મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની નગરી અયોધ્યામાં દીપોત્સવ 2025ની 9મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ભગવાન રામના આગમનની ઉજવણી માટે રામ કી પૌડી સહિત 56 ઘાટ પર એક સાથે 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ પહેલાં જ વર્લ્ડ રેકોર્ડ બનવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શનિવારે મોડી સાંજે સરયૂ નદીના તટ પર આયોજિત સરયૂ આરતીમાં 21,000થી વધુ લોકોએ એકસાથે ભાગ લઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
- Advertisement -
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી નિશ્ચલ બારોટે જણાવ્યું હતું કે, આ આયોજનમાં સહભાગીઓની ગણતરી ક્યૂઆર કોડ સ્કેનિંગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 21000થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જે અગાઉના 1774 લોકોના રેકોર્ડને તોડે છે. આ રેકોર્ડની સત્તાવાર જાહેરાત રવિવારે (19 ઓક્ટોબર) મુખ્યમંત્રી સમક્ષ સ્ટેજ પર કરવામાં આવશે.
29 લાખ દીવા પ્રગટાવી નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી
રામનગરી અયોધ્યામાં રવિવારે (19 ઓક્ટોબર) નવમાં દીપોત્સવનું ભવ્ય આયોજન થશે, જેમાં 29 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી છે. રામની પૈડી પરના 56 ઘાટો પર 30,000 સ્વયંસેવકો દ્વારા 29 લાખ દીવા સજાવી દેવામાં આવ્યા છે. ગિનીસ બુકની ટીમે ડ્રોનની મદદથી આ દીવાની ગણતરી પૂરી કરી લીધી છે. આ આયોજનમાં 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવીને અગાઉનો રેકોર્ડ તોડવામાં આવશે.
- Advertisement -
આજે સવારથી દીવામાં તેલ અને વાટ નાખવાનું કામ શરૂ થશે. આ ભવ્ય આયોજન માટે અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.
દીપોત્સવ આસ્થા અને સન્માનનું પ્રતીક: જયવીર સિંહ
રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે, “વર્ષ 2017માં પહેલીવાર 1 લાખ 71 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીપોત્સવમાં 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. પહેલા સંસ્કરણથી નવમા સંસ્કરણ સુધી દીવાની સંખ્યામાં લગભગ 15 ગણો વધારો થયો છે, જે આસ્થા અને પ્રભુ શ્રી રામ પ્રત્યેના સન્માનનું પ્રતીક છે. સરયૂ ઘાટ પર 2100 વેદાચાર્યો મહાઆરતી કરશે. આકાશમાં 1100 ડ્રોન દ્વારા રામાયણના વિવિધ પ્રસંગોની મનમોહક ઝલક પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં જય શ્રી રામ, ધનુષધારી રામ, સંજીવની પર્વત ઉઠાવતા હનુમાનજી, રામસેતુ અને રામમંદિર જેવી આકૃતિઓનો સમાવેશ થશે.
‘દીપોત્સવ AR એપ’ દ્વારા વર્ચ્યુઅલ દીપદાન
આ દીપોત્સવનો હિસ્સો બનવા માટે ‘દીપોત્સવ AR એપ’ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલા લોકો આ એપ દ્વારા વર્ચ્યુઅલ દીપદાન કરીને ઉત્સવનો ભાગ બની શકે છે. આ એપ ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા ‘વિકસિત ઉત્તર પ્રદેશ 2047’ની પરિકલ્પનાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે.