ભાવનગર મેડિકલ કોલેજમાં કાળજું કંપાવતું રેગિંગ: 13 જુનિયર તબીબને અપાઈ તાલિબાની સજા
6 સિનિયર ડોક્ટરોનો અમાનવીય ત્રાસ: દર મહિને ₹2.5 લાખની ખંડણી અને દારૂ મંગાવાતો, 15 દિવસથી ન્હાવા પણ ન દીધા
- Advertisement -
દોષિતોની હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી નોંધ લીધો છે. રેગિંગના મામલે સરકારની ’ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ એન્ટી-રેગિંગ કમિટીએ મોટી કાર્યવાહી કરી છે. કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના 6 સીનિયર વિદ્યાર્થીઓને દોષિત જાહેર કરી 1થી 2 વર્ષ સુધી કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે, જ્યારે હોસ્ટેલમાંથી પણ હાંકી કાઢવાના કડક આદેશ આપ્યો છે.
એન્ટી-રેગિંગ કમિટીના આદેશ અનુસાર, સમગ્ર ઘટનામાં દોષિત ઠરેલા તમામ વિદ્યાર્થીઓને સજાના સમયગાળા દરમિયાન હોસ્ટેલમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને 19મી જૂનની સાંજ સુધીમાં જ પોતાના હોસ્ટેલના રૂમ ખાલી કરી કોલેજ તંત્રને સત્તાવાર જાણ કરવા માટે આખરી અલ્ટીમેટમ અપાયું હતું. સજાના ગાળા દરમિયાન આ વિદ્યાર્થીઓ કોલેજની કોઈપણ પ્રકારની શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન (રિસર્ચ) કે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની અત્યંત શરમજનક અને ચકચારી ઘટના પ્રકાશમાં આવતા તબીબી આલમ સહિત સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જેટલા જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચ મહિનાથી દ્વિતીય વર્ષના 6 સિનિયર રેસિડન્ટ તબીબો દ્વારા માનસિક અને અમાનવીય શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે પીડિત વિદ્યાર્થીઓની ઓનલાઇન ફરિયાદના આધારે એન્ટી રેગિંગ સ્કવોર્ડે છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ શરૂ કરી છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગમાં આ સમગ્ર કાળી કરતૂત ચાલી રહી હતી. ભોગ બનનાર જુનિયર તબીબોએ પોતાનો રૂંવાડા ઊભા કરી દે તેવો ત્રાસ વર્ણવતા જણાવ્યું હતું કે, સિનિયર વિદ્યાર્થીઓ તેઓની પાસેથી દર મહિને અઢી લાખ રૂપિયા પડાવતા હતા અને વિદેશી દારૂની બોટલો મંગાવતા હતા. આટલું જ નહીં, રાત્રિના સમયે જુનિયરોને કુકડા બનાવવામાં આવતા અને આખી રાત એક પગે ઊભા રાખવાની ક્રૂર સજા અપાતી હતી. તેઓને ટ્રોમા સેન્ટરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો તેમજ જમવા અને સુવાનો પૂરતો સમય પણ અપાતો ન હતો. અત્યંત ગંભીર બાબત એ છે કે, એક્સ-રે વિભાગમાં ફરજ દરમિયાન રેડિયેશનથી બચવા માટેનું જરૂરી ’લેડ એપ્રન’ પણ પહેરવા દેવામાં આવતું ન હતું, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હદ તો ત્યારે થઈ જ્યારે છેલ્લા 15 દિવસથી જુનિયર તબીબોને ન્હાવા સુદ્ધા દેવામાં આવ્યા ન હતા. આ અમાનવીય ત્રાસથી કંટાળીને આખરે તમામ 13 જુનિયર તબીબોએ હિંમત એકઠી કરી લેખિત અને ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ કોલેજ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. તપાસના ભાગરૂપે અત્યાર સુધીમાં ભોગ બનનાર તમામ 13 જુનિયર તબીબોના વિગતવાર નિવેદનો નોંધી લેવામાં આવ્યા છે, જ્યારે આજે આરોપી એવા 6 સિનિયર રેસિડન્ટ તબીબોને પણ પૂછપરછ માટે બોલાવી તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
ભય વિના ફરિયાદ કરવા તંત્રની અપીલ
આરોગ્ય વિભાગ અને કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, જો કોઈ પણ વિદ્યાર્થીને રેગિંગ, માનસિક ત્રાસ, દબાણ, ધમકી કે અન્ય કોઈપણ પ્રકારના અમાનવીય વર્તનનો સામનો કરવો પડે, તો તેમણે બિલકુલ ડર્યા વગર તાત્કાલિક પોતાની કોલેજની એન્ટી-રેગિંગ કમિટી, કોલેજ તંત્ર અથવા સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરવી. એન્ટી-રેગિંગ કમિટી દરેક વિદ્યાર્થીની સુરક્ષા, ગુપ્તતા અને ન્યાય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.




