રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
ખાલી બોટલો ભંગારમાંથી લાવતો : સીલ સહિતની વસ્તુઓ ઓનલાઇન મંગાવતો હતો
- Advertisement -
રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યા છે બીજી તરફ દારૂની સોર્ટેજ વચ્ચે દારૂના શોખીન પ્યાસીઓ પાસેથી ઊંચા પૈસા પડાવવા મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી પધરાવવાના ખેલનો પીસીબીએ પર્દાફાશ કર્યો છે ભગવતીપરાના બુટલેગરની દારૂ, સ્ટીકર, ખાલી બોટલો સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં પોતે દારૂની ખાલી બોટલો ભંગારમાંથી ખરીદી કરતો હોવાનું અને સીલ સહીતની વસ્તુઓ ઓનલાઇન મંગાવતો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં દારૂનું દુષણ ડામી દેવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ આર કે જાડેજા, પીએસઆઈ ત્રાજીયા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાને મળેલી બાતમી આધારે ભગવતીપરામાં વિનોબા ભાવે ટાઉનશીપના પાર્કિંગમાં દરોડો પાડી મોંઘીદાટ સ્કોચની બોટલોમાં ઓલ સીઝન અને આરસી જેવો દારૂ ભરી ઊંચા ભાવે વેંચતા બુટલેગર અનીશ આમદભાઈ હિંગોરાની ધરપકડ કરી છે પોલીસે તેની પાસેથી 11 હજારની દારૂની બે ભરેલી બોટલ, ત્રણ ખાલી બોટલ, ગરણી, હિટ મશીન, બોટલ ઉપર લગાડવાના રેડિયમ તેમજ લાલ અને લીલા કલરના શીલ સહિતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં પોતે દારૂની ખાલી બોટલો ભંગારમાંથી ખરીદી કરતો હોવાનું અને સીલ સહીતની વસ્તુઓ ઓનલાઇન મંગાવતો હોવાનું જાણવા મળ્યું છે કેટલા સમયથી આ પ્રમાણે દારૂ વેચતો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.
પ્રેમીને જેલમાંથી છોડાવવા 4.50 લાખની જરૂર પડશે કહી પરિણીતાને લોહીના વેપલામાં ધકેલી દીધી : દંપતિ સહિતની ત્રિપુટીએ પરિણીતાને 4 માસમાં 250 ગ્રાહક પાસે મોકલી દેહવ્યાપાર કરાવાયો
મૂળ જૂનાગઢના વંથલીની અને હાલ રાજકોટમાં રહેતી ૨૦ વર્ષીય પરિણીતાને બ્યુટીપાર્લરમાં નોકરી અપાવવાના બહાને રાજકોટ લાવી દેહવ્યાપારના કાળા કારોબારમાં ધકેલી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભક્તિનગર પોલીસે યુવતીની ફરિયાદના આધારે મિલપરાની એચ.આર.કિંગ હોટેલના સંચાલક દંપતી હિરેન કિશોરભાઈ રૂડકિયા, તેની પત્ની રિદ્ધિ અને ભાઈ મયૂર કિશોર રૂડકિયા સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મવડી પ્લોટ બાપા સીતારામ ચોક આદર્શ એવન્યુમાં રહેતા અને એચ.આર.કિંગ હોટેલ ચલાવતા હિરેન કિશોરભાઈ રૂડકિયા, તેની પત્ની રિદ્ધિ અને ભાઈ મયૂર કિશોર રૂડકિયાએ આ સમગ્ર કાવતરું રચ્યું હતું. વર્ષ ૨૦૨૬માં કોર્ટ મેરેજ કરનાર આ યુવતીએ જૂનાગઢમાં બ્યુટીપાર્લરનો કોર્સ કર્યો હતો. તેના કુટુંબી ફઈના દીકરા હિમાંશુએ રાજકોટમાં નોકરી અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ રિદ્ધિ રૂડકિયા યુવતીના ગામ પહોંચી હતી અને તેના માતા-પિતાને માસિક ૧૫ હજાર પગારની લાલચ આપી યુવતીને રાજકોટ લાવી હતી. રાજકોટ આવ્યા બાદ ૧૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ યુવતી અને હિમાંશુને મિલપરાની હોટેલમાં રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ હિરેને યુવતીને જણાવ્યું કે હિમાંશુને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો છે અને તેને છોડાવવા ૪ લાખ રૂપિયાથી વધુની જરૂર પડશે. પ્રેમીને જેલમાંથી છોડાવવાની મજબૂરીનો લાભઉઠાવી રિદ્ધિએ યુવતીને દેહવ્યાપાર કરવા દબાણ કર્યું હતું. એક કસ્ટમરના ૨ હજાર અને નાઈટના ૮ હજાર આપવાની લાલચ આપી તેને આ ગોરખધંધામાં ધકેલી દીધી હતી. યુવતી પાસે કુલ ૧૦૫ દિવસ સુધી દેહવ્યાપાર કરાવી ૨૫૦ જેટલા ગ્રાહકો સાથે શરીરસંબંધ બંધાવ્યા હતા, જેમાં ૨૮ જેટલી નાઈટ પણ સામેલ છે. હિરેનનો ભાઈ મયૂર રૂડકિયા યુવતીને અલગ અલગ હોટેલમાં એક્ટિવા પર લાવવા-લઈ જવાનું કામ કરતો હતો. જ્યારે હિમાંશુ જેલમાંથી છૂટી ગયો ત્યારે યુવતીએ દેહવ્યાપાર કરવાની ના પાડી દીધી હતી. આથી ઉશ્કેરાયેલા દંપતીએ યુવતીના પરિવારને તેના પ્રેમસંબંધની જાણ કરી દીધી હતી. ઉપરાંત, યુવતીએ પોતાના હિસાબ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની માંગણી કરતા દંપતીએ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો ભાંડી હતી અને બ્લેકમેઈલ કરી હતી. ભક્તિનગર પોલીસે આ ગંભીર મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -
રાજકોટમાં પૈસા માટે માતાને મારકૂટ કરતા પિતાને સગીર પુત્રએ ગળેટૂંપો દઈ પતાવી દીધા : માતા અને પુત્ર કામ કરી પેટિયું રળતા હતા : પગારના પૈસા બાબતે થયેલી માથાકૂટ કારણભૂત
રાજકોટના કણકોટ નજીક બની રહેલા સરદારધામની સાઈટ પર કામ કરતા ૧૬ વર્ષના પુત્રએ પગારના પૈસા બાબતે માથાકુટ થયા બાદ પિતા ભરતસિંગ ધનસિંગ ડામોર ઉ.40ને ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. રાજકોટ તાલુકા પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ગુનો નોંધી સ્થળ પરથી આરોપી પુત્રની અટકાયત કરી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હત્યાનો ભોગ બનનાર ભરતસિંગ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાનો વતની છે. તેને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. તે ત્રણ પુત્રી અને પુત્ર સહિતના પરિવાર સાથે વતનમાં રહી ખેતી કામ કરતો હતો. તેનો મોટો પુત્ર માતા નાનીબેન સાથે છેલ્લા ઘણાં સમયથી સરદારધામની સાઈટ ઉપર મજુરી કામ કરતો હતો. માતા-પુત્ર સાઈટની બાજુમાં જ આવેલી ઓરડીમાં રહે છે. બંનેનો પગાર દર મહિનાની દસમી તારીખે થતો હતો.પગાર થાય તે પહેલા ભરતસિંગ તેમની પાસે આવતો હતો. થોડા દિવસ રોકાઈ પગારની રકમ લઈ ફરીથી વતન જતો રહેતો હતો. ૧૫ દિવસ પહેલા પણ તે આવી જતો રહ્યો હતો. આજે સવારે પગાર લેવા ફરીથી આવ્યો હતો. આવ્યા બાદ તેને પગારની રકમ બાબતે સવારે જ પત્ની નાનીબેન સાથે માથાકુટ થતાં તેને મારકુટ કરી હતી. પરિણામે તેની સાથે સગીર પુત્રએ પણ ઝઘડો કરતા તેની પાછળ પથ્થર લઈ દોડયો હતો સવારે મામલો શાંત થયા બાદ બપોરે ઓરડીમાં ફરીથી ઝઘડો થતાં નાનીબેન ઓરડીમાંથી બહાર નીકળી ગયા હતા. તે સાથે જ સગીર પુત્રએ ફિલ્મી ઢબે ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી દીધા બાદ પિતા ભરતસિંગને ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ તે ભાગ્યો ન હતો. સ્થળ પર જ હાજર રહ્યો હતો. મુકાદમે ૧૦૮ને જાણ કરતા તેના તબીબે મૃત જાહેર કર્યા હતા આ મર્ડરની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણી અને પીએસાઈ ભરવાડ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તમામ વિગતો મેળવી સગીર પુત્રની અટકાયત કરી હતી.
ચાર મહિનાનો પગાર માંગતા શેઠ સહિતે કરેલા હુમલામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત
રાજકોટમાં આજી ડેમ ચોકડી હોટલમાં કામ કરતા નેપાળી યુવકે ચાર મહિનાના પગારના બાકી પૈસા માંગતા શેઠ સહીત ચારેક લોકોએ ઢોર માર માર્યો હતો જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જેનું આજે સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે આજી ડેમ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે મોભીના મૃત્યુથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે મૂળ નેપાળના અને હાલ રાજકોટના આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા અને રસોઈકામ કરતા ગુમાનસીંગ ઈમાનસીંગ ઠાકુરએ કરણ મહતરા, દિપક અને બે અજાણ્યા શખ્સો સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 22 તારીખે રાત્રીના રોનક હોટલ પાસે હતો ત્યારે કરણ જે શેઠ હોય તેની પાસે ચાર મહિનાનો પગાર બાકી હોય તે પગાર માંગતા મને ગાળો ભાંડી હતી તે પછી દિપક અને બે અજાણ્યા શખ્સોને બોલાવી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ધોકાથી હુમલો કર્યો હતો મારકૂટ કર્યા બાદ હવે પગાર માંગીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી દીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું ઈજાગ્રસ્ત ગુમાનસીંગને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો સારવાર દરમિયાન આજે તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવને પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે બનાવ અંગે આજી ડેમ પોલીસે ઉપરોક્ત ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક 5 ભાઈ અને 5 બહેનમાં બીજા નંબરના અને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી હોવાનું જાણવા મળ્યું છે.
બેડીમાં બારી તોડી ઘુસેલા તસ્કરો કબાટમાંથી 3.40 લાખની રોકડ ચોરી ગયા : ચડ્ડી બનિયાનધારી બેલડી શેરીમાં પાર્ક કરેલું બાઈક પણ ઉઠાવી ગઈ
રાજકોટ મોરબી રોડ પર આવેલ બેડી ગામમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે બેડી ગામની પટેલ સોસાયટીમાં એક મકાનની પાછળની બારી તોડી કબાટમાં રાખેલા 3.40 લાખની રોકડ રકમ ચોરી ગયા બાદ શેરીમાં પાર્ક કરેલું પાડોશીનું 35 હજારનું મોટરસાયકલ પણ ચોરી જતા 3.75 લાખના મુદ્દામાલની ચોરી અંગે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટ મોરબી રોડ પર આવેલ બેડી ગામમાં પટેલ સોસાયટી ખાતે રહેતા ગોરધનભાઈ ચતુભાઈ મુંધવા ઉ.63એ ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મકાનની પાછળની બારી તોડીને ઘરમાં ઘુસેલા તસ્કરોએ રૂૂમમાં પ્રવેશ્યા બાદ પતરાના કબાટમાંથી 3,40,000ની રોકડ રકમની ચોરી કરી લીધી હતી રોકડની ચોરી કર્યા બાદ ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ નજીકમાં જ બીજી ચોરીને પણ અંજામ આપ્યો હતો. ગોરધનભાઈના મકાનની આગળની શેરીમાં રહેતા સાહેદ ચકુભાઈ આલાભાઈ ધ્રાંગીયાએ પોતાની શેરીમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું જીજે -03-એલએસ-8777 નંબર નું હોન્ડા પણ હંકારી ગયા હતા, ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ એક જ રાતમાં રોકડ અને વાહન મળી કુલ 3,75,000ની મત્તા પર હાથફેરો કર્યો હતો ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી હોવાની વાતની જાણ થતા વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. બનાવ અંગે ગોરધનભાઈ મુંધવાએ તુરંત કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતા બે શખ્સો જોવા મળ્યા હતા ચડ્ડીબનીયાન ધારી ટોળકીને પકડવા પોલીસે મથામણ શરુ કરી છે.
સામાકાંઠાની ત્રિપુટીએ સાયબર ફ્રોડની રકમ અન્યના ખાતામાં ફેરવી કમિશન મેળવ્યું
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં રહેતા રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ, અજય પટેલ અને યાજ્ઞિકભાઈ સોરઠિયા સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ફ્રોડના નાણાં હોવાનું જાણતા હોવા છતાં રાજેશકુમારના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં રકમ સ્વીકારી કમિશન મેળવ્યું હતું.તપાસ દરમિયાન અન્ય રાજ્યમાં નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદમાં રૂ.46.50 લાખની છેતરપિંડીમાંથી રૂ.5 લાખ આ ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં રાજેશકુમારે 29 જુલાઈએ પોતાના ખાતામાં કુલ રૂ. 10.28 લાખ જમા થયા હોવાનું અને તેમાંથી રોકડ ઉપાડી યાજ્ઞિકભાઈને આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ રકમનો ઉપયોગ અન્ય વ્યક્તિઓના ક્રેડિટ કાર્ડ બિલ ભરવા તેમજ USDTની લે-વેચમાં કરવામાં આવ્યો હતો. બદલામાં રાજેશકુમારને રૂ.13 હજાર અને અજય પટેલને રૂ.5 હજાર કમિશન મળ્યું હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસમાં હજુ વધુ નામ ખુલવાની સંભાવના છે.
સપ્તાહ પૂર્વે થયેલ હત્યામાં મદદગારી કરનાર આરોપી ઝડપાયો : રેકી કરી ગુનાને અંજામ આપી ઉજ્જૈન ભાગી ગયો હતો
રાજકોટના સહકાર રોડ પર રહેતા ઘનશ્યામસિંહ અનોપસિંહ વાઘેલા ઉ.૪૦ ગત શનિવારે વાણીયાવાડી મેઈન રોડ પર આવેલા જલારામ ચોકમાં હતા.ત્યારે આરોપી પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ધસી આવી આડેધડ છરી વડે હુમલો કર્યો હોય જેથી યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં તેનું મોડી રાતે ચાલુ સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હોય જેથી પોલીસે મૃતકના પિતા અનોપસિંહની ફરિયાદ પરથી આરોપી ધર્મેન્દ્રસિંહ સામે હત્યાનો ગુનો નોંધી લિંબડી પાસેથી ધરપકડ કરી હતી. જયારે આ જ બનાવમાં આરોપીની મદદગારી કરનાર ભીલવાસમાં રહેતા આનંદ ખીમજી પરમાર ઉજજૈન જઈ આવ્યા બાદ નાસતો ફરતો હોય જેની શોધખોળ શરુ કરી હતી દરમિયાન ભક્તિનગર પીઆઇ જયદીપસિંહ પરમાર, એએસઆઈ નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે બાતમી આધારે પોલીસે કુવાડવા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આનંદ અને ધર્મેન્દ્રસિંહ મૃતક ઘનશ્યામસિંહના ઘરની સવારે રેકી કરવા બાઈક પર ગયા હતા.બાદ સાંજે ધર્મેન્દ્રસિંહ કારમાં બેઠા હતા ત્યારે આનંદ ઘનશ્યામસિંહ પાસે ગયો અને કહ્યું કે ઘનુભા તમે જેથી મૃતકે કહ્યું હા જેથી આનંદે કહ્યું કે ચાલોને ઓલો તમને બોલાવે છે તમે કહી કાર પાસે લઈ ગયો હતો અને ધર્મેન્દ્રસિંહે કારમાંથી ઉતરી છરીના ઘા ઝીંકયા હતા.
ગોંડલમાં લગ્નની જીદ કરતી 45 વર્ષની પ્રેમિકાને 25 વર્ષીય પ્રેમીએ ટ્રેન નીચે ફેંકી હત્યા કર્યાનું ખુલ્યું : ગુંદાળા ફાટક પાસેથી મહિલાની મળેલી લાશનો રેલવે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો : આરોપીની ધરપકડ
ગોંડલમાં બે દિવસ પૂર્વે ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલવે ટ્રેક પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યાંની ઘટનામાં પ્રથમ દૃષ્ટિએ બનાવ અકસ્માત લાગતો હતો, પરંતુ રેલવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 25 વર્ષના પ્રેમીએ પોતાની 45 વર્ષની પ્રેમિકાને ધરાર લગ્નની જીદથી કંટાળીને ટ્રેન નીચે ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે રેલવે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મંગળવાર સવારે ગુંદાળા ફાટકથી થોડે દુર રેલ્વે ટ્રેક પાસે મહીલાની લાશ પડી હોવાની જાણ થતાં રેલવે પોલીસ અને બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતકના પર્સમાંથી મળેલા પુત્રના મોબાઈલ નંબરના આધારે પરિજનોનો સંપર્ક કર્યો હતો મૃતકની ઓળખ મંજુલાબેન વિનુભાઈ બારૈયા ઉ.45 તરીકે થઈ હતી. મૃતદેહ પર ઈજાના નિશાનો હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ પ્રાથમિક રિપોર્ટમાં આ બનાવ હત્યા હોવાનું જણાવ્યું હતું પતિથી બે વર્ષથી અલગ રહેતા હતા મંજુલાબેન પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, મંજુલાબેન છેલ્લા બે વર્ષથી પતિથી અલગ રહેતા હતા. તેમનો પતિ ભાવનગરના અલંગમાં કામ કરે છે. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે, જેમાંથી મોટી દીકરી જામનગર અને નાની દીકરી જામકંડોરણા સાસરે છે. મોટો દીકરો રીબડા રહીને ડ્રાઇવિંગ કરે છે, જ્યારે નાનો દીકરો જામકંડોરણા બહેન સાથે રહે છે. મંજુલાબેન ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા વિજયનગરમાં એકલા રહીને હોટેલ અને કેટરિંગમાં રસોઈનું કામ કરી પોતાનું જીવનનિર્વાહ ચલાવતા હતા પોલીસે મંજુલાબેન સાથે રિલેશનશિપમાં રહેતા પ્રકાશ સોલંકી ઉ.25 નામના શખ્સને સકંજામાં લઇ આકરી પૂછપરછ કરતા તે પોલીસ સામે પોપટ બની ગયો હતો અને હત્યાની કબૂલાત આપી હતી. પ્રકાશે જણાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે બંને પરિચયમાં આવ્યા હતા અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. મંજુલાબેન પ્રકાશ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ 45 વર્ષની પરિણીતાને પોતાના ઘરની વહુ બનાવવા પ્રકાશનો પરિવાર તૈયાર ન હતો પ્રકાશે લગ્નની ના પાડવા છતાં મંજુલાબેન સતત લગ્ન માટે જીદ કરતા હોવાથી પ્રકાશે કંટાળીને તેમને કાયમી શાંત કરી દેવાનો પ્લાન ઘડ્યો હતો. વહેલી સવારે પાંચથી છ વાગ્યાના અરસામાં પ્રકાશે મંજુલાબેનને રેલવે ટ્રેક પાસે મળવા બોલાવી, ત્યાંથી પસાર થતી ટ્રેન નીચે ધક્કો મારી દીધો હતો રેલવે પોલીસના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.યુ. વાળા, હેડ કોન્સ્ટેબલ મધુરાજસિંહ વાળા સહિતના સ્ટાફે આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી આરોપી પ્રકાશને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલના હડમતાળા જીઆઇડીસીના કારખાનામાં ટોકન આધારતી ચાલતી જુગાર ક્લ્બ ઝડપાઇ : કારખાનેદાર મલિક, રાજકોટના વેપારી સહીત 5ની ધરપકડ : 1.82 લાખનો મુદામાલ કબ્જે
ગોંડલના હડમતાળા જીઆઇડીસીમાં આવેલ સીમેન્ટના કારખાનામાં ચાલતી જુગાર કલબ પર રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી રાજકોટના વેપારી, કોન્ટ્રાકટર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી રોકડ, ટોકન અને મોબાઈલ સહિત કુલ 1.82 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ગોંડલનો કારખાનેદાર પોતાના કારખાનામાં નાલ ઉઘરાવી ટોકન આધારીત જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં એએસઆઈ ઈન્દ્રસીંહ જાડેજા, મેહુલભાઈ સુવા, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, કૌશિકભાઈ જોષી સહિતનો સ્ટાફ ગોંડલ તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમી મળી હતી કે ગોંડલની વલ્લભનગર સોસાયટીમાં રહેતો રોહિત વિનોદ બોઘરા પોતાના હડમતાળા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ પોલાડ સીમેન્ટના કારખાનામાં પહેલા માળે આવેલ રૂમમાં બહારથી માણસો બોલાવી લાઇટ, પાણી, અને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી નાલના રૂપિયા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે આ બાતમી આધારે ટીમે દરોડો પાડી ટોકન આધારીત જુગાર રમતાં રોહિત વિનોદ બોઘરા, દેરડી કુંભાજીના અરવિંદ ગોરધન બોકરવાડીયા, રાજકોટના સિમેન્ટના વેપારી વિપુલ કાનજી બેચરા, રાજકોટ અંબિકા ટાઉનશીપમાં રહેતા કોન્ટ્રાકટર મનિષ રસીક સોંડાગરા અને બ્રિજેશ ઉર્ફે લાલો જેન્તી કુકડીયાની ધરપકડ કરી રોકડ રૂ.62400, અલગ અલગ ટોકન, મોબાઈલ-5 સહિત કુલ 1.82 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
સેવાપૂજા કરતી સેવિકા પર ગુરુનો પાવડાના હાથાથી હુમલો : લાપાસરી રોડ પર સન્યાસી આશ્રમમાં બનેલો બનાવ
મૂળ સુરતના તાપી નદીના કિનારે આવેલા સન્યાસી આશ્રમના અને હાલ લાપાસરી રોડ ઉપર આવેલ સન્યાસ આશ્રમ કેસરિયા હનુમાનજી મંદિર ખાતે રહી સેવાપૂજા કરતા ઉમાગીરી ગુરુ સોમેશ્વરગીરી ઉ.50એ સોમેશ્વરગીરી સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું છેલ્લા બે વર્ષથી મારા ગુરુ સોમેશ્વરગીરી સાથે રહું છું ગત 5 તારીખે હું આશ્રમે સેવા પૂજા કરતી હતી ત્યારે મારા ગુરુ સોમેશ્વરગીરીએ મને કહ્યું કે તું હમણાં દસ-બાર દિવસ પહેલા ઓળિયા ગામ ચાલી ગઈ હતી અને હાલ પણ તું ત્યાં જવાની વાત કરે છે અને ત્યાં આશ્રમે તું દાદા ગુરુ સાથે રહેવા માંગે છે એમ કહેતા મેં કહેલ કે તમે મને બહુ હેરાન કરો છો જેથી હું ત્યાં જતી રહીશ તેમ કહેતા મારા ગુરુ સોમેશ્વરગીરી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મારી સાથે બોલાચાલી કરી અને ઝઘડો કરી પાવડાનો હાથો લઇ અને મને આડેધડ ઘા મારવા લાગ્યા હતા મને હાથ-પગમાં ઇજા થતા દેકારો કરતા હું નીચે પડી ગઈ હતી અને આ મારા ગુરુ ત્યાંથી મને મૂકીને જતા રહ્યા હતા અને જતા-જતા મારી જોળી પણ તેઓ સાથે લઇ ગયા હતા એકાદ કલાક પછી આશ્રમે કોઈ દર્શનાથી આવેલ અને મને ઈજા થઇ હોય તેનો દુખાવો થતો હોય જેથી રાડો નાખતી હતી તે આ દર્શનાથી મને જોઈ જતા તેઓ 108માં ફોન કરી મને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
ભંગાર રિક્ષામાં નાખી મુકવા જવાનું કહેતા પતિએ ફડાકા ઝીકી દીધા : છેલ્લા એકાદ વર્ષથી પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર દોલતપરામાં રહેતા અલ્પાબેન સાગરભાઈ સાડામિયાં ઉ.27એ શારીરિક માનસિક ત્રાસ આપતા તેના પતિ સાગરભાઇ હંસરાજભાઈ સાડમિયા સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું કચરો સાફ કરી તેમાંથી બોટલ વીણવાનું કામ કરું છું મેં આજથી છએક વર્ષ પહેલા સાગરભાઇ સાથે લગ્ન કર્યા હતા અને મારે સંતાનમાં બે દીકરા છે ગત બપોરે હું મારા ઘરે હતી ત્યારે મેં મારા પતિને ભેગો થયેલ ભંગાર રીક્ષામાં નાખી મુકવા સાથે આવવાનું કહેતા તે મારે તારી સાથે નથી આવવું તેમ કહી ઝઘડો કરવા લાગે અને મને જેમ ફાવે તેમ ગાળો બોલ્યા હતા જેથી મેં ગાળો બોલવાની ના પાડતા મને ગાલ ઉપર બે ઝાપટો મારી દીધી હતી છેલ્લા એકાદ વર્ષથી આવી રીતે મારી સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરી મારી સાથે ઢીકાંપાટુ તેમજ ઝાપટો વડે મારકૂટ કરે છે જેથી મેં કંટાળીને પાંચેક વાગે મારા ઘરે ફિનાઈલના બે ત્રણ ઘૂંટડા પી લીધા હતા મને ઉલટી થતા મારા બેન કોમલબેન મને 108માં બેસાડી સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
જર્મનની મહિલાના નામે લગ્નના નામે યુવક પાસેથી 6.31 લાખ પડાવી લેનાર ત્રણ આફ્રિકનની ધરપકડ : યુપીના ગ્રેટર નોઈડામાં ગ્રામ્ય સાયબર ક્રાઇમનો દરોડો : 3 મોબાઇલ, 3 પાસપોર્ટ કબ્જે
જસદણના યુવકને જર્મનની મહિલાની ઓળખ આપી તેની લગ્ન કરવાના નામે યુવકને ફસાવી ગિફ્ટ મોકલી છે તે પાર્સલ છોડાવવાના બહાને યુવક પાસેથી અલગ અલગ ચાર્જના નામે 6.31 લાખ પડાવી લીધાના સાયબર ફ્રોડના ગુનામાં ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ આફ્રિકનની ગ્રેટર નોઇડાથી ધરપકડ કરી 3 મોબાઈલ અને 3 પાસપોર્ટ સહીત 15 હજારની માતા કબ્જે કરી વધુ પુછતાછ આદરી છે. જર્મન ગોરીના પ્રેમમાં જસદણનો યુવાન કંગાળ થયો હોય તેવો બનાવ સામે આવ્યો હતો.જસદણનો યુવાન જર્મનની મહિલાને જીવનસંગીની બનાવવા જતાં રૂ. રૂ. 6.31 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જર્મન નાગરિક તરીકેની ઓળખ આપનાર મહિલાએ હું તમારો સાથ ક્યારેય નહિ છોડું કહી લગ્ન કરવાનું જણાવ્યું હતું જીવન સંગીની માની ચૂકેલ મહિલાએ મોક્લાવેલ ગિફ્ટ દિલ્લી એરપોર્ટ પરથી છોડાવવા અલગ અલગ ચાર્જ પેટે યુવાન પાસેથી નાણાં ખંખેરી લેવામાં આવ્યા હતા. બાદમાં યુવાને તપાસ કરતા તેની સાથે ફ્રોડ થઇ ગયાનો ભાંડો ફૂટતા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે સાયબર ક્રાઇમ પીઆઇ ગોધમની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ કામળીયા, એએસઆઈ હિતેષભાઇ ગામી, રવિભાઈ ચાવડા, નયદીપભાઈ વાણીયા, હીનાબેન કોડિયાંતર, રવિનાબેન હડીયલ સહિતની ટિમ દિલ્હી ખાતે તપાસમાં હતી તે દરમિયાન મળેલી બાતમી આધારે યુપીના ગ્રેટર નોઈડા ખાતે દરોડો પાડી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા એક મહિલા સહીત ત્રણ આફ્રિકન નાગરિકની ધરપકડ કરી હતી પોલીસે જોસેફીને યા અંસાહ ઉર્ફે એંજલ, મગેન્ગેલી ઇમાની ડેનિશ અને ફિલિપ બતિસ્તા જોસેફ વેલેન્ટાઈનની ધરપકડ કરી છે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પકડાયેલ ત્રણેય આફ્રિકન શખ્સો દિલ્લીમાં કોલ સેન્ટર ઊભું કરી ચેટ જીટીપી મારફત લોકલ ભાષામાં વાત કરી અલગ અલગ લોકોને ફસાવતા હતા. આ કોલ સેન્ટરના મૂળિયા હજુ પણ ઘણા ઊંડા હોય તેમાં અનેક લોકોની સિન્ડિકેટ પણ સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટમાં જુગાર રમતી 3 મહિલા સહીત 11ની ધરપકડ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એન.આર.ડોબરીયા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રાધામીરા પાર્કમાં દરોડો પાડી જુગાર રમતા પરસોતમભાઇ મનજીભાઇ જાદવ, ચંદ્રસિંહ દિલીપભાઈ હેરમા, દિનેશભાઇ નાનજીભાઈ મારૂ, આશાબેન દિવ્યેશભાઈ ગીડાણી, મમતાબેન રાજુભાઈ ખાચર અને પૂજાબેન મનોજભાઈ લુણાગરિયાની ધરપકડ કરી રોકડા 13,970 કબ્જે કર્યા છે જયારે આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ એસ.એલ.ગોહિલ અને ટીમે બાતમી આધારે ખારચીયા ગામે દરોડો પાડી જુગાર રમતા બટુકભાઈ કેશાભાઈ હાંડા, ભાવેશભાઈ મીઠાભાઇ સગપરિયા, કનુભાઈ નાગજીભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ ધરમશીભાઈ પરમાર અને દેવયાભાઈ જશાભાઇ આગરીયાની ધરપકડ કરી રોકડા 11,200 કબ્જે કર્યા છે.
છકડામાં પાડાને ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જતા ત્રણ ઝડપાયા
રાજકોટમાં અનેક ગેરકાયદે કતલખાના ચાલી રહ્યા છે તો બીજી તરફ પશુઓને કતલખાને લઇ જતા શખ્સો ઉપર સામાજિક કાર્યકરો પણ સતત વોચ રાખી રહ્યા છે ત્યારે જામનગર રોડ ઉપર રહેતા અને જીવદયાનું કામ કરતા બીન્દીયાબેન નાગજીભાઈ રાઠોડએ આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે મળેલી બાતમી આધારે કાળીપાટ ચોકડીથી એક છકડો રીક્ષાનો પીછો કરી 112માં ફોન કરી આજી ડેમ ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન પોલીસે છકડો રીક્ષા અટકાવી તાલપત્રી હટાવી જોતા તેમાં ક્રુરતાથી બાંધેલો પાડો મળી આવતા પોલીસે ત્રણ શખ્સોને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પોતે ભગવતીપરામાં રહેતો ઇકબાલ ઓસ્માણભાઈ બાવનકા, ભીલવાસમાં રહેતો મહેબૂબ જમાલભાઈ કટારીયા અને મોચીબજારઆમ રહેતો ઇસ્માઇલ આમદભાઈ માંડલિયા હોવાનું જણાવતા ત્રણેય વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી રીક્ષા સહીત 60 હજારની મતા કબ્જે કરી હતી.




