રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
સ્પા સંચાલક, મેનેજર સહીત ત્રણની ધરપકડ : 1000 એન્ટ્રી ફી, 2000 એક્સ્ટ્રા સર્વિસના ઉઘરાવતા
- Advertisement -
મેઘાલય, મુંબઈ અને રાજકોટની ચાર રૂપજીવિનીઓને મુક્ત કરાવી સાક્ષી બનાવતી પોલીસ
રાજકોટમા સ્પાની આડમાં ધમધમતા કુટણખાના કોઈપણ ભોગે બંધ કરવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે એ ડિવિઝન પોલીસે બાતમી આધારે કિશાનપરા ચોકમાં આવેલ ગ્રીન એપલ સ્પામાં દરોડો પાડી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે પોલીસે સ્પા સંચાલક, મેનેજર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી 47 હજારની મતા કબ્જે કરી છે ગ્રાહક દીઠ એન્ટ્રી ફી 1000 અને એક્સ્ટ્રા સર્વિસના 2000 રૂપિયા ઉઘરાવતા હતા અને રૂપજીવીનીને 1000 રુપિયા આપતા હતા પોલીસે મેઘાલય, મુંબઈ અને રાજકોટની ચાર રૂપજીવિનીઓને મુક્ત કરાવી સાક્ષી બનાવી છે.
રાજકોટમાં સ્પાના ઓથાર હેઠળ હાલત ગેરકાયદે દેહવ્યાપારના ધંધા બંધ કરાવવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે એ ડિવિઝન પીઆઇ જે વી વાઢિયાની રાહબરીમાં પીએસઆઈ એસ.આર.ચાવડા, કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, સજનીબેન સખીયા, પ્રિયંકાબા જાડેજા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને માહિતી મળી હતી કે કિશાનપરા ચોકમાં જયેશ સમોસા નામની દુકાન ઉપર આવેલ ગ્રીન એપલ સ્પામાં સ્પાની આડમાં યુવતીઓને રાખી કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે આ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી રૂમ ચેક કરતા એક રૂમમાંથી ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં મળી આવતા તેને પૂછતાં પોતે મેઘાલયની હોવાનું અને ગ્રાહક મોકલી 2000 ગ્રાહક દીઠ લેવામાં આવતા અને તેમાંથી 1000 રૂપિયા પોતે રાખતા અને 1000 રૂપિયા યુવતીને આપતા હોવાનું જણાવતા પોલીસે સાધુ વાસવાણી રોડ ઉપર વંદન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા મેનેજર દીપેશ જગતભાઈ વિશ્વકર્મા, કેકેવી હોલ રોયલ પાર્ક પેરેડાઇઝ એપાર્ટમેન્ટની ઓરડીમાં રહેતા ટેલીકોલરનું કામ કરતા વિકાસ કુલદીપભાઈ વિશ્વકર્મા અને આકાશવાણી ચોક આવાસ ક્વાર્ટરમાં રહેતા સંચાલક અમન મનોજભાઈ ઠાકુરને સકંજામાં લઇ બે મોબાઈલ, રોકડ સહીત 47 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે આ ગ્રાહકોને બોલાવી એન્ટ્રી ફીના નામે 1000 અને એક્સ્ટ્રા સર્વિસના નામે 2000 ઉઘરાવતા હતા પોલીસે આ સ્પામાંથી મેઘાલયની એક, મુંબઈની બે અને રાજકોટની એક સહીત ચાર રૂપજીવિનીઓને મુક્ત કરાવી સાક્ષી બનાવી ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
‘હું તારી સાથે લગ્ન કરીશ’ તેવી લાલચ આપી પરિણીતા પર દુષ્કર્મ
મૂળ પશ્ચિમ બંગાળની અને હાલ શાપર વિસ્તારમાં રહી મજૂરી કામ કરતી ૩૦ વર્ષીય પરિણીતા સાથે લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિતા અને આરોપી ધીરજ દાવડા અગાઉ એક જ કારખાનામાં સાથે નોકરી કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં આરોપીએ “હું તારી સાથે લગ્ન કરીશ” તેવી અવારનવાર લાલચ આપી હતી.ત્યારબાદ આરોપીએ પરિણીતાના ઘરે જઈ તેની મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચયું હતું. સમય જતાં આરોપીએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી પરિણીતાને તરછોડી દેતાં આખરે ભોગ બનનારે હિંમત દાખવી શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ આર.બી. રાણાએ ગુનો નોંધી ફરાર આરોપી ધીરજ દાવડાને ઝડપી પાડવા માટે પીએસઆઈ પંડયા સહિતના સ્ટાફે શોધખોળ હાથ ધરી છે.
ગંજીવાડામાં યુવકને ગાળો ભાંડી, રિક્ષાની કિકથી હુમલો : થોડીવાર ઉભું રહેવાનું કહેતા રિક્ષાચાલકે કાચ ફોડી નાખ્યો
રાજકોટના ભાવનગર રોડ ઉપર મનહર સોસાયટીમાં રહેતા અને બંગડી બનાવવાની મજૂરી કરતા હિતેષભાઈ પરબતભાઈ ચૌહાણ ઉ.42એ ગંજીવાડામાં રહેતા વિજય મોહનભાઇ શાપરા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે હું મારી રીક્ષામાં બંગડી ભરીને બંગડીનું કામ કરાવવા માટે ગંજીવાડામાં આપવા ગયો હતો અને ત્યાં બંગડીઓ ઉતારતો હતો ત્યારે ગંજીવાડા શેરી નં.45માં રહેતો અને રીક્ષા ડ્રાઈવિંગ કરતો વિજય મોહનભાઈ શાપરા પોતાની રીક્ષા લઈને આવેલ અને શેરીમાંથી રીક્ષા નિકળી શકે તેમ ન હોય જેથી મે ઈશારાથી થોડીવાર ઉભા રહો તેમ જણાવતા આ વિજયએ રીક્ષા ઉભી રાખેલ નહિ અને મારી રીક્ષાની આગળ રીક્ષા લાવીને ઉભી રાખી દિધેલ અને મને કહેવા લાગેલ કે મારી રીક્ષા નહિ ઉભી રહે મારે ગેસ બળે છે. તેમ કહિ મારી સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ જેથી મે ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશકેરાઈ ગયેલ અને મારી રીક્ષાનો આગળનો કાચ તોડી નાખેલ અને મારી સાથે જપાજપી કરી મને ઢીકાપાટુનો માર મારવા લાગતા હું નીચે પડી ગયો હતો તે દરમ્યાન વિજય શાપરાએ પોતાની રીક્ષામાંથી રીક્ષાની કીક લઈ આવી મને માથામાં મારી દીધી હતી જેથી મે બુમા બુમ કરતા આ વિજય ત્યાંથી જતો રહ્યો હતો અને મને મને માથામાંથી લોહિ નિકળવા લાગતા મે મારા ભાઈ દિનેશભાને ફોન કર્યો હતો અને તે મને એકટીવામાં બેસાડીને ખાનગી હોસ્પીટલમાં લઇ ગયો હતો બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
કાલાવડ રોડ ઉપર યુવકના હાથમાંથી 9000ના મોબાઈલની લૂંટ : બાઇકમાં નાસી છુટેલી બેલડી સામે તાલુકા પોલીસમાં ફરિયાદ
રાજકોટના કાલાવડ રોડ ઉપર સમૃદ્ધધીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં માઈક્રો ટેક રોલર્સ નામની કંપનીમાં નોકરી કરતા વિલ્સનભાઇ યસ્વિનભાઇ બેલી ઉ.36એ બે અજાણ્યા શખ્સો સામે મોબાઈલની લૂંટ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત વહેલી સવારે નોકરી પર જવા ઘરેથી નીકળ્યો હતો અને આગળના ચોકમાં ઓટો રીક્ષાની રાહ જોઈ ઉભો હતો ત્યારે મેં મારો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ઓટો રીક્ષાવાળાને કોલ કરવા માટે ખીસ્સામાંથી બહાર કાઢ્યો હતો ત્યારે અચાનક જ ભીમનગર સર્કલ તરફથી મારી પાછળથી કોઇ બે અજાણ્યા ઈસમો સ્પ્લેન્ડરમાં આવી મારો મોબાઇલ ફોન મારા હાથમાંથી ખેંચી લીધેલ અને આ બે અજાણ્યા ઇસમો તેમની મો.સા લઇને ત્યાંથી નાસી છૂટ્યા હતા જેથી હું તેમની પાછળ દોડેલ હતો પરંતુ આ બે અજાણ્યા ઇસમો તેમની મો.સા લઇને ત્યાંથી નાસી છૂટ્યા હતા ત્યાર બાદ મેં ઘરે જઈ મારા પત્ની શિલ્પા બેલીના મોબાઈલ ફોનમાંથી મારા નંબર પર ફોન કરતા આ મારો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી મોબાઈલ લૂંટ અંગે ફરિયાદ નોંધાવી હતી.
” કાળા કાચ ઉતારીયા તો તારા પટ્ટા ઉતારતા વાર નહી લાગે, મારી ગાડી ઉભી રાખીને ભુલ કરી છે “
રાજકોટમાં રહેતા અને ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પુજાબેન ભરતભારથી ગોસ્વામી ઉ.30એ કરણભાઇ પ્રવીણભાઇ મકવાણા નામના શખ્સ સામે ફરજમાં રુકાવટ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે પાટીદાર ચોક ન્યુ 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે સાંજે વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન એક કાર ટીલાળા ચોક તરફથી આવેલ અને તેમા કાળા કાચ હોય જેથી આ ગાડી ઉભી રાખી હતી આ ગાડીમા ચાર માણસો બેઠા હોય ડ્રાઇવર સીટમા ઇસમનુ નામ પુછતા તે રમેશભાઇ ઉર્ફે રવી દેવસીભાઈ પરમાર, ડ્રાઇવર સીટની બાજુમા બેઠેલા ઇસ્મે પોતાનુ નામ કરણભાઇ પ્રવીણભાઇ મકવાણા તથા પાછળ બેઠેલા લોકોએ હેમાંશુ મુકેશભાઇ મકવાણા અને દર્શન દિનેશભાઇ બગડા હોવાનુ જણાવ્યું હતું ગાડીમા કાળા કાચ બાબતે પુછતા ડ્રાઇવર સીટની બાજુમા બેસેલ ઇસમએ જણાવેલ કે હુ મારી ગાડીમા કાળા કાચ રાખુ જ છુ અને મારી ગાડીમા કાળા કાચ તો રહેશે જ અને કાળા કાચ ઉતારીયા તો તારા પટ્ટા ઉતારતા મને વાર નહી લાગે, તે મારી ગાડી ઉભી રાખીને ભુલ કરી છે અને મારે તો કાયમ અહીંથી જ નિકળવાનુ છે. હું ગમે ત્યારે તારી ઉપર ગાડી ચલાવીને કચડી નાખીશ અને તને ખબર પણ નહી રહે. તુ અત્યારે મારી ગાડી જવા દે નકર તારી વિરુધ્ધ ખોટી ફરીયાદ કરી તને સસ્પેંડ કરાવી નાખીશ તેવી વાત કરેલી ત્યારે ત્યા હાજર એ.એસ.આઈ. તથા ટી.આર.બી.ના જવાનો એ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને તે ભાઈ સમજેલ નહી. અને ત્યાર બાદ મેં પોલીસ હેલ્પલાઇન નં-112મા ફોન કરી પોલીસ ગાડી બોલાવેલ અને પોલીસ ગાડી આવી જતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી કરણભાઈ પ્રવીણભાઈ મકવાણા વિરુદ્ધ ફરજમાં રુકાવટ અંગે ગુનો નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
રાજકોટમાં યુવકને મરવા મજબુર કરનાર પત્ની, સાસુ-સસરા સહીત છ સામે ફરિયાદ : પત્નીના અફેર હતા, શંકા કરતી, બહાર આવવા-જવા પણ દેતી ન હોવાનો આક્ષેપ
મોરબી જિલ્લાના વાંકાનેરમાં રહેતા શિતલબેન અજયભાઈ રાઠોડ ઉ.42એ નાના ભાઈ પાર્થને મરવા મજબુર કરવા અંગે રાજકોટમાં રહેતા તેના પત્ની જાનકીબેન કારેલીયા, સસરા બિપીનભાઈ અમૃતલાલ કારેલીયા, સાસુ કપિલાબેન, જીલ ,દિવ્યેશ નીતિનભાઈ પિત્રોડા અને યોગેશ સોલંકી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે કુલ ચાર બહેન તથા એક ભાઈ છીએ જેમા સૌથી મોટી બહેન તેજલબેન તથા તેનાથી નાની બહેન હુ છુ અથા તેના થી નાની બહેન ભુમીબેન તથા તેનાથી નાની બહેન વર્ષાબેન તથા સૌથી નાનો ભાઈ પાર્થ જે ગળેફાસો ખાઇ મરણ ગયેલ છે મારા નાના ભાઈ પાર્થના લગ્ન 2018મા જાનકીબેન સાથે થયા હતા બેએક વર્ષ બાદ મારો ભાઇ અવાર નવાર મને ફોન કરી કહેતો કે મારી પત્ની જાનકી મારી ઉપર શંકા કરે છે અને મને કોઇ જગ્યાએ બહાર આવવા જવા દેતી નથી જેથી અમારે ઝઘડા થાય છે અને મારી પત્નીને અન્ય વ્યક્તી સાથે આડા સંબંધ છે. એટલે હવે તેને મારી સાથે રહેવુ નથી પાર્થના સસરા તથા સાસુ જાનકીને પિયર તેડી જતા હતા ઓકટોબર 2024મા જાનકી પોતાના પિતાના ઘરે રિસામણે જતી રહી હતી અને બાદ આ જાનકીએ જુલાઇ 2025મા ફેમેલી કોર્ટમાં છુટાછેડા માટે કેસ કર્યો હતો મારો ભાઈ મુદતે જતો ત્યારે ત્યા પણ જાનકી મારા ભાઈને છુટા-છેડા આપી દેવા દબાણ કરતી દરમ્યાન ગત 17 તારીખે મારી નાની બહેન વર્ષાબેનનો મને ફોન આવેલ અને જણાવેલ કે નાના ભાઇ પાર્થનો મને ફોન આવેલ હતો અને કહેતો કે મને તારૂ તથા ભાણેજનુ મોઢુ બતાવી દે મારે તમારા મોઢા જોઇ મારે સ્યુસાઇડ કરી લેવુ છુ તેવી વાત કરી હતી. બાદ ગઈ તા.18ના રોજ ભાઇ પાર્થને ફોન કર્યો પરંતુ ફોન ઉપાડેલ નહિ જેથી મે આ બાબતે મારા પતીને વાત કરેલ કે પાર્થ ફોન ઉપાડતો નથી જેથી હું તથા મારા પતી રાજકોટ આવ્યા હતા પરંતુ કોઇ ભાળ મળતી ન હોય જેથી માલવીયાનગર પોલીસ સ્ટેશનમા પિતા ભગવાનજીભાઇએ ગુમ ફરિયાદ કરી હતી બાદ ગઈ તા.20ના રોજ હુ મારા ઘરે હતી ત્યારે મારા પતીને મારા કાકા ચંપકકાકાનો ફોન આવેલ અને અમને જાણ થયેલ કે પાર્થએ ગળેફાસો ખાઈ આત્મહત્યા કરેલ છે બાદ ગોંડલ ખાતે મારા ભાઈની અંતીમવીધી કરી હતી. તે સમયે અમને જાણવા મળેલ કે ડૉકટરને પી.એમ. દરમ્યાન મારા ભાઈની ડેડબોડી પરથી સ્યુસાઇડ નોટ મળેલ છે જેના આધારે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.
હું જીવવા માંગતો હતો પણ મને જીવવા નો દીધો
અંગ્રેજીમાં લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું પાર્થ બી પિત્રોડા મને સુસાઇડ કરવા માટે મજબુર કરીઓ છે અને મને સુસાઇડ કરવા માટે મારી વાઇફ જાનકી મારા ફાથર ઇન લો બિપીનભાઈ અને મધર ઇન લો કિપિલાબેન મારી સાળી જીલ તેમનો હસબન્ડ દિવ્યેશ આ ચાર પર્સન ભેગા મળી પેલા મને બધી રીતે હેરાન કરીઓ છે. મારા મેરેજને ૭ યર્સ થયા છે મારે અને જાનકીને કાય પણ થયું હોય તો મારા સસરા આવીને એમને તેડી જાય ૮ ઇયરમા ૬ વાર તેડી ગયા છે અને હવે મારા સસરા બધા માથા ભારે માણસો પાસે ફોન કરાવે હુ જાનકીને બવ જ લવ ક રતો હતો એટલે હુ એને ભુલી નો તો શકતો જાનકી છેલ્લા ૨ ઇયર્સ બવ જ લફડા હતા અને છેલે યોગેશ સોલંકી મને કો ન્ફરન્સમા રહી ને મને કિંઘુ તુ ડીવોર્સ આપ બાકી તને મારી નાખીશ મે બવ બધી ટ્રાય કરી કે જાનકી જ હોય એ તુ આવી જા પપણ મારા સાળા ને મને બવ જ હેરાન કરવો તો સેલે જાનકીએ બોલી તુ મરી જા મારૂ નામ લખતો જાજે મને કાંય જ નહી થાય મારા સસરા પણ સાથે હતા એ પણ બોલ્યા કે તુ મરી જા અમને કાંય જ નહી થાય જાનકીને અનહદ લફ ળા હતા તો પણ હુ મારા પ્રેમને લીધે હુ એની પાછળ જ રહેતો બધા રેકોડીંગ મારા ફોનમાં છે મને ખોટા કેસમાં પણ & સાવી દીધો તો આ બધુ મારા ફોનમાં છે બાકી મારા ફેમીલી આમની બધી જ ખબર છે એસ.પી., પી.આઈ. સર આઈ રીક વેસ્ટેડ ફોર યુ મને I HAVE SEEN JUSTICE SIR હું જીવવા જ માંગતો હતો પણ આ લોકો મને જીવવા દેવો જ ના રેવા દીધો આ પાંચ લોકોએ મારા સમાજમાં મારા બિઝનેસમાં સર બધી જગ્યાએ મારી આબરુ કાઢી નાખી છે. SO SIR PLEASE I HAVE HEARTLY REQUESTED FOR YOU આ લોકો તમે પોલીસના બધા કોન્ટેકટ કરશે BUT SIR આમને ના LWAYS તારી સાથે છુ મારા પશુદાદા પણ મને ન્યાય અપાવજે MY BROTHER તુષા ૨ પરમાર એન્ડ પ્રશાંત પિત્રોડા I POOT YOUR LEG હું નોતો મરતો ભાઈ તમારું પણ SAME મારી આવીયુ ત્યા રે ખબર પડી dont worry હું હંમેશા તમારી સાથે છુ ખાલી સામેથી ગયો છુ બાકી તમે યાદ કરશો ત્યારે હું આવી જઈ શ અને મારો દેવલો તારા લગનમાં હુ આવીશ હો ને ALWAYS BE WITH YOU માય હીરાદીદી માય બીનુ માય ઘ ન અને રોહીતકુમાર જ મારુ બધુ કરશે. મારો કેસ કોઈ પાછો ખેંચી લો કે સમાઘાન કરી નાખી એવુ ના કરતા નકર હુ એ ને નડીશ તેવુ સ્યુસાઇડ નોટમા લખેલ હતુ.
ઉછીના આપેલા સાડા ત્રણ લાખ અને વકીલાતનું સર્ટી માંગી ફડાકા ઝીકી દીધા
રાજકોટના જામનગર રોડ ઉપર ગુલમ્હોરમાં રહેતા અને કુવાડવા જી.આઈ.ડી.સી. માં એપ્લાઇન પેન્ટસ નામની ફેકટરી ભાગીદારીમાં ચલાવી વેપાર કરતા ભરતભાઈ જેરામભાઈ ભીમાણી ઉ.28એ મવડીમાં રહેતા મિત્ર કેતન સુર્યકાંતભાઈ દવે સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 29 તારીખે રાત્રીના હું ઘરે હતો ત્યારે મિત્ર કેતનભાઈએ મને ફોન કર્યો હતો પરંતુ હું સુતો હતો અને મારો ફોન સાઇલેન્ટ હતો, જેથી મારાથી ફોન ઉપડેલ નહીં અને બાદ થોડીવારમાં આ કેતનભાઈ તથા રવીરાજસિંહ વાઘેલા મારા ઘરે આવી ઘરની બેલ વગાડયા કરેલ, જેથી મારા પિતા-જેરામભાઇ બહાર નિકળેલ અને અત્યારે શુ આવ્યા તે બાબતે પુછતા તે જોરજોરથી બોલવા લાગેલ કે ભરત કયાં છે? બોલાવો ભરતને અને એને કહી દેજો કે મારી પાસેથી લીધેલ સાડા ત્રણ લાખ રૂપીયા જે તમારા ઘરના ફર્નિચર કરાવા માટે લીધા હતા અને વકીલાતની ડિગ્રી સર્ટીફીકેટ કયાં રાખેલ છે મને આપી દયે જેથી મારા પિતા મને ઉઠાડવા આવેલ અને હું મારા ઘરની બહાર નિકળેલ તો સામે કેતનભાઈ દવે તથા તેને ત્યાં કામ કરતા રવીરાજસિંહ વાઘેલા ઉભા હોય અને અત્યારે શેના માટે આવ્યા તે પુછતા આ કેતનભાઈ મારી સાથે જોરજોરથી બોલી કહેવા લાગેલ કે મારી પાસેથી લીધેલ સાડા ત્રણ લાખ રૂપીયા અને મારા વકીલાતની ડિગ્રી સર્ટીફીકેટ મને આપી દે નહીં તો સારાવટ નહીં રહે તેમ કહી ગાળો બોલવા લાગેલ, જેથી મે કેતનભાઈને શાંતીથી બોલવા સમજાવતા તે ઉશ્કાઈ જઈ મને પોતે લાવેલ સ્કોર્પીઓ કારમાં બેસાડવા ધમકાવવા લાગેલ જેથી હું તેની સ્કોર્પીઓ કારમાં બેસી ગયેલ અને મને મન ફાવે તેવી ગાળો બોલી ગાલમાં ઝાપટ મારેલ અને તેની સ્કોર્પીઓ કારમાં રાખેલ છરી બતાવી ધમકી આપેલ કે જો મારા સાડા ત્રણ લાખ રૂપીયા તથા વકીલાતનુ ડિગ્રી સર્ટીફીકેટ જો મને નહીં મળશે તો હું તને જાનથી મારી નાખીશ. જેથી મે તેને કહેલ કે તમારી પાસેથી લીધેલ રૂપીયા મે તમને પરત આપી દિધેલ છે અને ડોકયુમેન્ટ તથા લેપટોપનો થેલો આજથી દશેક મહીના પહેલા રવીરાજસિંહ વાધેલા તમારી ઓફીસમાં આવેલ દેવશ્રી ફાયનાન્સ નામની ઓફીસમાંથી લાવીને મને આપેલ હતો તે થેલો મે ખોલ્યો પણ નથી અને જેમ હતો તેમજ મે સ્નેહભાઇ સીહોરાને આપેલ હતો અને તેમને આ થેલો તમારા માતા-કિરણબેન દવેને આપેલ છે મે તેમાથી કોઇ તમારી વકીલાતનુ ડિગ્રી સર્ટીફીકેટ કાઢેલ નથી કે જોયેલ નથી. બાદ હું કારમાંથી ઉતરતો હતો ત્યારે આ કેતનભાઇ મને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન આવી જા હું ફરીયાદ કરવા જાવ છુ, જેથી મે પણ કહેલ કે હું પણ પોલીસ સ્ટેશન આવુ છુ જેથી હું મારી એકટીવા લઇને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જતા તે પોતે ત્યા બેઠો હોય અને મે ત્યાં હાજર પોલીસને મે ફરીયાદ લખવાનુ કહેતા મને બનાવ બાબતે પુછતા મે બનાવની જાણ કરેલ જેથી મને ત્યાંની પોલીસે ગાંધીગ્રામ-૨(યુનિ.) પોલીસ સ્ટેશન ફરીયાદ કરવાનુ કહેતા મેં ફરિયાદ નોંધાવી હતી.
પડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીન પર પાંચ દુકાનો ખડકી દેનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ
પડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીનમાં દબાણ કરી પાંચ દુકાનો ખડકી દઈ ભાડે ચડાવી દેતા ચકચાર મચી ગઈ છે નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિને સમગ્ર મામલે કાગળો રજુ કરવામાં આવતા મહેસુલી સમિતિ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી મામલતદારે પડધરી પોલીસ મથકમાં ખોડાપીપર ગામના શખ્સ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પડધરીના મામલતદાર કે જી સખીયાએ ખોડાપીપર ગામના ભરત સુરેશભાઈ ડાવેરા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખોડા પીપર ગામના મહેસુલી તલાટી તથા સર્કલ ઓફીસર દ્વારા ફેરણી કરતાં ખોડાપીપર ગામના ભરત સુરેશ ડાવેરાએ પડધરીના ખોડાપીપર ગામના સરકારી ખરાબાના સર્વે નં.137 પૈકી 2 ની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી પાંચ દુકાનો બનાવી ભાડે ચડાવી આર્થિક ઉપાર્જન કરતા હોવાનું જણાવ્યું હતું જેથી સરકારી જમીન પર દબાણ કરનાર વિરુદ્ધ તા. 07/02/2026 થી સાધનિક કાગળો તૈયાર કરી પગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020થ તળે પગલાં લેવા અભિપ્રાય સાથે દરખાસ્ત રજુ કરવામાં આવેલી હતી બાદમાં તા. 11/02/2026 થી પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્યને આ મામલે વિગતવાર દરખાસ્ત કરતાં તેઓની કચેરી પત્ર તા.21/02/2026 થી સરકારી જમીનમાં દબાણ બાબતે સુઓમોટો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા તા.18/07/2026 ના રોજ મળેલી બેઠકમાં ભરત સુરેશભાઈ ડાવેરા વિરૂધ્ધ ગુનો નોંધાવવા સમિતી દ્વારા નિર્ણય લેવામાં આવેલ હતો જેથી મામલતદારે ફરિયાદી બની પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં જુગારના બે દરોડામાં સાત ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પ્રનગર પોલીસ મથકના સ્ટાફે બાતમી આધારે લીમડા ચોકમાં દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હિરેન રસિકભાઈ આડેસરા અને હુસેન રજાકભાઈ દોસાણીની ધરપકડ કરી રોકડા 5800 કબ્જે કર્યા છે જયારે યુનિવર્સીટી પોલીસે બાતમી આધારે રૈયાધાર ઈન્દીરાનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સંજય બાબુભાઇ પરમાર, વિજય માધાભાઇ ચૌહાણ, વિજય મહેશભાઈ ચાવડા, વિનોદ લક્ષ્મણભાઇ વાઘેલા અને હીરા માવજીભાઈ મકવાણાની ધરપકડ કરી રોકડા 6290 કબ્જે કર્યા છે.




