પટેલ V/S પાટીલના સમીકરણને બદલવાનો પ્રયાસ
નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જિલ્લાઓના પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. 21મી ઓગસ્ટે પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે જશે. ત્રણ દિવસનો પાટીલનો આ પ્રવાસ મહત્વનો એટલા માટે છે કેમકે પાટીલ ખોડલધામ દર્શન કરવા જવાના છે. જ્યારથી સી.આર.પાટીલ ની નિમણૂક થઈ ત્યારથી પાટીદાર જૂથ નું વર્ચસ્વ પ્રદેશ ભાજપ માંથી નાબૂદ થયાની લાગણી ભાજપના કાર્યકર્તાઓ અનુભવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી આવનાર સી.આર. પાટીલ ની નિમણૂકથી પ્રદેશ ભાજપમાંથી પાટીદારની સાથે સાથે જ સૌરાષ્ટ્રનું પ્રભુત્વ પણ નાબૂદ થઈ ગયું છે.
બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક આપી પટેલ વર્સીસ પાટીલ નું રાજકારણ ઉભું કર્યું છે. જોકે પાટીલ ની નિમણૂક પહેલા જ કોંગ્રેસે હાર્દિક પટેલની નિમણૂક નો દાવ ખેલતાં ભાજપના મોવડી મંડળે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ ની પસંદગી કરી છે. હવે જ્યારે પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ખોડલધામ ની મુલાકાત લેવાના છે ત્યારે આ મુલાકાત ગુજરાતના રાજકારણના સમીકરણોમાં ચોક્કસપણે બદલાવ લાવશે તેવુ લાગી રહ્યું છે. પાટીદારો મુખ્યત્વે ભાજપના કમિટેડ મતદાર ગણાય છે પણ પાટીલની નિમણૂકથી ગુજરાતના રાજકારણમાં રહેલો પાટીદારો અને સૌરાષ્ટ્રના રાજકારણીઓનો દબદબો ઘટયો છે. આવા સંજોગોમાં પાટીલની ખોડલધામ ની મુલાકાત ભાજપના આંતરિક અસંતોષને ઠારવામાં પણ મહત્વની બની રહેશે તેમ લાગી રહ્યું છે.
- Advertisement -
સી. આર. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા ત્યારે ભાજપના જ કેટલાક લોકો ચર્ચા કરતા હતા કે સુરત અને નવસારી થી બહાર નહીં નીકળેલા પાટીલ ગુજરાત કેવી રીતે સંભાળશે? જોકે રાજ્યમાં પોતાના મત વિસ્તાર ની બહાર નહિ નીકળેલા પાટીલને ગુજરાત બહાર દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી તેમજ છેલ્લે 2019 લોકસભા ચૂંટણીમાં વારાણસી મત ક્ષેત્રની જવાબદારી સોપાયેલી.