ખેતી જમીનના આવેલા પૈસા ઘરમાં પડ્યા હતા, જાણભેદુ હોવાની શંકાએ વિવિધ ટીમો તપાસમાં જોતરાઇ
બુકાનીધારી ટોળકીને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપી બુકાનીધારી ટોળકી નાસી જતા ચકચાર મચી ગઈ છે. શાપરમાં રહેતા 77 વર્ષીય રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના જ ઘરમાં મધરાત્રે બંધક બનાવી, હથિયારધારી બુકાનીધારી લૂંટારૂઓ 2.47 કરોડની રોકડ રકમ, 2 લાખના દાગીના, રાયફલ અને મોબાઈલ સહિત કુલ 2.49 કરોડની સનસનીખેજ લૂંટ ચલાવી નાસી જતા રાજકોટ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે બનાવને પગલે રેન્જ આઇજી, એસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને ભોગ બનનાર વૃદ્ધ પાસેથી માહિતી મેળવી આરોપીઓ સુધી પહોંચવા અને ગુનાનો ભેદ ઉકેલવા નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે શાપર સ્ટેટના મોભી જીતેન્દ્રસિંહ જાડેજા ઉ.77 ગઈકાલે શાપરમાં આવેલા નિવાસસ્થાને ઘરમાં એકલા સુતા હતા ત્યારે મોડી રાતના 5 જેટલા અજાણ્યા બુકાનીધારી શખ્સો લોખંડના પાઈપ સહિતના ઘાતક હથિયારો સાથે દરવાજો તોડીને ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસી ગયા હતા. આ દરમિયાન અવાજ થતાં વૃધ્ધ જાગી ગયા હતા તે જાગી જતાં લૂંટારૂઓએ હથિયાર બતાવી ધમકાવ્યા હતા બાદમાં વૃધ્ધ રાજવીને મુક્કા મારી મોઢે ડૂમો આપી બંધક બનાવી લીધા હતા. ત્યાર બાદ તેમને એક રૂમમાં પૂરી દઈ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં તિજોરીના તાળાં તોડી લૂંટારૂઓ ઘરમાંથી 2.47 કરોડની રોકડ, અંદાજે 2 લાખના સોના-ચાંદીના દાગીના, એક કિંમતી રાયફલ અને રાજવીનો મોબાઈલ લૂંટીને નાસી છૂટ્યા હતા ભોગ બનનાર વૃધ્ધનો પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી ઘરમાં આટલી મોટી રકમ હોવાનું જાણવા મળ્યું છે લૂંટની ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ગંભીરતાને પગલે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ, એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો ડોગ સ્ક્વોડ ઉપરાંત એફએસએલ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી ગુનેગારોના સગડ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે રાજકોટ જિલ્લા અને આસપાસના હાઈવે પર કડક નાકાબંધી ગોઠવી દીધી હતી લૂંટારૂઓની કડી મેળવવા માટે ઘટનાસ્થળ તેમજ તેની આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરુ કરી છે પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, ઘરમાં આટલી મોટી રોકડ રકમ હોવાની માહિતી કોઈ નજીકના વ્યક્તિ અથવા જાણભેદુ પાસે હોઈ શકે છે, જેથી તે દિશામાં પણ શંકાસ્પદોની પૂછપરછ આદરી છે હાલ પોલીસે વૃધ્ધ રાજવીના રાજકોટ રહેતા પુત્ર જયવીરસિંહ જાડેજાની ફરીયાદ પરથી લૂંટ-ધાડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
એક કલાક બાદ રાજવીએ બહાર આવી પુત્રને જાણ કરી
શાપરમાં રાજવીને બંધક બનાવી થયેલ સનસનીખેજ લૂંટના પ્રકરણમાં પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વૃધ્ધ રાજવીને બંધક બનાવી બુકનીધારી ટોળકી લૂંટ કરી નાસી છૂટી હતી જે બાદ વૃધ્ધ રાજવી એક કલાક સુધી મથામણ કર્યા બાદ રૂમની સાંકળ ખોલી બહાર આવ્યા હતાં પરંતુ પોતાનો મોબાઈલ પણ લૂંટારા લઈ ગયાં હોવાથી અન્યના મોબાઈલથી બનાવ અંગે પુત્રને જાણ કરી હતી.
વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ તે પ્રકારે કાર્યવાહી શરુ : નિર્લિપ્ત રાય
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે રાત્રિના સમયે ધાડનો બનાવ બન્યો છે. બનાવ સંદર્ભે એફએસએલ, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ તે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના ગઇકાલે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી લૂંટારુઓએ ઘરના માલિક અને ફરિયાદી જીતેન્દ્રસિંહ જાડેજાને ડરાવી-ધમકાવી, સામાન્ય ઈજા પહોંચાડી એક બાજુ બેસાડી દીધા હતા.




