ અને પેડક રોડ થઈ શોભાયાત્રા બાલક હનુમાન મંદિર
ખાતે પહોંચીને સમાપ્ત થશે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થનારી આ શોભાયાત્રાને લઈને આયોજકો દ્વારા માર્ગ વ્યવસ્થા, સ્વાગત અને ધાર્મિક-સાંસ્કૃતિક આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ
આપવામાં આવી રહ્યો છે. શોભાયાત્રાના રૂટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.
કાનુડાના વિવિધ સ્વરૂપોની મનમોહક ઝાંખીઓ બનશે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે યોજાનારી આ ભવ્ય શોભાયાત્રા દરમિયાન રાજકોટ શહેરના હજારો ધર્મપ્રેમી અને કૃષ્ણભક્તોને ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપોની મનમોહક ઝાંખીઓના દર્શનનો લ્હાવો મળશે. શોભાયાત્રામાં
ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા, તેમના જીવનદર્શન તેમજ ધર્મ અને સનાતન સંસ્કૃતિના વિવિધ સંદેશોને ઉજાગર કરતી આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. શોભાયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા
મળશે. વિવિધ સ્થળોએ ભક્તો અને નાગરિકો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તથા સંતો-મહંતો, મહાનુભાવો અને ધર્મપ્રેમીઓના સન્માનના કાર્યક્રમો પણ યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષ અને ભક્તિમય
વાતાવરણ વચ્ચે નીકળનારી આ શોભાયાત્રા રાજકોટની ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું આગવું પ્રતિબિંબ બની રહેશે. કાનુડાની બાળલીલાથી લઈને તેમના જીવનમાં રહેલા ધર્મ, કર્તવ્ય, ન્યાય અને સંસ્કૃતિના
સંદેશને વિવિધ ઝાંખીઓ દ્વારા જીવંત કરવામાં આવનાર હોવાથી શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે તેવી સંભાવના છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે વિવિધ આકર્ષક ઝાંખીઓ અને સાંસ્કૃતિક
પ્રસ્તુતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
29 ઓગસ્ટ, 1964ના રોજ મુંબઈના પવઈ સ્થિત સાંદીપનિ સાધનાલય આશ્રમમાં થઈ હતી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના
જન્માષ્ટમીનો પાવન દિવસ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના સ્થાપના દિવસ તરીકે પણ વિશેષ મહત્વ ધરાવે છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 29 ઓગસ્ટ, 1964ના રોજ મુંબઈના પવઈ
સ્થિત સ્વામી ચિન્મયાનંદના સાંદીપનિ સાધનાલય આશ્રમમાં કરવામાં આવી હતી. સ્થાપનાના પ્રારંભિક તબક્કામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના દ્વિતીય સરસંઘચાલક મા. માધવરાવ સદાશિવ ગોલવલકર (ગુરુજી),
એસ.એસ. આપ્ટે, સ્વામી ચિન્મયાનંદ તેમજ જૈન અને શિખ સમુદાયના અગ્રણી સંતોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજને સંગઠિત અને જાગૃત કરવાનો, સનાતન
સંસ્કૃતિ તથા ધર્મના સંરક્ષણ માટે કાર્ય કરવાનો અને સમાજ સામેના વિવિધ પડકારોનો સામનો કરવાનો રહ્યો છે. વિહિપ દ્વારા સમાજમાં એકતા, સંગઠન અને સાંસ્કૃતિક જાગૃતિના સંદેશને સતત આગળ વધારવામાં આવે છે.
વિહિપનું આદર્શ વાક્ય “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” છે. તેનો અર્થ થાય છે કે જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને સંસ્થા દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ
ધરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વ સાથે વિહિપનો સ્થાપના દિવસ પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. અનેક સ્થળોએ વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત તેની યુવા પાંખ બજરંગ દળ અને દુર્ગા
વાહિની દ્વારા શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક સભાઓ તથા અન્ય વિવિધ આયોજનો કરવામાં આવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ જન્માષ્ટમીના પર્વ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિહિપના
સ્થાપના દિવસને અનુલક્ષીને વિવિધ આયોજનો થકી સંગઠન, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવે છે.




