રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલ ત્રિ-મંદિર નજીક વહેલી સવારે બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે મૂળ કચ્છનો યુવાન સવારે અમદાવાદ હાઇવે પર આવેલ આર્યવીર કોલેજ ખાતે બાઈક લઈને જતો હતો ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી 20 વર્ષીય યુવાન રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતો હતો. બનાવની જાણ થતા સાથી છાત્રો દોડી ગયા હતા અને પરિવારજનોને બનાવ અંગે જાણ કરી હતી. મૂળ કચ્છનો અને હાલ રાજકોટ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહી હોમિયોપેથીનો અભ્યાસ કરતો નિખિલ દશરથભાઈ ઉ.20 આજે સવારે 8 વાગ્યા આસપાસ પોતે પોતાનું બાઈક લઈને કોલેજે જતો હતો ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર કુવાડવાથી આગળ ત્રિ-મંદિર પાસે રોડ પર પડેલ બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા અકસ્માત થતા નિખિલને માથે શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેથી નિખિલને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અહીં ઇમરજન્સી રૂમમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો તેમના મોટા ભાઈ પાર્થભાઈ પણ પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. ઇન્ટર્ન ડોક્ટર છે. તેઓને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા નાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી ભાંગી પડ્યા હતા આ સાથે અન્ય મેડિકલ છાત્રો, ડોક્ટર્સ પણ એકત્ર થઈ ગયા હતા વતનમાં જાણ કરતા પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા હતા. અકસ્માતનો ભોગ બનનાર નિખિલભાઈ આર્યવીર હોમિયોપેથીક કોલેજમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હતા અને પોતાના મોટા ભાઈ સાથે પીડીયું હોસ્ટેલમાં રહેતા હતા પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
- Advertisement -
એઈમ્સ હોસ્પિટલમા બાયાસેફટી લેબોરેટરીમાથી 3.25 લાખની કોઇલની ચોરી
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ રાજકોટના જામનગર રોડ ઉપર નંદનવન સોસાયટીમાં રહેતા અને પ્રોજેક્ટરનો વ્યવસાય ધરાવતા વિવેક વિલાસ પાલાંડે ઉ.29એ 3.25 લાખની ચોરી અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું એઈમ્સ હોસ્પિટલમા બાયાસેફટી લેબોરેટરીમા સેન્ટ્રલ (A.H.U) એ.સી નુ કામ કરુ છું તથા અન્ય પાર્ટીશન વર્કનુ કામ “ એફ.ટી ઈન્સ્ટિટ્યુશ ન પ્રાઈવેટ લિમિટે” કંપનીમા પ્રોઝેક્ટ એન્જીનિયર તરીકે કામ કરી મારું ગુજરાન ચલાવુ છુ. રાજકોટ એઈમ્સ હોસ્પિટલમા બાયાસેફટી લેબોરેટરીમા સેન્ટ્રલ એ.સી.નુ કામ છેલ્લા ત્રણેક માસથી ચાલુ છે જેમાની મશીનરીનો એક ભાગ કોઈલ (કુલીંગ માટેની મશીનરી) લગાવવાની હોય જે ગત તા.5 મેંના રોજ રાજકોટ એઈમ્સમા લાવ્યા હતા ગત 12 તારીખે હુ તથા મારી સાથેના મજૂર કર્મચારીઓ પોત -પોતાના ઘરે જતા રહ્યા હતા બાદ તા.15ના રોજ સવારે હુ તથા કર્મચારી મોનાવર હુસૈન, સમીરુલ, સુનિલ ચૌહાણ, સંજય વર્મા બધા એઈમ્સ હોસ્પિટલમા બાયાસેફટી લેબોરેટરી ખાતે કામ ઉપર ગયેલ તો મને કુલીંગ મશીનનો એક ભાગ જોવા મળેલ નહીં. જેથી કર્મચારીને પુછપરછ કરતા કોઈલ બાબતે કોઈએ જણાવેલ નહીં બાદ મે મારી રીતે તપાસ કરતા કોઈ માહિતી મળેલ નહિ તો આ એઈમ્સ હોસ્પિટલમા બાયાસેફટી લેબોરેટરી ખાતે A.H.Uના અલગ અલગ પાર્ટ રાખેલ હતા જે A.H.U. ની કૂલ કિમત ૪,૦૮,૫૧૬/- ની હોય અને જેમાનો એક પાર્ટ કોઈલ જેની કિંમત આશરે 3,25,000 ગણી શકાય જે કોઈલની કોઈ ચોર ઇસમો ચોરી કરી લઈ ગયેલ હોઇ ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે પીએસઆઈ એમ એસ મહેશ્વરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
93 બોટલ દારૂ, 82 ચપલા, 20 બિયર સાથે ત્રણ ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1ની ટીમે બાતમી આધારે દરોડો પાડી માંડાડુંગર પાસેથી 93 બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી તેમજ થોરાળા પોલીસે 68 ચપલા દારૂ સાથે એકની ધરપકડ કરી એકની શોધખોળ હાથ ધરી છે જયારે કુવાડવા રોડ પોલસીએ દારૂના 14 ચપલા અને બીયરના 20 ટીન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે માંડાડુંગર પાસે વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલી કાર અટકાવી જડતી લેતે તેમાંથી 93 બોટલ દારૂ મળી આવતા કારચાલકનું નામઠામ પૂછતાં પોતે ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતો જયકુમાર જગદીશભાઈ નૈયર હોવાનું જણાવતા પોલીસે 1,30,800 રૂપિયાનો દારૂ, 8 લાખની કાર સહીત 9,30,800 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે આ ઉપરાંત થોરાળા પોલીસ મથકના સ્ટાફે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પાડી દારૂના 11,560 રૂપિયાના 68 ચપલા કબ્જે કરી ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા અજીતસિંહ જાડેજાની ધરપકડ કરી તેના ભાઈ જયપાલસિંહ ઉર્ફે પિન્ટુ અજીતસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઈ ખોડુભા જાડેજા સહિતની ટીમે બાતમી આધારે મોરબી હાઇવે ઉપર વોચ ગોઠવી ટાટા માલવાહક વાહન કોર્ડન કરી જડતી લેતા તેમાંથી દારૂના 14 ચપલા અને 20 બિયર મળી આવતા દારૂ, વાહન સહીત 3,04,600 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી મૂળ યુપીના હાલ સંતકબીર રોડ ઉપર રહેતા રઘુવીરસિંહ કંધીલાલ પ્રજાપતિની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રાના સોલડી ટોલનાકા પાસેથી 13.44 લાખનો દારૂ ઝડપી લેતી રેન્જ સ્ક્વોડ
રાજકોટ રેન્જની ટીમે બાતમી આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાંથી પસાર થઈ રહેલી એક ટ્રકમાંથી કારપેટના રોલની આડમાં છુપાવીને લઈ જવાતો દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ 28,14,994નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જના તમામ જિલ્લાઓમાં ગેરકાયદે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના અપાયેલ ખાસ આદેશથી પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા ટીમ સાથે પેટ્રોલિંગઆ હતા ત્યારે પીએસઆઇ સી.એમ.કાંટેલીયા તેમજ સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, કાસમભાઈ બ્લોચ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસેથી હરિયાણા પાસિંગની ટ્રક નં. HR-67-A-8964માં દારૂનો મોટો જથ્થો છે અને અહીંથી પસાર થવાનો છે આ બાતમી આધારે વોચ ગોઠવી હતી ત્યારે સોલડી ટોલનાકા પાસેથી ટ્રક પસાર થતા જ તેને અટકાવી તપાસ કરતા ટ્રકની અંદર કારપેટના મોટા રોલ જોવા મળ્યા હતા. પરંતુ પોલીસે જ્યારે કારપેટના રોલ હટાવી ચેક કરતા દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા પોલીસે 13.34 લાખનો 9,792 દારૂની બોટલ અને બીયરના ટીન કબ્જે કર્યા હતા પોલીસે રાજસ્થાનના ડ્રાયવર સંદિપકુમાર વિનોદકુમાર શાહુ અને રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલની ધરપકડ કરી દારૂ, ટ્રક, કારપેટના રોલ સહિત કુલ 28.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે ટ્રક સોંપનાર હરિયાણાના મહેશ, દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર, ટ્રકના મૂળ માલિક સહિતના શખ્સો વિરૂદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન મંજુર કરતી હાઇકોર્ટ
હાઈકોર્ટ દ્વારા રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાના જામીન હાઇકોર્ટે મંજુર કરતા એક કેસમાં રાહત મળી છે રીબડાના જાડેજા જૂથ માટે એક ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ રાહત માનવામાં આવી રહી છે. જો કે પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે જેલમાં હાજર થવા ફરમાન કર્યા હોવાથી તે ગુનામાં જેલવાસ યથાવત રહેશે પડતર ગુનાહિત કેસોની ગૂંચ તે અંગે સરકારની કમિટી આગળનો નિર્ણય કરશે. પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાની મુક્તિ અથવા સજા માફી અંગેનો મામલો હજુ પણ સસ્પેન્સ રાખવામાં આવ્યો છે આ કેસના નિર્ણય માટે સરકારની એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ સરકારી કમિટી જ હવે આગામી સમયમાં આ કેસ અંગે આખરી અને નિર્ણાયક કદમ ઉઠાવશે. જ્યાં સુધી આ કમિટીનો સત્તાવાર આદેશ બહાર ન આવે ત્યાં સુધી કાનૂની પ્રક્રિયા અધ્ધરતાલ રહેશે. સુનાવણી નિયત ન થાય અને તેના પર કોઈ આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી અનિરૂદ્ધસિંહ જાડેજાએ જેલના સળિયા પાછળ જ દિવસો વિતાવવા પડશે આમ, એક તરફ અમિત ખૂંટ કેસમાં જામીનનો ગ્રીન સિગ્નલ મળ્યો છે, તો બીજી તરફ અન્ય કાનૂની અડચણોને કારણે જેલના દરવાજા હજુ તેમના માટે બંધ જ રહેશે. કમિટીના નિર્ણય અને કોર્ટની આગામી સુનાવણી બાદ જ તેમની જેલમુક્તિ અંગેનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકશે..
હું કહું તેમ નહીં કર તો તારા દીકરાને મારી નાખીશ કહી ધમકી આપી હવસનો શિકાર બનાવી
રાજકોટના કાલાવડ રોડ પર રહેતી એક 32 વર્ષીય મહિલાએ લગ્નની લાલચ આપી પોતાની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ સંબંધનો અંત આવ્યા છતાં ફરી સંબંધ રાખવા દબાણ કરી ઇનકાર કરતાં 10 વર્ષના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ પોતાના ફોટા અને મોબાઇલ નંબર ઈન્સ્ટાગ્રામ પર વાઇરલ કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. રાજકોટમાં રહેતી એક મહિલાએ રાહુલ રમેશભાઈ દવેરા ઉ.35 સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘર સામે રહેતી એક મહિલાના ઘરે એક ભાઈ આવતા હોય તેમને પોતે ભાઈ બનાવ્યા હતા અને તે મહિલા સાથે બનાવેલા ભાઈ મારા ફોનમાંથી ફોનમાં વાત કરતા હતા દરમિયાન રાહુલએ ફોન કરી તમે મારા ભાઈને કેમ ફોન કરો છો તેમ કહેતા તેને પૂછ્યું હતું કે તમે કોણ છો તો તેણે કહ્યું કે તમે જેને ફોન કરો છો તે મારો ભાઈ છે અને હું રાહુલ દવેરા છું જેથી તેને તમે પણ ભાઈ તેમ કહેતા તેણે મારે ઘણી બહેનો છે તને બહેન બનાવવી નથી તેમ કહી દીધું હતું ત્યાર બાદ એક રાત્રે તે ઘરે આવી દરવાજો ખખડાવતો હોય બારીમાંથી જોતા કોણ છો તેમ પૂછતાં પોતે રાહુલ હોવાનું કહ્યું હતું તેને જતું રહેવાનું કહેતા તે દીવાલ ઠેકીને ઘરમાં આવ્યો હતો જેથી તેના ભાઈને ફોન કરતા તે પણ આવ્યા હતા અને તેને સમજાવવાની કોશિષ કરી હતી પરંતુ તેણે તે કહે તેમ નહિ કરે તો તેના દીકરાને મારી નાખશે તેવી ધમકી આપી પરાણે શરીર સંબંધ બાંધી લીધો હતો તે પછી આરોપીએ લગ્ન કરવાની ખાતરી આપતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને લગભગ એક વર્ષ સુધી બંને સંપર્કમાં રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ લગ્નનું વચન આપી અનેક વખત મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત આરોપીએ ઢીકાપાટા વડે મારપીટ પણ કરી હતી બાદમાં બંને વચ્ચે લેખિત સમજૂતી કરાર થતાં બંને અલગ થઈ ગયા હતા. જોકે સમજૂતી છતાં આરોપી મહિલાનો પીછો છોડતો ન હતો અને ફરી સંબંધ રાખવા દબાણ કરતો હતો. મહિલાએ ઇનકાર કરતાં “તું મારી વાત નહીં માને તો તારા 10 વર્ષના દીકરાને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી જે બાદ આરોપીએ 26 જૂનના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મહિલાના ફોટા તથા મોબાઇલ નંબર પોસ્ટ કરી વાઇરલ કર્યા હતા. આ ઘટનાથી મહિલાને માનસિક ત્રાસ પહોંચતાં આખરે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોપટપરામાં સોડાના 5 રૂપિયા વધારે લીધા બાદ વેપારી પર હુમલો
રાજકોટના પોપટપરા વિસ્તારમાં સોડાની બોટલના માત્ર 5 રૂપિયા માટે શરૂ થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો. સોડાની કિંમતને લઈને થયેલી બોલાચાલી બાદ વેપારી પોતાના પરિવાર સાથે આરોપીને સમજાવવા તેના ઘરે ગયો હતો. જ્યાં ધોકા વડે હુમલો કરી વેપારીને ઈજા પહોંચાડવામાં આવી હોવાનો તેમજ વચ્ચે પડેલી સાત મહિનાની ગર્ભવતી બહેનને પણ ધક્કો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે પ્રદ્યુમ્નનગર પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના પોપટપરા શેરી નં.14 ખાતે રહેતા અને “સર્વોદય કોલ્ડ્રિક્સ’ નામે પ્રોવિઝન સ્ટોર ચલાવતા આસિફભાઈ મોહમદભાઈ શેખ(ઉ.વ.23)એ પોપટપરામાં રહેતા યાકુબ હાસમભાઈ રાઠોડ અને તેના પુત્ર ફૈશલ યાકુબભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 29 જૂનની રાત્રે આશરે 8.30 વાગ્યે યાકુબભાઈ સોડાની બોટલ લેવા ફરિયાદીની દુકાને આવ્યા હતા. સોડાના 40 માગતા યાકુબભાઈએ ‘બીજે બધે રૂ.35 લે છે તેમ કહી ગાળો આપી બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં ફરિયાદી પોતાની માતા રેહાનાબેન અને બહેન રેશ્માબેન સાથે આરોપીને સમજાવવા તેમના ઘરે ગયો હતો. ત્યાં આરોપી ફૈશલ ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાન યાકુબભાઈ ધોકો લાવી ફૈશલને આપતા તેણે ફરિયાદી પર ધોકા વડે હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદીએ જણાવ્યા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલના વેપારીને ગુનામાં ફિટ કરવાની ધમકી આપી 21 લાખની ખંડણી પડાવનાર ત્રિપુટી ઝડપાઇ
રાજકોટના ગોંડલ ખાતે રહેતા વેપારીની પેઢીની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી જીએસટી અને પોલીસમાં ખોટી અરજીઓ કરી ગુના દાખલ કરવાની ધમકી આપી વેપારી પાસેથી 21 લાખની ખંડણી પડાવી લેનાર ત્રણ શખ્સોને ગોંડલ પોલીસે ઝડપી લીધા છે. ગોંડલના ચોકસીનગર ખાતે રહેતા અને યાર્ડમાં પેઢી ધરાવતા મેહુલભાઈ ભરતભાઈ રૈયાણીએ હિતેશ સાકરીયા, પિયુષ લાલજીભાઈ રાદડિયા, ભૌતિક બોઘરા અને એક અજાણ્યો વકીલ જેવો કોર્ટ પહેરેલા શખ્સ સામે 21 લાખની ખંડણી પડાવવા અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ઉપરોક્ત ગુનાને ગંભીરતાથી લઇ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે પીઆઇ જી એસ ગઢવી અને ટીમે તપાસ હાથ ધરી હતી દરમિયાન ભૌતિક પેઢીમાં ભાગીદાર હોય તેણે પેઢીની માહિતી હિતેશ સાકરીયાને આપી હતી અને પીયૂષે આ માહિતી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી તે પછી ફરિયાદી વિરુદ્ધ જીએસટી અને પોલીસમાં ખોટી અરજીઓ કરી હતી અને ગુના દાખલ કરાવવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા આ પછી પિયુષ રાદડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્રણેય કોર્ટ ખાતે મળ્યા હતા અને ત્યાં વકીલ જેવા દેખાતા શખ્સ સાથે મુલાકાત કરાવી 21 લાખ રૂપિયા પડાવી લીધા હતા ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ જામકંડોરણાના મોટા ભાદરાના હિતેશ રાજેશભાઈ સાકરીયા, ગોંડલના પિયુષ લાલજીભાઈ રાદડિયા અને ચરખડીના ભૌતિક મહેશભાઈ બોઘરાની ધરપકડ કરી હતી પિયુષ સામે ગોંડલ અને સુલતાનપુરમાં 7 ગુના નોંધાઈ ચુક્યા છે.
રૈયામાં બાંધકામ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોત
રાજકોટના રૈયા ગામ પાસે આવેલ અપટાઉન બાંધકામ સાઈટ ઉપર બપોરે વીજશોકની ઘટના બનવા પામી છે પાટીદાર ચોકમાં નવી બનતી ઇમારતની આ સાઈટ ઉપર સવારે અગ્યારેક વાગ્યે શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણોસર વીજ પ્રવાહ શરુ થઇ જતા બે શ્રમિકોને ગંભીર ઇજા પહોંચી હતી ઈજાગ્રસ્ત શ્રમિકો સૂરજ હીરાલાલ કુશવાહ ઉ.21 અને રામબલિક કામત કુશવાહ ઉ.26ને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી બંને શ્રમિકોને મૃત જાહેર કરતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.




