ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વુમન ડેવલોપમેન્ટ સેલ, એસ.સી.એસ.ટી. સેલનાં સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની ઊજવણી અંતર્ગત અને જી.એમ.ઇ.આર..એસ. મેડીકલ કોલેજનાં સહયોગથી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
યુનિ. દ્વારા પંચ પ્રકલ્પ યોજના હેઠળ યુનિવર્સિટીનાં તમામ કર્મચારીઓ માટે વિનામૂલ્યે આરોગ્યની ચકાસણી થાય અને આનુસાંગિક લેબોરેટરી પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં વિટામિન બી-12 ટીએસએચ જેવા મહત્વના આરોગ્ય સંકેતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષણો ખાસ કરીને શારીરિક થાક, ઉર્જાની કમી, થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ માટે ઉપયોગી સાબિત થાય છે. આવા આરોગ્યલક્ષી ઉપક્રમો દ્વારા યુનિવર્સિટીના કર્મચારીઓ તેમના આરોગ્ય અંગે વધુ જાગૃત બની શકે અને સમયસર જરૂરી સારવાર મેળવી શકે છે. સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવન ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા યુનિવર્સીટી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની આરોગ્યલક્ષી ચકાસણી માટે હેલ્થ ચેકઅપ કેમ્પમાં તજજ્ઞ ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા જરૂરી દવઓ અને બ્લડપ્રેશર, રક્તપરિક્ષણ વગેરેના સાધન સાથે આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો એમ્બ્યુલન્સ વાહન સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ડો. હિરેન હડિયા-જનરલ ફિઝિશિયન, ડો.મુખ્તાર અહમદ મસ્તકી ઈ.એન.ટી., ડો. જીગ્નેશ રામાણી જનરલ સર્જન, ડો.નેહલ મોરી- ગાયનેકોલોજીસ્ટ, ડો.દેવાંશી ભટ્ટ ડર્મેટોલોજીસ્ટ, ડો.શુભમ રાઠોડ- ઓર્થોપેડિક સર્જન, ડો.જલ્પા સુથાર ઓપ્થેમોલોજિસ્ટ, ધ્રુવ મહેતા લેબોરેટરી ટેક્નિશિયન, રાજેશ ઝાલા ઇ.સી.જી. ટેક્નીશ્યન, તેમજ દિલીપ ચાવડા અને દિવ્યા વાઘેલા નર્સિંગ સ્ટાફ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણી કરી હતી.
નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આરોગ્ય ચિકિત્સા શિબિર યોજાઇ: વિદ્યાર્થીઓ, કર્મયોગીઓનું થયું આરોગ્ય પરિક્ષણ
