ગુરુવારનું ખાતમુહૂર્ત અને સોમવારનું લોકાર્પણ: મ્યુનિ.કમિશનરની માત્ર વાતો, વાસ્તવિકતા કંઈક અલગ જ
કાટમાળ હટાવી સંતોષ માની લેવાયો: જંગલેશ્ર્વર ડિમોલિશનને 13 દિવસ વીતી ગયા છતાં હજુ રસ્તાનું ખાતમુહૂર્ત પણ નથી થયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જંગલેશ્ર્વરનું ડિમોલિશન પૂર્ણ થતા જ ગુરુવારે નવા રસ્તાનું ખાતમુહૂર્ત થશે અને સોમવારે ખુલ્લો મુકી દેવાશે. આ શબ્દો પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર બોલ્યા હતા જેને આજે 13 દિવસ વીતી ગયા પરંતુ હજુ ખાતમુહૂર્ત પણ નથી થયું. મનપા તંત્ર દ્વારા 15 મીટર પહોળા અદ્યતન ડિઝાઇન રોડનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની સૌથી આશ્ચર્યજનક બાબત તેની કામગીરીની સમયમર્યાદા છે. તંત્ર દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ માત્ર 10 દિવસની અંદર તેનું લોકાર્પણ કરી દેવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સામાન્ય રીતે રોડ બનાવવાના કામમાં મહિનાઓનો સમય જતો હોય છે, પરંતુ આ 15 મીટરના ડિઝાઇન રોડ માટે મનપાના એન્જિનિયરો અને મજૂરોની ટીમ દિવસ-રાત એક કરી દેશે. ગુરુવારથી સોમવારના ટૂંકા ગાળામાં જ ખાતમુહૂર્તની વિધિ પતાવીને આગામી 10 દિવસમાં ફિનિશિંગ ટચ સાથે રોડ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેવા દાવા પોકળ સાબિત થયા છે. ડિમોલિશન જેવી આકરી કાર્યવાહી માટે તંત્ર પાસે પૂરેપૂરો પ્લાન અને પોલીસ કાફલો હતો, પરંતુ રસ્તાના નિર્માણ માટે ઈસ્ટ ઝોનના ઈજનેરો પાસે કોઈ નક્કર આયોજન હોય તેવું જણાતું નથી. 1500 મકાનો તોડ્યા બાદ ત્યાં ફેલાયેલા કાટમાળ વચ્ચે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. કમિશનરે આપેલા ‘ગુરુવારથી સોમવાર’ના ટૂંકા ગાળાના વાયદા હવે મનપા માટે મજાક સમાન બની રહ્યા છે.
જંગલેશ્ર્વરના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, “અમારા આશિયાના તો તોડી પડાયા કારણ કે રસ્તો બનાવવો હતો, પણ હવે રસ્તો ક્યાં છે? જો તંત્ર પાસે રસ્તાના કામનું આયોજન નહોતું, તો આટલી ઉતાવળે ડિમોલિશન કરવાની શું જરૂર હતી?”



