બેટ-દ્વારકા મંદિરમાં ધજાજીની પરંપરા સાથે ચેડાં, ભાવિકોમાં રોષ
દેવસ્થાન સમિતિના ‘તઘલખી’ નિયમો સામે હિન્દુ સમાજનો ઉગ્ર રોષ : દિવસમાં માત્ર 6 જ ધજા ચડાવવાનો મનસ્વી નિર્ણય
- Advertisement -
સનાતની સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી અપાતા ટ્રસ્ટીઓ ઢીલા પડયા, હાલ મામલો થાળે
યાત્રાધામ બેટ દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણ એટલે કે ધજાજીની પરંપરામાં બેટ દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોને લઈને સ્થાનિક સનાતની હિન્દુ સમાજમાં ભારે રોષ
ફાટી નીકળ્યો છે. ભાવિકોની આસ્થા સાથે સીધી રીતે જોડાયેલી આ ધાર્મિક પરંપરામાં અચાનક નવા નિયમો લાગુ કરવામાં આવતા સ્થાનિક આગેવાનો અને વિવિધ હિન્દુ સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવી મંદિર સમિતિને
આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે મંદિર સમિતિ દ્વારા ધજાજીની ધાર્મિક પરંપરાને સરળ બનાવવાના બદલે તેના પર આર્થિક ભારણ વધારતા નિયમો લાદવામાં આવ્યા છે. નવા નિયમોને લઈને ભાવિકોમાં
પણ નારાજગી જોવા મળી રહી છે. મંદિર સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા નવા કાર્યાલય આદેશ અને નવા રજીસ્ટ્રેશન ફોર્મ મુજબ હવે સામાન્ય દિવસોમાં વધુમાં વધુ માત્ર ૬ ધજાઓ જ ચડાવવામાં આવશે. સ્થાનિકોનું કહેવું
છે કે વર્ષોથી ભાવિકો પોતાની શ્રદ્ધા અને ધાર્મિક પ્રસંગો અનુસાર ધજાજી કરાવતા આવ્યા છે ત્યારે સંખ્યા પર નિયંત્રણ મૂકવાથી અનેક ભાવિકો આ ધાર્મિક પરંપરાથી વંચિત રહી શકે છે. આ નિર્ણયની સાથે ધજાજીના ન્યોછાવર
એટલે કે લાગા સહિત વિવિધ ખર્ચમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ધજાજીનો લાગો ૨૧૦૦ રૂપિયા હતો, જેમાં સીધો વધારો કરીને હવે ૪૩૦૦ રૂપિયા કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ધજાજીના લાગા
ઉપરાંત પૂજા, સામગ્રી, સિલાઈ અને ચઢાવા સહિતના અન્ય ખર્ચાઓ ઉમેરાતા હવે યજમાનને મંદિર કાર્યાલયમાં કુલ ૮૧૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ રકમ
મધ્યમ વર્ગના પરિવારો માટે મોટો આર્થિક બોજ બની શકે છે. સ્થાનિકોનો સવાલ છે કે ધાર્મિક પરંપરાને લોકો સુધી વધુ સરળતાથી પહોંચાડવાની જરૂરિયાત હોય ત્યારે તેના ખર્ચમાં આટલો વધારો કરવો કેટલો યોગ્ય છે?
આર્થિક રીતે સામાન્ય પરિવારો પણ પોતાની આસ્થા મુજબ ધજાજી કરાવી શકે તે માટે અગાઉની વ્યવસ્થા જાળવવાની માંગ ઉઠી છે.
બેટ હિન્દુ સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર ધજાજી માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ દ્વારકાધીશ પ્રત્યેની સનાતન શ્રદ્ધા અને પરંપરાનું પ્રતિક છે. ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ ભાવિકો
પોતાના ઘર કે આંગણે વાસ્તુપૂજન, લગ્ન, જન્મદિવસ જેવા શુભ પ્રસંગોએ બેન્ડ-વાજા, રાસમંડળી અને ભક્તિભાવ સાથે ધજાજીનું પૂજન કરતા આવ્યા છે. સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે નવા નિયમો મુજબ ધજાજીની પૂજા
હવે મંદિરમાં જ કરવી ફરજિયાત બનાવવામાં આવી રહી છે. જેના કારણે ભાવિકો પોતાના ઘરે અને પરિવાર વચ્ચે દ્વારકાધીશની ધજાજી પૂજવાનો પરંપરાગત અને અલભ્ય લ્હાવો ગુમાવી શકે છે. બેટ દ્વારકા મંદિર ખાતે
પહેલેથી જ મોટી સંખ્યામાં યાત્રિકો અને ભાવિકોની અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં દરેક ધજાજીની પૂજા મંદિરમાં જ કરાવવાની વ્યવસ્થા અમલમાં આવશે તો એક પૂજામાં અંદાજે ૧થી ૧.૫ કલાક જેટલો સમય
લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સંગઠનોનું કહેવું છે કે આથી મંદિર પરિસરમાં ભીડ અને વ્યવસ્થાનો પ્રશ્ન વધુ ગંભીર બની શકે છે.
- Advertisement -
‘તઘલખી નિર્ણય’ પાછો ખેંચવાની માંગ
નવા નિયમોના વિરોધમાં સ્થાનિક હિન્દુ સંગઠનો અને આગેવાનોએ મંદિર સમિતિને કડક શબ્દોમાં રજૂઆત કરી છે. સંગઠનોનું કહેવું છે કે સદીઓ જૂની ધાર્મિક પરંપરામાં મનસ્વી રીતે ફેરફાર કરવો યોગ્ય નથી અને ભાવિકોની
લાગણીને ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ. સ્થાનિક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ‘તઘલખી અને આપખુદ નિર્ણયો’ તાત્કાલિક પાછા ખેંચવામાં નહીં આવે તો સનાતની સમાજ સમિતિની રચના કરીને ગાંધી
ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
ભારે વિરોધ બાદ ટ્રસ્ટીઓ કૂણા પડ્યા
જોકે, આ સમગ્ર મુદ્દે હિન્દુ સમાજમાંથી ભારે વિરોધ અને નારાજગી સામે આવતા હાલ મંદિર સમિતિના ટ્રસ્ટીઓ કૂણા પડ્યા હોવાનું જાણવા મળે છે. નગરજનો અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને આ મુદ્દે યોગ્ય કરવાની
ખાતરી આપવામાં આવી છે. આ ખાતરી બાદ હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો છે, પરંતુ ધજાજીના ખર્ચમાં કરાયેલા મોટા વધારા અને ધાર્મિક વિધિ અંગેના નવા નિયમોને લઈને સ્થાનિકોના મનમાં હજુ પણ ભારે અજંપો છે. હવે
મંદિર સમિતિ આ મામલે શું અંતિમ નિર્ણય લે છે અને અગાઉની પરંપરા તથા ભાવિકોની લાગણીને કેટલું મહત્વ આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.




