15 ફેબ્રુઆરી બાદ નવું લસણ બજારમાં આવશે ત્યાં સુધી ભાવ ઘટવાની શક્યતા નથી
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા, તા.16
શિયાળાની ઋતુ અને ઠંડીએ હવે જોર પકડયું છે ત્યારે આવા વાતાવરણમાં ઉંઘીયું અને ઓળાની મોજ માણવી એ ખરેખર લ્હાવો જ ગણાય. ઓળાની વાત થાય એટલે લસણ, ટામેટાં ડુંગળી અને કોથમીર વગેરેની આવશ્યકતા હોય. એવી વેળાએ લસણના ભાવ 400 પ્રતિ કિલો ડુંગળી અને ટમેટા પણ 50ને પાર જતાં ગૃહિણીઓ પરેશાન છે. કાઠિયાવાડી ભોજનને સ્વાદિષ્ટ અને મસાલેદાર બનાવવામાં લસણ, ડુંગળી અને ટમેટાની ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અને એમાં પણ આ તો શિયાળાની ઋતુ એટલે જેમ જેમ ઠંડી વધે તેમ તેમ રીંગણાનો ઓળો અને ઉંઘીયાનો ભોજનમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અરે ભરેલાં રીંગણામાં પણ લસણનો પ્રચુર માત્રામાં ઉપયોગ થતો હોય છે સાથે સાથે લસણની સ્વાદિષ્ટ ચટણીનો પણ આ શિયાળામાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. આવા સમયે લસણના ભાવમાં તોતિંગ ઉછાળો આવતાં ગૃહિણીઓ પણ પરેશાન જોવા મળે છે.
- Advertisement -
શિયાળાની ઋતુમાં ચોમેર લીલા શાકભાજીનું ઉધીંયુ તેમજ કાઠીયાવાડી જમણ ઓળા રોટલાની સીઝન પુરબહારમાં જામે ત્યારે લસણ, ટમેટા અને ડુંગળીની માંગમાં પણ પ્રચુર માત્રામાં વધારો થતો જોવા મળે છે. સાવરકુંડલા શહેરની શાકમાર્કેટમાં હાલ લસણ રૂા 350 થઈ 400 ના કિલો બોલાય રહ્યાં છે. તો ડુંગળી ટમેટા 50 ને પાર છે.!! હવે આગામી તા.15 ફેબ્રુઆરી બાદ જ નવું લસણ બજારમાં આવશે તેથી ત્યાં સુધી લસણના ભાવ ઘટવાની જરાપણ શક્યતા નથી તેમ જણાવી લસણના વિક્રેતાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, હવે સંગ્રહાયેલા લસણનો જથ્થો ઘટશે તો હાલના લસણના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી આશંકા સેવાઈ રહી છે. પાંચસો સુધી ભાવ પહોંચી જાય તો નવાઈ નહી. દર વર્ષે શિયાળામાં ઓળા રોટલાની સીઝન તેમજ લીલાછમ્મ શાકભાજીની આવક વધતા ઉંધીયાનો વપરાશ વધે છે એટલું જ નહિ પરંતુ લગ્નસરાની સીઝન જામતાં લસણ અને ડુંગળીનો વપરાશ વધે છે. એટલે આ ડિસેમ્બર મહિનામાં પણ આ કડકડતી ઠંડીમાં પણ લોકોએ લસણ ડુંગળી અને ટમેટાના ઉંચા ભાવ ચૂકવવા તૈયાર રહેવુ પડશે. આમ ભર શિયાળે હવે રીંગણાનો ઓળો ખાવા માટે લોકોએ વધુ ખર્ચ કરવો પડશે..!! એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.