ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા યુવાનની હત્યા થઇ હતી
એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાની ધારદાર દલીલ અને સાક્ષીઓના વિરોધાભાસ જૂબાની બાદ કોર્ટનો નિર્ણય
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ નજીક આવેલા સર્વેશ્વર ચોક ખાતે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ સર્જાયેલા લોહિયાળ હુમલામાં એક યુવાનની હત્યા તથા અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચાડવાના ગંભીર ગુનાના કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફરિયાદી, નજરે જોનાર સાક્ષીઓના વિરોધાભાસ જુબાની, સરકાર પક્ષ આરોપ સામે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. પરિણામે અદાલતે આરોપી અમરદીપસિંહ ઉર્ફે બાલી કુબવતસિંહને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
કેસની વિગતો મુજબ, શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલા પુનિતનગર શેરી નં. 13માં રહેતા કાર્તિક જેંતીભાઈ સરવૈયાની દિવાળીની રાત્રે સર્વેશ્વર ચોક ખાતે છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈ પ્રકાશભાઈ સરવૈયાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા. 1 નવેમ્બર, 2024ના રોજ રાત્રે અંદાજે 12:30 વાગ્યે તેઓ પોતાના ભાઈ કાર્તિક સાથે રેસકોર્સ ખાતે ભેળની લારી પાસે હતા. તે દરમિયાન મિત્ર મીત ભટ્ટનો ફોન આવતા તેઓ કાર્તિક તથા માસિયાઈ ભાઈ કેતન વોરા સાથે યાજ્ઞિક રોડ સ્થિત સર્વેશ્વર ચોક ખાતે ફટાકડા ફોડવા ગયા હતા.
- Advertisement -
ફરિયાદ મુજબ, સર્વેશ્વર ચોક ખાતે પંચમિયા કરિયાણાની દુકાન નજીક તેઓ ફટાકડા ફોડતા હતા ત્યારે સામે આવેલા પંજાબી ધાબાના સંચાલક અમરદીપસિંહ ઉર્ફે બાલી પણ ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાર્તિક તરફ ફટાકડાની લૂમ ફેંકી હતી. શરૂઆતમાં મિત્રતાના કારણે કોઈએ વિરોધ કર્યો ન હતો, પરંતુ થોડા સમય બાદ ફરીથી કાર્તિક તરફ ફટાકડાની લૂમ ફેંકાતા કાર્તિક તથા કેતન વોરાએ તેનો વિરોધ કરતાં બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારબાદ હાજર રહેલા મીત ભટ્ટ અને હેમલ વિઠલાણીએ બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ફરિયાદ અનુસાર, રાત્રે આશરે 1:30 વાગ્યે પ્રકાશ સરવૈયા, કાર્તિક, કેતન વોરા, મીત ભટ્ટ, હેમલ વિઠલાણી તથા અન્ય મિત્રો જગન્નાથ શેરી નં. 20-21ના ખૂણે આવેલા કાવેરી કોમ્પ્લેક્સ નીચે ઉભા હતા. તે સમયે અમરદીપસિંહ ઉર્ફે બાલી ઇનોવા કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે કાર્તિક પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. કાર્તિકને બચાવવા વચ્ચે પડેલા પ્રકાશ સરવૈયા અને કેતન વોરાને પણ છરીના ઘા માર્યા બાદ આરોપી ઇનોવા કારમાં ફરાર થઈ ગયો હતો.
બાદમાં ઇજાગ્રસ્તોને મિત્રોએ ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કાર્તિક સરવૈયાને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી અમરદીપસિંહ ઉર્ફે બાલીની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને તપાસનીશ અધિકારીએ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ફરિયાદી, નજરે જોનાર સાક્ષીઓ, પંચો, તબીબો તથા તપાસનીશ અધિકારી સહિતના સાક્ષીઓની જુબાની કરાવી હતી. જોકે, સુનાવણી દરમિયાન સરકાર પક્ષ આરોપીને દોષિત સાબિત કરવામાં સફળ રહ્યું ન હતું.
બીજી તરફ બચાવ પક્ષ તરફથી લેખિત દલીલો, દસ્તાવેજી પુરાવાઓ તેમજ ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયના વિવિધ ચુકાદાઓનો આધાર રજૂ કરવામાં આવ્યો હતો. બંને પક્ષની દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે અદાલતે આરોપી અમરદીપસિંહ ઉર્ફે બાલીને શંકાનો લાભ આપી તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપી તરફથી સિનિયર એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા સાથે એડવોકેટ ખોડુભા સાકરિયા, મિલન જોષી, જયવીર બારૈયા, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમારે બચાવ પક્ષની વકીલાત સંભાળી હતી.



