મેન્ટેનન્સના નામે વીજકાપ લાદતું તંત્ર ખરેખર કરે છે શું તેવો જનતાનો આક્રોશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
સામાન્ય વરસાદમાં જ સામાકાંઠાના લોકોને વીજળીના બદલે મીણબત્તીના સહારે આવી જવું પડ્યું હતું.આગળ તો ભગવાન જાણે કેવા ય હાલ થશે. મોરબીમાં માત્ર છાંટા જ પડ્યા છે. ત્યાંજ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ ગતરાત્રે થોડા છાંટા પડતા જ અનેક ઠેકાણે વીજ ધાંધિયા સર્જાયા હતા. ટીસીમાં ભડકો થતા ગતરાત્રે ત્રણેક વખત વીજ પુરવઠો ખોરવાયો હતો.આથી લોકોને ભારે હેરાન થવું પડ્યું હતું.
- Advertisement -
મે મહિનાથી પીજીવીસીએલ પ્રિમોન્સૂન કામગીરી કરી રહ્યું છે અને ફીડર, ટીસી, કેબલ સહિતના મેઇન્ટેનન્સ કરવાના બહાને સતત આખો આખો દિવસ વીજ પુરવઠો ખોરવી રહ્યું હોય ત્યારે ટીસીમાં ભડકા અને વીજ પૂવરઠો ખોરવાઈ જવાથી પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા થયા છે. મોરબીમાં હજુ સુધી સામાન્ય કહી શકાય એવો પણ વરસાદ પડ્યો નથી.માત્ર ગઈકાલે સાંજથી રાતભર હળવા છાંટા પડ્યા હતા.ત્યાં સામાકાંઠા વિસ્તારમાં બેથી ત્રણ વખત લાઈટ ગુલ થઈ હતી. પાવર સપ્લાય બંધ થવાથી લોકો આકરી ગરમીમાં ભારે હેરાન થયા હતા.
જેમાં મોરબીના સામાંકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપર રામદેવપીરના મંદિર પાસે આવેલા ટીસીમાં ગતરાત્રે આગ લાગી હતી અને જો કે સ્થાનિકોએ આ અંગેની તુરંત જ વીજ તંત્રને જાણ કરી હતી. પણ વીજ તંત્રએ હમણાં ગાડી આવશે કહી કહીને ખાસ્સો સમય વિતાવી નાખ્યો હતો. બીજી તરફ ટીસીમાં ભડકો મોટો થતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અંતે ફરી લોકોએ જાણ કરતા વીજ તંત્રએ રાત્રે 12 વાગ્યે વીજ પુરવઠો બંધ કરીને કામગીરી કરી હતી. આ કામગીરી કર્યા બાદ ફરી રાત્રે 1 વાગ્યે લાઈટ ગુલ થઈ ગઈ હતી.