સાલસ-સરળ સ્વભાવના મૌલેશ પટેલે એક આદર્શ અગ્રણીની ભૂમિકા હંમેશા ભજવી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કડવા પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણી વચ્ચેની બંધબારણે યોજાયેલી બેઠક અને ત્યારબાદ તેમના જ નિવાસસ્થાને ભાજપ આગેવાનો સાથે થયેલું ભોજન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. જો આ આખીયે ઘટનાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો રાજકીય નેતાઓ જ્યારે કોઈના ઘરે જાય છે ત્યારે તે મુલાકાત પાછળ બે મુખ્ય કારણો હોય છે: કાં તો તેઓ ત્યાં જવા માટે મજબૂર હોય અથવા તો તેમને ત્યાં જવું ગમતું હોય. કેટલીકવાર નેતાઓ – આગેવાનોને મજબૂરીવશ કોઈ અગ્રણીને ત્યાં જવું પડે છે તો ક્યારેક કોઈ અગ્રણીને ત્યાં જઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે.
રાજકારણમાં ઘણી મુલાકાતો પ્રોટોકોલના ભાગરૂપે થતી હોય છે. ઘણી વખત નેતાઓને વિવિધ જૂથો, સંગઠનો કે જ્ઞાતિના અગ્રણીને મળવું પડે છે કારણ કે તે રાજકીય જરૂરીયાત હોય છે. જોકે કેટલીક મુલાકાતો એવી હોય છે જે ફરજ નહીં પરંતુ સંબંધો અને સમજણના આધારે યોજાય છે. મૌલેશ ઉકાણી સાથે ભાજપના પ્રદેશસ્તરીય નેતાઓની વારંવાર થતી મુલાકાતો આ બીજા પ્રકારમાં આવે છે. કોઈપણ પ્રદેશના નેતા જ્યારેપણ રાજકોટ આવે છે ત્યારે મૌલેશ ઉકાણીની મુલાકાત લેવાનું એક પ્રકારની પરંપરા જેવું બની ગયું છે. આ માટેનું મુખ્ય કારણ છે મૌલેશભાઈનું અદભૂત વ્યક્તિત્વ, તેમની નિખાલસતા અને સામાજિક ક્ષેત્રે તેમનું યોગદાન. કોઈપણ નાનામોટા નેતા કે રાજકીય આગેવાનનું મૌલેશ ઉકાણીને મળવા જવું એ માત્ર એક ઔપચારિક મુલાકાત નથી હોતું પરંતુ એક એવા વ્યક્તિ પ્રત્યેના આદરનું પ્રતીક હોય છે જેણે પોતાના વ્યક્તિત્વ અને સામાજિક-ધાર્મિક સેવાઓ દ્વારા એક અલગ ઓળખ ઉભી કરી છે. તેઓ ક્યારેય આક્રમક રજૂઆત કે સતત દબાણની રાજનીતિ પર વિશ્વાસ કરતા નથી.
દ્વારકાધીશના અનન્ય ભક્ત મૌલેશ ઉકાણીએ હંમેશા પોતાની ઓળખ એક સમાજસેવક અને મિલનસાર વ્યક્તિ તરીકે જાળવી રાખી છે. તેમની સાથેની બેઠક માત્ર રાજકીય ચર્ચાઓ પૂરતી સીમિત નથી રહેતી પરંતુ તેમાં એક પારિવારિક ઉષ્મા હોય છે. વળી, તેમના ઘરેથી કોઈ જમ્યા વિના જઈ ન શકે તેવો તેમનો ઉમંગભર્યો આવકાર હોય છે. રાજકીય નેતાઓ અને આગેવાનો પણ આખરે માણસ જ છે અને તેઓ પણ એવા વ્યક્તિની શોધમાં હોય છે જેની સાથે બેસીને તેઓ માનસિક શાંતિ અનુભવી શકે. મૌલેશભાઈનું વ્યક્તિત્વ એવું છે કે જે તેમની પાસે આવનારા દરેક વ્યક્તિને પોતાનાપણું અહેસાસ કરાવે. મૌલેશ ઉકાણી અંગે ઘણા લોકોનો એવો અભિપ્રાય રહ્યો છે કે, તેઓ ભાવનાત્મક ઉશ્કેરાટ કરતાં વ્યવહારુ અભિગમને વધુ મહત્વ આપે છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આવા સમયે તેઓએ સમાજના આગેવાન તરીકે માત્ર પોતાના વર્ગના પ્રશ્નો સુધી સીમિત ન રહીને સમગ્ર સમાજ સાથે રાખીને ચાલવાનું પસંદ કર્યું છે.
રાજકારણમાં ઘણા એવા નેતાઓ અને સામાજિક અગ્રણીઓ હોય છે જેમને નેતાઓ મળે છે પરંતુ તે મળવા પાછળનું કારણ તેમનું ’વ્યક્તિત્વ’ નથી હોતું, પરંતુ તેમની ’ન્યૂસન્સ વેલ્યુ’ હોય છે. ન્યૂસન્સ વેલ્યુ એટલે કે એવી સ્થિતિ જ્યાં કોઈ વ્યક્તિ અથવા સમૂહ સમાજમાં કે રાજકારણમાં વિવાદ ઉભો કરવાની કે અડચણરૂપ બનવાની ક્ષમતા ધરાવે છે. રાજકીય પક્ષો ઘણીવાર મજબૂરીમાં આવા લોકો સાથે સમાધાન કરે છે અથવા તેમને મહત્વ આપે છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે. આ પ્રકારના લોકો સાથેની મુલાકાતોમાં નેતાઓ કે આગેવાનોનું મનેકમને તેમના ઘરે મળવા જવું સ્વાભાવિક છે. આવા લોકોનો પ્રભાવ પ્રેમ કે આદરથી નહીં પરંતુ ડર કે દબાણથી હોય છે. જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિ પોતાની જ્ઞાતિના નામે કે ખોટા દબાણ દ્વારા અરાજકતા ફેલાવે છે ત્યારે તે સમાજ માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. નેતાઓ કે આગેવાનો આવા લોકો સાથે બંધબારણે બેઠક તો કરી લે છે પણ તે મુલાકાતમાં સમાજહિતની વાત-વિચાર કે પરિણામલક્ષી નિર્ણયનો અભાવ હોય છે. આનાથી વિપરીત મૌલેશ ઉકાણી જેવા લોકોનું મહત્વ તેમના સકારાત્મક પ્રભાવમાં છે. તેઓ કોઈ વિવાદનું કારણ નથી બનતા પરંતુ ઉકેલનો ભાગ બને છે. જ્યારે નેતાઓ તેમની પાસે જાય છે ત્યારે તે તેમની મજબૂરી નથી પરંતુ તેમની પસંદગી હોય છે. આ તે તફાવત છે જે એક ચોક્કસ જ્ઞાતિ કે વર્ગના આગેવાન અને સામાજિક અગ્રણી વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે છે.
કોઈપણ સમાજ ત્યારે જ આગળ વધી શકે છે જ્યારે તેના અગ્રણીઓ નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરે. મૌલેશ ઉકાણીની પ્રતિષ્ઠા તેમના દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યો પર ટકેલી છે. એક નેતા કે આગેવાન જ્યારે આવા વ્યક્તિને મળે છે ત્યારે તેમને પણ એ વાતનો ગર્વ હોય છે કે તેઓ સમાજના એક એવા વ્યક્તિત્વ સાથે જોડાયેલા છે જેમના પર લોકો વિશ્વાસ કરે છે. બીજી તરફ જે લોકોની ન્યૂસન્સ વેલ્યુ વધુ હોય છે, તેમની પાસે રહેલી તાકાત ક્ષણિક હોય છે. જ્યારે દબાણ હટી જાય ત્યારે તેમનો પ્રભાવ પણ શૂન્ય થઈ જાય છે. પરંતુ જેનો પ્રભાવ તેમના વ્યક્તિત્વ અને સામાજિક કાર્યોથી ઊભો થયો હોય છે તે કાયમી હોય છે.
મૌલેશ ઉકાણી અંગે તેમના નજીકના લોકો એક વાત વારંવાર કહે છે કે તેઓ સંબંધોને માત્ર પ્રસંગ પૂરતા જાળવતા નથી. તેઓ લોકોને યાદ રાખે છે, સુખ-દુ:ખમાં સાથે ઊભા રહે છે અને સમાજના વિવિધ વર્ગો સાથે સતત સંવાદ જાળવી રાખે છે. કદાચ આ જ કારણ છે કે વિવિધ રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો તેમની સાથેનો સંપર્ક જાળવવાનું પસંદ કરે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત રાજકીય આગેવાનોની મૌલેશ ઉકાણી સાથે મુલાકાત એ વાતનું પ્રમાણ છે કે આજે પણ રાજકારણમાં માણસાઈ અને નિખાલસતાનું મૂલ્ય જળવાયેલું છે.
અંતમાં એટલું જ કહી શકાય કે, સમાજમાં પ્રત્યેક વ્યક્તિએ એ નક્કી કરવાનું છે કે તેઓ કેવી છાપ છોડવા માંગે છે. શું તેઓ એવા વ્યક્તિ બનવા માંગે છે જેની ન્યૂસન્સ વેલ્યુને કારણે લોકો તેમને બોલાવે છે? કે પછી એવા વ્યક્તિ બનવા માંગે છે જેમના વ્યક્તિત્વને કારણે લોકો પોતાની મેળે જ તેમની પાસે આવે છે? મૌલેશ ઉકાણીનું ઉદાહરણ એવા લોકો માટે દીવાદાંડી સમાન છે જેઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે. રાજકારણીઓ પણ અંતે તો જનતાના પ્રતિનિધિ છે અને જ્યારે તેઓ મૌલેશ ઉકાણી જેવા સાચા સમાજસેવક અને લોકપ્રિય અગ્રણી સાથે બેસે છે ત્યારે તે હંમેશા સર્વે સમાજના હિતમાં જ હોય છે.
ક્યારેય એવું કહ્યું નથી કે, સરપંચથી સાંસદ સુધી પાટીદારો જ હોવા જોઈએ
અજાત શત્રુ તરીકેની ઓળખ ધરાવનાર મૌલેશ ઉકાણીએ ક્યારેય એકમાત્ર પાટીદારોના હકહિસ્સાની તરફેણ કરી નથી કે પાટીદારોને જ સર્વે સત્તા-પદ મળવા જોઈએ તેવો વિચાર રજૂ કર્યો નથી. સરપંચથી લઈ સાંસદ સુધી પાટીદારો જ હોવા જોઈએ એવું તેમણે ક્યારેય કહ્યું નથી. મૌલેશ ઉકાણી સર્વે સમાજને સાથે લઈ ચાલવાવાળી નિષ્પક્ષ અને તટસ્થ વ્યક્તિ છે. તેઓએ ક્યારેય માંગ્યું નથી પણ આપ્યું જ છે.
- Advertisement -
સિદસરનો ક્યારેય રાજકીય મહત્વકાંક્ષા માટે ઉપયોગ કર્યો નથી
પાટીદાર સમાજના અગ્રણી અને ભામાશા એવા મૌલેશ ઉકાણી સિદસર જેવી સંસ્થાના ચેરમેન હોવા છતાં તેઓએ ક્યારેય રાજકીય મહત્વકાંક્ષા માટે ધાર્મિક સંસ્થા કે પાટીદારોનો ઉપયોગ કર્યો નથી. તેઓએ પદ-પ્રતિષ્ઠા મેળવવા ક્યારેય હવાતિયાં માર્યા નથી કે પોતાના લાગતા-વળગતાને ટિકિટ મળે તેવી માંગણી પણ કરી નથી. તેથી જ તેઓ સર્વે સમાજને વરેલા પાટીદાર અગ્રણી અને ભામાશા કહેવાય છે.




