ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જોઇન્ટ પોલીસ કમિશનરને રજૂઆત કરી ટ્રાફિક ચેકિંગ વ્યવસ્થાની તપાસ કરવાની માંગ કરી
રાજકોટ શહેરને ટ્રાફિક પોલીસે બાનમાં લીધું, નિયમભંગના નામે સામાન્ય જનતાની રોજે રોજ કનગડત બંધ કરો : કોંગ્રેસ
જનતાની સુરક્ષા માટેની ટ્રાફિક પોલીસ કે રોજ દંડ વસૂલવાની સિસ્ટમ? : રોહિતસિંહ રાજપૂત
રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચેકિંગ અને દંડની કાર્યવાહીનું પ્રમાણ અચાનક વધી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નિયમભંગ અને ગેરપ્રવૃત્તિ અટકાવવા માટે ચોક્કસ સમયે
વાહનચેકિંગ તથા કોમ્બિંગ જરૂરી છે અને કોંગ્રેસ તેનો વિરોધ કરતી નથી, પરંતુ રોજેરોજ દિવસ-રાત વાહનો અટકાવી સામાન્ય નાગરિકોને દંડ ફટકારવાની જાણે ઝુંબેશ ચાલી રહી હોય તેવી સ્થિતિ સામે આવી છે. ટ્રાફિક
પોલીસનું કામ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવાનું છે કે પછી સામાન્ય નાગરિકોને રોકી દંડ વસૂલવાનું છે? તેવો સીધો સવાલ ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે રાજકોટ શહેરના
જોઇન્ટ પોલીસ કમિશનરને રજૂઆત કરી સમગ્ર ટ્રાફિક ચેકિંગ વ્યવસ્થાની તપાસ કરવાની માંગ કરી છે.
- Advertisement -
રાજકોટની ફરતે ટ્રાફિક પોલીસની કામગીરી જોતા જાણે શહેરની કિલ્લેબંધી કરવામાં આવી હોય તેવો માહોલ સર્જાયો છે. ચોટીલા તરફથી રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી સુધીના માર્ગ પર એક જ રૂટમાં ચાર જેટલા ટ્રાફિક ચેકિંગ
પોઇન્ટ હોવાની સ્થિતિ સામે આવી છે. અન્ય જિલ્લાઓના પાર્સિંગ ધરાવતા વાહનોને ખાસ રીતે રોકી દિવસ-રાત વાહનચેકિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ કોંગ્રેસને મળી છે. અન્ય રાજ્યોના કે જિલ્લાઓના
યાત્રાળુઓની બસો હાઇવે પરથી પસાર થતી હોય ત્યારે તેમને પણ તોડ વગર જવા દેતા નથી તે કડવી વાસ્તવિકતા છે. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ, ભારે વાહનોની અવરજવર, ગેરકાયદેસર પાર્કિંગ અને
અન્ય ટ્રાફિક સમસ્યાઓ યથાવત છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસની જરૂર છે ત્યાં ઘણી વખત પૂરતી હાજરી જોવા મળતી નથી, જ્યારે વાહનચેકિંગના પોઇન્ટ પર ૧૦-૧૫ જેટલા જવાનો હાજર
જોવા મળે છે. ટ્રાફિક જામ ઉકેલવા પોલીસ કેમ નથી દેખાતી અને વાહન રોકીને દંડ કરવાનો પોઇન્ટ આવે ત્યારે જવાનોની ફોજ કેમ ઉભી થાય છે? તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે.
રાજકોટની ટ્રાફિક પોલીસને ગુજરાતમાં “તોડ” માટે બદનામ થવા દેવામાં નહીં આવે : ગુજરાતના અન્ય શહેરોની સરખામણીએ રાજકોટમાં ટ્રાફિક નિયમોના અમલ અંગે લોકોમાં નકારાત્મક ચર્ચા વધી રહી છે. રાજકોટમાં વાહન
લઈને નીકળો એટલે ક્યાંકને ક્યાંક રોકાવાનું જ એવી માનસિકતા જો લોકોમાં ઊભી થઈ રહી હોય તો તે રાજકોટ શહેર માટે ગંભીર બાબત છે.ટ્રાફિક પોલીસનું નામ “દંડ વસૂલાત” સાથે નહીં પરંતુ “ટ્રાફિક વ્યવસ્થા અને જનસેવા”
સાથે જોડાવું જોઈએ.
એક ચેકિંગ પોઇન્ટ પર કેટલો સ્ટાફ હોવો જોઈએ? પોલીસ સ્પષ્ટતા કરે
એક PI/PSI સાથે કેટલા કોન્સ્ટેબલ અને કેટલા TRB/બ્રિગેડિયર જવાનોની ખરેખર જરૂરિયાત તથા મંજૂર સંખ્યા છે તેની રાજકોટ પોલીસે સ્પષ્ટતા કરવી જોઈએ. એક જ ચેકિંગ પોઇન્ટ પર ૧૦-૧૫ જેટલા TRB જવાનોની
ટોળકી શા માટે તૈનાત કરવામાં આવે છે, તેની સામે શહેરના ટ્રાફિક જામના સ્થળોએ પૂરતો સ્ટાફ કેમ નથી, તે પણ તપાસનો વિષય છે. કયા પોઇન્ટ પર કેટલો સ્ટાફ મંજૂર છે અને વાસ્તવમાં કેટલો મુકાય છે તેની પોઇન્ટવાઇઝ
વિગતો જાહેર કરી આ માનવબળની ફાળવણી અંગે પોલીસ પારદર્શકતા જાળવે.
- Advertisement -
TRB જવાનોની કામગીરી અને તેમના વર્તન અંગે પણ કોંગ્રેસને અનેક ફરિયાદો મળી છે.
TRB જવાનોને ટ્રાફિક વ્યવસ્થાપન સંબંધિત ફરજ સોંપવામાં આવી હોય ત્યારે કેટલાક જવાનો દ્વારા મોટા અધિકારી જેવો રોફ જમાવી સામાન્ય નાગરિકો સાથે અપમાનજનક વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો થયા છે.
કાયદાનું પાલન કરાવનાર વ્યક્તિ પોતે પણ કાયદાની મર્યાદામાં રહીને જ કામગીરી કરે તે જરૂરી છે. આ ઉપરાંત કેટલાક TRB/બ્રિગેડિયર કર્મચારીઓની આવકની સરખામણીએ મોંઘી ફોરવ્હીલર અને જીવનશૈલી અંગે પણ
પ્રશ્નો ઉઠ્યા છે. કોઈ વ્યક્તિને માત્ર આક્ષેપના આધારે દોષિત ઠેરવવાનો પ્રશ્ન નથી, પરંતુ જો આવી ફરિયાદો સામે આવી રહી છે તો સંબંધિત કર્મચારીઓની આવક, મિલકત, વાહનો તથા નાણાકીય બાબતોની નિયમસર તપાસ
કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે.
મલાઈવાળા પોઇન્ટ મેળવવા માટે ટ્રાફિક કર્મચારીઓએ વહીવટદારોને પૈસા આપવા પડતા હોવાની ચર્ચા
સૌથી ગંભીર બાબત એ છે કે કોંગ્રેસ સમક્ષ એવી ફરિયાદો અને માહિતી પણ આવી છે કે વધુ દંડ તથા વસૂલાત થતી હોય તેવા “મલાઈવાળા પોઇન્ટ” મેળવવા માટે ટ્રાફિક કર્મચારીઓએ વહીવટદારોને પૈસા આપવા પડતા
હોવાની ચર્ચા છે. આ પ્રકારના આક્ષેપો અત્યંત ગંભીર છે અને કોંગ્રેસ કોઈ વ્યક્તિને દોષિત ઠેરવતી નથી, પરંતુ જો આવી ચર્ચા અને ફરિયાદો છે તો તેની ઉચ્ચસ્તરીય તથા નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ. ખાસ કરીને
બામણબોર નજીક રાજકોટ શહેર પોલીસની હદ શરૂ થતો વિસ્તાર, હિરાસર એરપોર્ટ ચોકડી ,ઘંટેશ્વર ચોકડી પાસે ,માધાપર ચોકડી પાસે અને સોની બજાર જેવા પોઇન્ટની ડ્યુટી ફાળવણી, પોસ્ટિંગ તથા કામગીરી અંગે તપાસ
કરવામાં આવે તેવી માંગ છે. કયા કર્મચારીને કયો પોઇન્ટ ક્યારે આપવામાં આવ્યો, કયા કારણસર આપવામાં આવ્યો અને કોઈ નાણાકીય લેવડદેવડ થઈ કે નહીં તેની તપાસ થાય તો હકીકત સામે આવી શકે છે.
છેલ્લા એક મહિનામાં અચાનક આટલી કડકાઈ કેમ? શું ટ્રાફિક પોલીસને કોઈ દંડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે ?
મોટર વ્હીકલ કાયદા હેઠળ નિયમભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ દરેક નાગરિકને ગુનેગાર સમજીને વારંવાર વાહન રોકી દંડ ફટકારવો એ ટ્રાફિક વ્યવસ્થાનો કાયમી ઉકેલ નથી. બ્લેક ફિલ્મ,
ખતરનાક ઓવર સ્પીડ, બેફામ હોર્ન, નશાની હાલતમાં ડ્રાઇવિંગ, ગેરકાયદેસર હથિયાર જેવી ગંભીર બાબતો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ રોજિંદા નાના નિયમભંગને લઈને સતત વાહનચાલકોને રોકી દંડ વસૂલાત
કરવામાં આવે અને કોઈ પ્રકારના ટાર્ગેટ પૂરા કરવાની દોડ ચાલતી હોય તો તેની પારદર્શકતા અંગે સવાલ ઊભો થાય છે. છેલ્લા એક મહિનામાં અચાનક આટલી કડકાઈ કેમ? શું ટ્રાફિક પોલીસને કોઈ દંડનો ટાર્ગેટ આપવામાં
આવ્યો છે કે નહીં? જો ટાર્ગેટ નથી તો ચેકિંગ પોઇન્ટ અને દંડની કાર્યવાહી અચાનક કેમ વધી છે તે અંગે પોલીસ વિભાગે સ્પષ્ટતા કરવી જોઈએ.
વાહનચેકિંગના નામે વારંવાર હેરાનગતિ અંગે કેટલાક વેપારીઓએ વીડિયો સહિતની વિગતો કોંગ્રેસને આપી છે
રાજકોટના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે પણ આ બાબત સમજવી જરૂરી છે. રોજના રૂ. ૫૦૦થી ૭૦૦ની આવકમાં પરિવારનું ગુજરાન ચલાવતા સામાન્ય વ્યક્તિ માટે એક મોટો દંડ પણ તેના પરિવારના બજેટ પર સીધી
અસર કરે છે. નિયમોનું પાલન કરાવવું જરૂરી છે, પરંતુ દંડ એ ટ્રાફિક શિસ્તનું સાધન છે, આવક ઊભી કરવાનું સાધન નહીં. સોની બજારના વેપારીઓ દ્વારા પણ વાહનચેકિંગના નામે વારંવાર હેરાનગતિ થતી હોવાના આક્ષેપો
કોંગ્રેસ સમક્ષ કરવામાં આવ્યા છે અને કેટલાક વેપારીઓએ વીડિયો સહિતની વિગતો કોંગ્રેસને આપી છે. વેપારીઓએ નિયમોનું પાલન કરવું જ જોઈએ, પરંતુ નિયમના અમલના નામે જો કોઈ દબાણ, હેરાનગતિ કે ગેરકાયદેસર
વસૂલાત થતી હોય તો તેની પણ તાત્કાલિક તપાસ થવી જોઈએ.
જનતાને ડરાવીને નહીં, સમજાવીને ટ્રાફિક શિસ્ત ઊભી કરવી એ જ કાયમી ઉકેલ છે : રોહિતસિંહ રાજપૂત
રાજકોટની ટ્રાફિક પોલીસને “દંડ વસૂલાત” માટે નહીં પરંતુ “ટ્રાફિક વ્યવસ્થા અને જનસેવા” માટે ઓળખવામાં આવે તે જરૂરી છે. શહેરમાં ટ્રાફિક જામ થતા સ્થળો, ભારે વાહનોની અવરજવર, ગેરકાયદેસર પાર્કિંગ અને
અકસ્માતપ્રવણ વિસ્તારોમાં પોલીસની અસરકારક હાજરી વધારવાની જરૂર છે. સાથે જ શાળા-કોલેજો, વેપારી વિસ્તારો અને જાહેર સ્થળોએ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજી લોકોને નિયમો અંગે સમજ આપવી જોઈએ. જનતાને
ડરાવીને નહીં, સમજાવીને ટ્રાફિક શિસ્ત ઊભી કરવી એ જ કાયમી ઉકેલ છે. રોહિતસિંહ રાજપૂતે સ્પષ્ટ જણાવ્યું છે કે કોંગ્રેસ નિયમભંગ સામે કાયદેસરની કાર્યવાહીનો વિરોધ કરતી નથી, પરંતુ સામાન્ય નાગરિકોની રોજેરોજની
કનગડત, બિનજરૂરી વાહનચેકિંગ અને દંડના નામે થતી હેરાનગતિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જો આ સ્થિતિમાં તાત્કાલિક સુધારો નહીં આવે, ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ નહીં થાય અને ટ્રાફિક
વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં નહીં આવે તો કોંગ્રેસ રાજકોટની જનતાને સાથે રાખીને મોટાપાયે જનઆંદોલન કરશે.




